Chapter : નમાઝ
(Page : 413-414-415-416)
સવાલઃ– અમારે ત્યાં ઓરત મય્યિતને જે રીતથી કફન પહેરાવવામાં આવે છે તે લખી જણાવું છું, આ રીત સહીહ છે કે ગલત તે લખી જણાવશો. જો મજકૂર રીત ગલત હોય તો સહીહ રીત સમજાવશો.
પ્રથમ મોટી ચાદર બિછાવી તેના ઉપર ઈઝારની ચાદર બિછાવવામાં આવે છે. ઈઝાર ઉપર સીનાબંધ બિછાવી તેના ઉપર પ૪ પના ની ૧ર ઈંચ પહોળી ઓઢણી બિછાવવામાં આવે છે, પછી તેના ઉપર કુરતો બિછાવવામાં આવે છે, આ પ્રમાણે કફનના કપડાઓ બિછાવ્યા પછી મય્યિતને તેના ઉપર સુવાડી પ્રથમ કુર્તાનો ઉપલો ભાગ ખેંચીને પહેરાવવામાં આવે છે, પછી માથાના બાલોને બે ભાગમાં વહેંચી તેની ઉપર મૂકી ઓઢણી પ્રથમ ડાબી તરફ પછી જમણી તરફ એ રીતે લપેટવામાં આવે છે કે ખભાથી નીચેના બાલ ઓઢણી નીચે આવી જાય છે અને પેશાનીથી ખભા સુધીના વાળ ખુલ્લા રહે છે. ત્યાર બાદ સીના બંધ લપેટી ઈઝાર પહેરાવી તેના ઉપર મોટી ચાદર લપેટવામાં આવે છે, તો આ રીત સહીહ છે કે ગલત તે જણાવશો. તમો સમજાવશો તે પ્રમાણે અમલ કરીશું અને ઓઢણીના કપડામાં તૈયાર સ્કાફ અથવા એવા કટનું કાપડ કાપીએ તો ચાલે કે નહિ?
જવાબઃ– ઓરત મય્યિતના મસનૂન કફનના પાંચ કપડાઓ પાથરવાની રીત ફિકહ ફતાવાની કિતાબોમાં આ પ્રમાણે લખવામાં આવી છે કે પ્રથમ કોઈ પાક–સાફ ચાદર અથવા શેતરંજી પાથરીને તેની ઉપર કફનના કપડાંઓમાંથી મોટી ચાદર પાથરવામાં આવે, બીજા નંબરે તેની ઉપર ઈઝારની ચાદર પાથરવામાં આવે, ત્રીજા નંબરે તેના ઉપર સીનાબંધનું કપડું એ પ્રમાણે પાથરવામાં આવે કે તેનો ઉપલો છેડો મય્યિતના ખભાથી નીચે રહે. તાકે (તેના જમણા અને ડાબા) બન્નેવ છેડાઓ મય્યિતની ડાબી અને જમણી બન્ને બગલોમાંથી ઉપર છાતી તરફ કાઢીને છાતી ઉપર બાંધી શકાય. ચોથા નંબરે ઓઢણી ઈઝારની ચાદર ઉપર સીના બંધના ઉપલા કિનારાથી માથા તરફ એ રીતે પાથરવામાં આવે કે મય્યિતની ગરદન અને માથું તેના ઉપર રહે. પાંચમાં નંબરે કુરતો સીનાબંધ ઉપર એ રીતે પાથરવામાં આવે કે કુરતાના ગરેબાનનો ગોળાઈમાં કાપેલો ભાગ સીનાબંધના ઉપરના કિનારાથી થોડો માથા તરફ રહે અને કુરતાના આ પ્રમાણે પાથર્યા પછી તેનો ઉપરનો ભાગ ઉલટો લપેટીને માથાની જગ્યાએ મૂકવામાં આવે.
