[૩૦૮ ] કબ્ર પર દુઆ

Chapter : નમાઝ

(Page : 412-413)

સવાલઃ– કબ્ર પર દુઆ કેવી રીતે કરવી ? જોરથી કે આહિસ્તા?

જવાબઃ– દુઆ ગમે તે જગ્યાએ માંગવામાં આવે, મસ્જિદ હોય કે કબ્ર હોય બધે જ આહિસ્તા માંગવી અફઝલ છે. અલ્લાહ તઆલા ફરમાવે છેઃ

ઉદ્‌ઊ રબ્બકુમ તદર્રૂઅંવ્‌ વખુફ્‌યહ.

અર્થાત : તમે લોકો (દરેક હાલત ને પ્રત્યેક જરૂરતમાં) આજીઝી કરીને આહિસ્તા આહિસ્તા દુઆ કર્યા કરો. બેશક અલ્લાહ તઆલા તેવા લોકોને પસંદ નથી ફરમાવતા જે (દુઆમાં) હદથી બહાર નીકળી જાય છે.            (સૂરએ અઅ્‌રાફ)

               કાઝી સનાઉલ્લાહ પાનીપતી (રહ.) પોતાની તફસીરમાં નકલ કરે છે કે હઝરત હસન બસરી (રહ.) ફરમાવે છે કે જોરથી દુઆ કરવામાં અને આહિસ્તા ધીમા અવાજે દુઆ કરવામાં ફઝીલતની દ્રષ્ટિએ સીત્તેર (૭૦) દરજાનો તફાવત છે.

               આગળ લખે છે કે સલફે સાલિહીનની દુઆ કરવાની આદત આ પ્રમાણે હતી કે દુઆમાં ઘણી કોશિશ અને મહેનત કરતા હતા, પરંતુ કોઈ  બીજી વ્યકિત તેઓની દુઆનો અવાજ સાંભળી શકતી ન હતી. તેઓની દુઆ તો માત્ર પોતાની જાત અને રબ્બ તઆલા વચ્ચે એક ખામોશી ભરી રજુઆત (સરગોશી) હતી.

               અલ્લાહ તઆલાએ કુર્આન શરીફમાં એક જગ્યાએ પોતાના એક નેક બંદાની દુઆ કરવાની રીત નકલ ફરમાવી છે કે તેઓએ પોતાના રબને આહિસ્તા અવાજે પુકાર્યા ”ઈઝ્‌  નાદા રબ્બહુ નીદાઅન્‌ ખફીય્યા” જેનાથી ફલિત થાય છે કે ખુદા તઆલાને આહિસ્તા દુઆ પસંદ છે, સાથે જ ઉપરની આયતમાં ”મુઅ્‌તદીન” શબ્દ જે અરબી ભાષાના કાયદાઓ મુજબ ”એઅતિદાઅ”થી બન્યો છે. તેની તફસીર ઇબ્ને જુરૈજ (રહ.)થી નકલ કરવામાં આવી છે કે દુઆમાં અવાજ ઉંચો કરવો અને જોર જોર થી દુઆ માંગવી એ ”એઅતિદાઅ  ફી  દુઆ” છે.

               ગઝવએ ખયબર સમયે સહાબાએ કિરામ (રદિ.)થી દુઆમાં આવાજ બુલન્દ થઈ ગયો તો આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઈરશાદ ફરમાવ્યો કે તમો લોકો પોતાની જાત પર રહમ કરો, તમો કોઈ બેહરી કે દૂરની હસ્તીને નથી પુકારતા (કે આટલા જોરથી બોલવું પડે) તમો તો એક એવી જાતને પુકારી રહયા છો જે સમીઅ (સાંભળનાર) અને કરીબ (નઝદીક) છે. (માટે આવાજ બુલંદ કરવો બેકાર છે).     (તફસીરે મઝહરી :૩/૩૬૧,૩૬૩ – સૂરએ અઅરાફ)

Log in or Register to save this content for later.