Chapter : નમાઝ
(Page : 425-426-427-428-429)
સવાલ :– ”દારૂલ ઉલૂમ” માસિકના માહે સપ્ટેમ્બર ૧૯૯૯ના અંકમાં ફતાવા વિભાગની કોલમમાં પેજ નં પ૧ – પર ઉપર એક સવાલના જવાબમાં લખવામાં આવ્યુ છે કે પત્ની મરી ગયા પછી પતિએ તેને ગુસલ આપવું, તેના શરીરને હાથ લગાડવું જાઈઝ રહેતું નથી. જયારે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ હઝરત ખદીજતુલ કુબરા (રદિ.)ને પોતે જાતે તેઓની કબ્રમાં ઉતાર્યા હતા, આ બન્નેવ વાતોમાં વિરોધાભાસ જેવું લાગે છે, માટે મગજમાં બેસે એ રીતે ખુલાસાવાર જવાબ આપશો.
જવાબ :– હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હઝરત ખદીજતુલ્ કુબરા (રદિ.)ની વફાત પછી, તેઓને દફન કરતી વખતે કબ્રમાં ઉતાર્યા હતા એ વાત સીરતની કીતાબોથી સાબિત છે. ”સીરતુલ્ મુસ્તફા (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ભાગઃ ૩” અને ”અસહ્હુસ્ સિયર” માં આ બાબતનું વર્ણન મવજૂદ છે. પરંતુ આ ઘટનાને ”દારૂલ ઉલુમ” માસિક (સપ્ટે ૧૯૯૯)માં લખવામાં આવેલા આ મસ્અલાથી કે ”પત્નીની વફાત પછી પતિ માટે તેને ગુસલ આપવું, તેના શરીરને હાથ લગાડવો પણ જાઈઝ રહેતું નથી” વિરોધોભાસ સમજવો દુરૂસ્ત નથી. કારણ કે સીરતુન્નબી (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની મજકૂર ઘટનામાં મય્યિત પત્નીના શરીરને પકડીને કબ્રમાં ઉતારવાનું વર્ણન છે અને જાહેર છે કે મય્યિતને કબ્રમાં ઉતારતી વખતે તેના શરીરને કફનના કપડાની આડ સાથે પકડવામાં આવે છે, પરંતુ મજકૂર ઘટનામાં કપડાંની આડ વગર મય્યિત પત્નીના શરીરને હાથ લગાડવાનું કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના હઝરત ખદીજહ (રદિ.)ને તેઓની વફાત પછી ગુસલે મય્યિત દેવાનું કોઈ વર્ણન નથી, માટે મજકૂર ઘટના અને મસ્અલહમાં કોઈ વિરોધાભાસ સમજાતો નથી.
કદાચ મજકૂર વિરોધાભાસ આમ સમજવાથી ઉપસ્થિત થયો હોય કે જયારે સીરતની મજકૂર ઘટનાથી પતિ માટે મય્યિત પત્નીના શરીરને પકડીને કબ્રમાં ઉતારવું જાઈઝ માલૂમ પડે છે તો એ જ પ્રમાણે ગુસલ દેવું પણ જાઈઝ હોવું જોઈએ. પરંતુ આમ સમજવું અને પતિ માટે મય્યિત પત્નીના શરીરને કપડાની આડ વગર હાથ લગાડવાને અને ગુસલ દેવાને મય્યિત પત્નીના શરીરને કપડાની આડ સાથે પકડીને દફન કરવા ઉપર અનુમાન કરવું અને તેની સાથે સરખાવવું અને બન્ને કામોનો એક સરખો હુકમ સમજવો એ બરાબર અને દુરૂસ્ત નથી. કારણ કે પતિ માટે મૃત પત્નીને કફનના કપડાની આડ સાથે પકડીને કબ્રમાં ઉતારવી જાઈઝ છે. પત્નીની મવત પછી પતિ તેના માટે એક પરાયો પુરૂષ બની જાય છે. પરંતુ પરાયા પુરૂષો માટે પણ ઓરતની મય્યિતને કબ્રમાં ઉતારવું અને દફન કરવું જાઈઝ છે, જો કે બેહતર આ છે કે ઓરત મય્યિતને તેના મહરમ (જેનાથી કદી શાદી ન થઈ શકે) રિશ્તેદાર પુરૂષ કબ્રમાં ઉતારી દફન કરે. જો ઓરત મય્યિતના કોઈ મહરમ રિશ્તેદાર ત્યાં મવજૂદ ન હોય તો ઓરતના ગેર મહરમ રિશ્તેદાર તેને કબ્રમાં ઉતારે એ પરાયા પુરૂષો કરતાં બેહતર છે અને જો ગેર મહરમ રિશ્તેદારો પણ ન હોય તો પરાયા પુરૂષો ઓરત મય્યિતને કબ્રમાં ઉતારી દફન કરે એમાં પણ કોઈ વાંધો નથી. (બદાઈઅ ૬૪–ર / તહતાવી ૩૩૪)