ઉપરોકત તરતીબ મુજબ ઓરતના કફનના પાંચ કપડાઓ પાથરી દીધા પછી મય્યિતને તેના ઉપર સુવડાવી એ રીતે કફન પહેરાવવામાં આવે કે પ્રથમ નંબરે કુરતાના ગરેબાનમાં મય્યિતનું માથું દાખલ કરી કુરતાનો ઉપરનો લપેટી લીધેલો ભાગ ખોલીને મય્યિતના શરીર પર ગરદનથી પગ સુધી ફેલાવી દેવામાં આવે. કુરતો પહેરાવ્યા પછી તેના માથા ઉપર અત્તર લગાડવામાં આવે અને તેની પેશાની, નાક, બન્ને હથેળીઓ, બન્ને ઘૂંટણો અને બન્ને પગો પર કપૂર લગાડવામાં આવે, તે પછી માથાના વાળના બે ભાગો કરીને છાતીના જમણા અને ડાબા ભાગ ઉપર (કુરતાની ઉપર) એક–એક ભાગ મૂકવામાં આવે, બીજા નંબરે મય્યિતની ઓઢણી મય્યિતના માથા ઉપર ઓઢાડી તેના બન્ને છેડા ઉપર મુકેલા બન્ને બાજુના વાળ ઉપર સીધેસીધા મૂકવામાં આવે, આ મુજબ ઓઢણી ઓઢાડવાથી માથાના પાછલા ભાગથી લઈ પેશાની સુધીના અને છાતી ઉપર મૂકેલા બધા જ વાળ ઓઢણીથી ઢંકાય જાય છે. ઓઢણીના બન્ને છેડાઓને બાંધવા ન જોઈએ અને ઉલટા–સુલટી લપેટવા પણ ન જોઈએ. ત્રીજા નંબરે ઇઝાર ઉપર પાથરેલા સીનાબંધના બન્ને છેડા મય્યિતની જમણી – ડાબી બગલમાંથી છાતી તરફ ઉપર કાઢીને બાંધવામાં આવે. ચોથા નંબરે પ્રથમ ઈઝારનો ડાબો ભાગ મય્યિતના ડાબા ભાગ ઉપર (સીનાબંધ ઉપર) લપેટવામાં આવે અને ત્યાર પછી ઈઝારનો જમણો ભાગ મય્યિતના જમણા ભાગ ઉપર લપેટવામાં આવે. પાંચમા નંબરે કફનના કપડાઓમાંથી સૌથી પ્રથમ પાથરવામાં આવેલી મોટી ચાદરનો પ્રથમ ડાબો ભાગ અને પછી જમણો ભાગ મય્યિતની ઈઝાર ઉપર લપેટવામાં આવે.
ઉપર બતાવેલી કફન પાથરવાની રીતમાં સીનાબંધ ત્રીજા નંબરે છે અને કફન પહેરાવવાની રીતમાં પણ સીનાબંધ ત્રીજા નંબરે છે. મજકૂર તરતીબ સિવાય સીનાબંધમાં એક બીજી તરતીબ પણ જાઈઝ છે કે કફન પાથરતી વખતે તેને બીજાનંબરે મોટી ચાદર (લિફાફહ) ઉપર પાથરવામાં આવે અને ઈઝાર સીનાબંધની ઉપર ત્રીજાનંબરે પાથરવામાં આવે અને કફન પહેરાવતી વખતે સીનાબંધને ચોથા નંબરે ઈઝારની ઉપર બાંધવામાં આવે અને ઈઝારને ત્રીજાનંબરે ઓઢણીની ઉપર અને સીનાબંધથી નીચે પહેરાવવામાં આવે, પરંતુ આ સૂરતમાં સીનાબંધના છેડાઓ બગલોમાંથી ઉપર છાતી તરફ નહિ કાઢી શકાય અને સીનાબંધમાં એક ત્રીજી તરતીબ આ પણ જાઈઝ છે કે કફન પાથરતી વખતે તેને પ્રથમ નંબરે સૌથી નીચે પાથરવામાં આવે અને કફન પહેરાવતી વખતે સૌથી ઉપર અને છેલ્લે પાંચમાં નંબરે બાંધવામાં આવે. (શામી – ૧/ અહકામે મય્યિત)
મજકૂર વિગતથી માલૂમ પડયું કે ઓઢણીથી ફકત ખભા નીચેના વાળ ઢાંકવા અને પેશાનીથી ખભા સુધીના વાળ ખુલ્લા રાખવા એ દુરૂસ્ત નથી, બલ્કે ઉપર લખવા મુજબ ઓઢણી એ રીતે ઓઢાડવી જોઈએ કે બધા જ વાળ તેની નીચે છુપાય જાય અને એ પ્રમાણે ઓઢાડવા માટે ઓઢણીની પહોળાઈ સામાન્ય મોટી મય્યિત માટે સવા બે ફૂટ હોવી જોઈએ, ફકત ૧ર ઈંચ પહોળાઈ બરાબર નથી. (બિહશ્તી ઝેવર)
ઓઢણી લંબચોરસ હોવી જોઈએ, જેની લંબાઈ સામાન્ય મોટી મય્યિત માટે સાડા ચાર ફૂટ અને પહોળાઈ સવા બે ફૂટ હોય, તાકે બાલ અને ચહેરો બરાબર ઢાંકી શકાય, સ્કાફ કટ કાપડથી મય્યિતના બાલ અને ચહેરો સંપૂર્ણ રીતે ઢાંકી નહિ શકાય, માટે ઓઢણી માટે સ્કાફ કટ પ્રમાણે કાપડ ન કાપવું જોઈએ જે ત્રિકોણ આકારનું હોય છે અને ન તૈયાર સ્કાફનો ઓઢણી તરીકે કફનમાં ઉપયોગ કરવો જોઈએ.
Log in or Register to save this content for later.