Chapter : નમાઝ
(Page : 452-453)
સવાલ :– સુન્નત વલ જમાઅત નારિયેળ વાડી કબ્રસ્તાન ટ્રસ્ટની માલિકીની જગ્યા છે જેમાં જગ્યા તંગ હોવાથી એક કબર છ મહિના બાદ ખોદી નાખવામાં આવે છે, તો આપણે જયારે વધારે પૈસા ભરીએ છીએ તો બે અથવા પાંચ વર્ષ સુધી તે કબર ખોદતા નથી તો આમાં આપણે પાંચ વર્ષ સુધીના પૈસા ભરી કબર પાંચ વર્ષ સુધી બંધ રખાવીએ તો તેમાં કોઈનો કોઈ હક માર્યો જાય યા પછી શરીઅત વિરુધ્ધ લેખાશે?
જવાબ :– કબ્રસ્તાનમાં જગ્યાની તંગી હોય અને પૂરું કબ્રસ્તાન કબ્રોથી ભરાય ગયું હોય અને નઝદીકમાં બીજું કબ્રસ્તાન મવજૂદ ન હોય તો જૂની કબર ખોદી તેમાં બીજી નવી મય્યિત દફન કરી શકાય છે અને જૂની મય્યિતના હાડકાંઓ નીકળે તો તેનો સંપૂર્ણ એહતિરામ જાળવીને તે હાડકાંઓની ભાંગતોડ કર્યા વગર તે જ કબ્રમાં એક તરફ ભેગા કરી દેવામાં આવે અને તે હાડકાંઓ અને નવી મય્યિત વચ્ચે માટીની આડ બનાવી દેવી જોઈએ અને બને ત્યાં સુધી મર્દની જૂની કબ્રમાં ઓરતની મય્યિત દફન ન કરવામાં આવે. અને પૂછેલી સૂરતમાં તરીકો એ હોવો જોઈએ કે કબ્રો લાઈનબંધ બનાવવામાં આવે જયારે પૂરું કબ્રસ્તાન કબ્રોની લાઈનોથી ભરાય જાય અને તે પછી કોઈ નવી મય્યિત થાય તો હવે સૌથી પહેલી કબ્ર ખોદવામાં આવે, તાકે વધુ જૂની કબ્રો હોવા છતાં ઓછી જુની કબ્રોનો ફરીવાર ઉપયોગ ન કરવો પડે. કબ્રસ્તાન ટ્રસ્ટને માત્ર વધુ પૈસા મળવાના લાભના કારણે વધુ જૂની કબ્રોને રહેવા દઈ ઓછી જૂની કબ્રો ખોદીને નવી મય્યિતો ન દફનાવવી જોઈએ, કારણ કે વિના જરૂરતે મય્યિતના હાડકાંઓ સડીને માટી થતાં પહેલાં જૂની કબ્રને ખોદીને તેમાં નવી મય્યિત દફનાવવી જાઈઝ નથી. (શામી – ૧/પ૯૮)
Log in or Register to save this content for later.