Chapter : તહારત
(Page : 159-160-161)
સવાલ :– ઝૈદને ઈહતિલામ થવાથી તેની લુંગી નાપાક થઈ ગઈ, તેણે લુંગી ધોઈને પાક કરી અને તે સુકાઈ ગઈ અને ઝૈદે ગુસલ કરીને તે ધોયેલી લુંગી પહેરીને નમાઝ પઢી, નમાઝ પઢયા પછી તેણે જોયું કે લુંગીના અમુક ભાગ પર વિર્ય બાકી રહ્યું છે.
તો આવી લુંગી પહેરીને પઢેલી નમાઝ સહીહ અને જાઈઝ ગણાશે કે નહિ ?અને હવે પૂરી લુંગી ફરી ધોવી પડશે કે ફકત વીર્ય લાગેલો ભાગ ધોઈ લેશે તો પણ ચાલશે ?
જો લુંગીનાં ફકત વીર્ય લાગેલા ભાગને ધોઈ લેવું પૂરતું હોય તો એક સવાલ ઉપસ્થિત થાય છે કે પહેલીવાર જયારે લુંગી ધોઈ હતી તો ધોતી વખતે લુંગી નિચોવી હતી તેને નિચોવતી વખતે લુંગીમાંનું પાણી વીર્ય ઉરપરથી વહીને લુંગીમાં જ બીજી જગ્યાએ પહોંચ્યું હશે અને નાપાક વીર્ય ઉપરથી પસાર થવાથી તે પાણી નાપાક થઈ ગયું હશે અને આ રીતે લગભગ પૂરી લુંગી જ નાપાક થઈ ગઈ હશે.
વળી જયારે ઝૈદ આ ધોયેલી લુંગીને ગુસલ કરીને પહેરી ત્યારે તેનું શરીર અને હાથ પાણીથી લીલા અને ભીણાં હતા અને ઝૈદને લુંગીમાં નાપાક વીર્ય બાકી રહી જવાની જાણ ન હોવાથી તેણે લીલા હાથોથી લુંગી પકડી હતી અને પછી તે લીલા ભીણાં હાથોથી રૂમનો દરવાજો ખોલ્યો, સુટકેસ પણ ખોલી, રૂમમાં લાઈટનો બટન પણ ચાલુ કર્યો, અને અત્તર પણ લગાવ્યું,
મતલબ કે મજકૂર ભીણાં હાથોથી લગભગ બધી જ જરૂરતો પૂરી કરી અને પછી માલૂમ પડયું કે લુંગીમાં નાપાક વીર્ય બાકી રહી ગયું હતું અને એ જ હાથ તેલના ડબ્બામાં નાંખીને તેલનો પણ ઉપયોગ કર્યો હતો, તો શું આ બધી વસ્તુઓ નાપાક થઈ ગયેલી ગણાશે ?
જયારે કે આ વસ્તુઓને હાથ લગાડતી વખતે હાથ નાપાક હોવાની જાણ ન હતી અને બાદમાં આ વાતની ખબર પડી છે.
જવાબ :– દુર્રે મુખ્તાર અને શામીમાં એક બુન્યાદી મસ્અલહનું વર્ણન છે કે કોઈ નાપાક વસ્તુને પાક કરવા માટે વપરાતુ પાણી જયારે તે નાપાક વસ્તુથી અલગ થઈ જાય ત્યારે તે પાણીના નાપાક હોવાનો હુકમ લાગુ પડે છે, જયાં સુધી કપડું કે શરીર ધોવામાં વપરાતુ પાણી તે વસ્તુથી અલગ ન થાય ત્યાં સુધી તે પાણી પાક જ ગણાશે, નાપાક નહિ ગણાય.
આ મસ્અલહથી માલૂમ પડયું કે પૂછેલી સૂરતમાં વીર્યની જગ્યા સિવાય લુંગીના બીજા ભાગની તરી નાપાક ન હતી, માટે હાથનું પાણી અને લુંગી સાથે લાગેલું પાણી પાક ગણાશે અને હાથનું પાણી પાક હોવાના આધારે જે વસ્તુઓને હાથ લગાવ્યો છે તેના નાપાક થઈ જવાની શંકામાં ન પડવું જોઈએ, કારણ કે તે બધી વસ્તુઓ પાક ગણાશે. (‘શામી ૧/ર૧૭)
રહી વાત મજકૂર લુંગી પહેરીને પઢેલી નમાઝની તો જો લુંગી ધોતા પહેલાં તે મની નમાઝના અવરોધરૂપ પ્રમાણમાં લાગી હતી એટલે કે હાથની હથેળીના અંદરના ખાડાવાળા ભાગની પહોળાઈથી વધુ પ્રમાણમાં ફેલાયેલી હતી તો તેને પહેરીને પઢેલી નમાઝ સહીહ અને જાઈઝ નહિ ગણાય અને તે નવેસરથી પઢવી પડશે.
અને જો હથેળીના અંદરના ખાડાવાળા ભાગ બરાબર અથવા તેથી ઓછા પ્રમાણમાં વીર્ય લાગ્યું હતું તો નમાઝ સહીહ અને જાઈઝ ગણાશે અને તે નમાઝ લોટાવવી જરૂરી નહિ ગણાય. (‘શામી ૧/ર૧૧)
ઉપરોકત મસ્અલહને જોતાં જો લુંગીનો ફકત વીર્ય લાગેલો ભાગ ધોવામાં આવશે તો પણ લુંગી પાક થઈ જશે, પૂરી લુંગી ધોવી જરૂરી નથી.
Log in or Register to save this content for later.