Chapter : નમાઝ
(Page : 421-422)
સવાલ :– ગેર મુસ્લિમ સાથે મહેનતાણું નકકી કરી તેની પાસે કબર ખોદાવવી જાઈઝ છે કે નહિ? ઘણા મુસ્લિમભાઈઓ નાજાઈઝ કહે છે. મુસ્લિમ મજૂર વર્ગ કબર ખોદવાનું મહેનતાણું ખૂબ જ વધારે માંગે છે અને સંકટ સમયે દા.ત. રાતના સમયે આવતા નથી. જયારે ગેર મુસ્લિમો ગમે તે સમયે વ્યાજબી મહેનતાણુ લઈ કબર ખોદી આપે છે, તો આવી પરેશાનીમાં ગેર મુસ્લિમ મજૂરો પાસે કબર ખોદાવી શકાય કે નહિ?
જવાબ :– જેવી રીતે મુસ્લિમ મય્યિતની નમાઝે જનાઝહ પઢવી મુસ્લિમો માટે ફર્ઝે કિફાયહ છે, જો કોઈ પણ નમાઝ નહિ પડે તો સમગ્ર મુસ્લિમ સમાજ ગુનેહગાર થશે. તેવી જ રીતે મુસ્લિમ મય્યિતને ગુસલ આપવું, તેની કબર ખોદવી, તેને કબ્રસ્તાનમાં લઈ જઈ કબરમાં દફન કરવું એ પણ મુસ્લિમો માટે ફર્ઝે કિફાયહ છે. અને મુસ્લિમ મય્યિતના ગુસલ, કફન અને દફનને લગતા આ બધા કામો મુસ્લિમોએ જ કરવા જોઈએ અને અફઝલ એ છે કે આ બધા કામો મુસ્લિમોએ મહેનતાણું લીધા વગર નેકીનો એક ફર્ઝે કિફાયહ અમલ સમજીને કરવા જોઈએ. (કબીરીઃ પ૭૯/ તહતાવી : ૩૧ર)
ગેર મુસ્લિમથી કબર ખોદાવવામાં કબર ખોદનારને અને મુસ્લિમ મય્યિતને કોઈ દીની અને બાતિની લાભ થવાની આશા ન રાખી શકાય, જયારે મુસ્લિમના કબર ખોદવાથી બંનેને લાભ મળવાની આશા રાખી શકાય છે, માટે મુસ્લિમ પાસે જ કબર ખોદાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તે મહેનતાણા વગર ખોદવા તૈયાર ન હોય તો મહેનતાણુ આપવું પણ જાઈઝ છે. (શામી : પ૭૬–૧ / તહતાવી :૩૩૦)
અલબત્ત જો પ્રયત્ન છતાં કોઈ મુસ્લિમ વ્યાજબી મહેનતાણાથી પણ કબર ખોદવા તૈયાર ન હોય તો ગેર મુસ્લિમથી પણ મહેનતાણું આપી કબર ખોદાવવી જાઈઝ છે. (મુસ્લિમ ગુજરાત ફતાવા સંગ્રહ પુ–ર)
Log in or Register to save this content for later.