બલ્કે ફિકહના મહાન આલિમ ફખરૂદીન ખાન (રહ.) લખે છે કે જો કોઈ પતિ તેની મય્યિત પત્નીના બાપ અને ભાઈ સાથે તેની લાશ ઉઠાવીને ડોલીમાં મૂકવા ચાહે અથવા ઓરતના મહરમ રિશ્તેદાર સાથે મળીને તેને કબ્રમાં ઉતારવા ચાહે તો તે પતિને આમ કરવાથી રોકવો મકરૂહ છે. (ખુલા. ફતાવા રરપ–૧)
પતિ માટે મય્યિત પત્નીના શરીરને કોઈ વસ્તુની આડ વગર હાથ લગાડવો અને તેને ગુસલ આપવું એ નાજાઈઝ અને મના છે, કારણ કે પત્નીના મૃત્યુ પામવાથી તે પતિના નિકાહમાંથી અલગ થઈ જાય છે અને પતિ તેના માટે પરાયો પુરૂષ બની જાય છે અને પરાયા પુરૂષ માટે અજનબી ઓરતના શરીરને વિના જરૂરતે કોઈ વસ્તુની આડ વગર હાથ લગાડવો અને તેના સતર પાત્ર શરીરને જોવું એ નાજાઈઝ છે. અને ઓરત મય્યિતના સતર પાત્ર શરીરને જોયા વગર ગુસલ દેવું મુશ્કેલ છે. એટલે પતિ માટે મય્યિત પત્નીના શરીરને કપડાની આડ વગર હાથ લગાડવો કે તેને ગુસલ દેવું જાઈઝ નથી, અહિયાં સુધી કે મય્યિત ઓરતનો મહરમ રિશ્તેદાર હોય એવા પુરૂષે ચાહે ઓરતના ગેર સતર પાત્ર શરીરને હાથ લગાડવો જાઈઝ છે. પરંતુ તેના માટે પણ પોતાની મહરમ રિશ્તેદાર ઓરતને તેના મૃત્યુ પછી ગુસલ દેવું જાઈઝ નથી. (બદાઈઅ ૩પ–ર / દુ. મુખ્તાર શામી પ૭પ–૧)
ઓરત મય્યિતને કોઈ ઓરત ગુસલ આપી શકે છે અથવા એવો નાનો છોકરો ગુસલ આપી શકે છે, જેમાં પુરૂષ તરીકેની ભાવનાઓ જાગૃત ન થઈ હોય, કોઈ મોટી વયના પુરૂષે ઓરતને ગુસલ આપવું જાઈઝ નથી. માટે કોઈ ઓરતનું જો કોઈ એવી જગ્યાએ મૃત્યુ થાય કે જયાં માત્ર મર્દો જ હોય, કોઈ નાની વયનો છોકરો કે ઓરત મવજૂદ ન હોય તો ઓરતને ગુસલ આપવામાં નહિ આવે, બલ્કે તયમ્મુમ કરાવવામાં આવશે, જો ઓરતનો કોઈ મહરમ રિશ્તેદાર હોય તો તે પોતાના હાથ પર કોઈ કપડું લપેટયા વગર ઓરતને ગુસલના બદલે તયમ્મુમ કરાવી આપે, કારણ કે મહરમ રિશ્તેદાર માટે ઓરતના તયમ્મુમના અંગોને કોઈ આડ વગર હાથ લગાડવો જાઈઝ છે અને જો તે જગ્યાએ ઓરતનો કોઈ મહરમ પુરૂષ રિશ્તેદાર ન હોય બલ્કે તેનો પતિ અથવા બીજો કોઈ ગેર મહરમ પુરૂષ હોય તો તે પોતાના હાથ પર કપડું વીટાડીંને મય્યિત ઓરતને ગુસલના બદલે તયમ્મુમ કરાવશે, કારણકે પતિ ત્થા અન્ય કોઈ ગેર મહરમ પુરૂષ માટે કોઈ વસ્તુની આડ વગર મૃત ઓરતના તયમ્મુમના અંગોને હાથ લગાડવો જાઈઝ નથી.
(બદાઈઅ ૩૩ – ર, દુ.મુખ્તાર શામી – ૧)
હઝરત ઈબ્ને અબ્બાસ (રદિ.)થી નકલ છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) થી એવી મય્યિત ઓરતના ગુસલ વિશે સવાલ પૂછવામાં આવ્યો કે તે માત્ર મર્દોનો સમૂહ હોય તેવી જગ્યાએ વફાત પામે તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એ જવાબ આપ્યો કે તેને માટીથી તયમ્મુમ કરાવવામાં આવે (એટલે કે આવી હાલતમાં તેને ગુસલ ન આપવામાં આવે.) (બદાઈઅ ૩પ–ર)
ઉકત વિગતથી માલૂમ પડયુ કે સવાલમાં લખેલી સીરતની ઘટના અને દારૂલ ઉલુમમાં લખેલા મસ્અલામાં કોઈ વિરોધાભાસ નથી અને અવામ (સામાન્યજન)માં આ પ્રમાણે જે વાત પ્રચલિત છે કે પતિ તેની મૃત પત્નીના જનાઝહને ન કંધો આપી શકે છે, ન તેને કબ્રમાં ઉતારી શકે છે અને ન તેનું મોઢું જોઈ શકે છે, એ સદંતર ગલત વાત છે, માત્ર તેને ગુસલ આપવાની અને કોઈ વસ્તુની આડ વગર તેના શરીરને પકડવાની મનાઈ છે. (ઉમદતુલ ફિકહ ૪૯૯–ર)
Log in or Register to save this content for later.