Chapter : નમાઝ
(Page : 4435-436-437-438)
સવાલ :– કબ્ર કેટલી ઉંડી ખોદવી જોઈએ? કબ્રમાં બરઘા (પાટીયા) મુકવામાં શરૂઆત કઈ તરફથી કરવી જોઈએ? કબ્ર કેટલી ઉંચી કરવી? માટી વધે તો શું કરવું? કબ્ર પર પાણી છાંટવાનો સહીહ તરીકો શું છે? માથા તેમજ પગ તરફ ઝાડની ડાળી માટીમાં ખોસવામાં આવે છે, શું આ સહીહ છે?
જવાબ :– મધ્યમ પ્રકારની ઉંચાઈવાળા માણસની અડઘી ઉંચાઈથી લઈને પૂરી ઉંચાઈના પ્રમાણમાં કબ્રની ઉંડાઈ ખોદી શકાય છે. ઓછામાં ઓછી અડધી ઉંચાઈના પ્રમાણમાં તો ખોદવી જ જોઈએ, અને વધુ થી વધુ પૂરી ઉંચાઈના પ્રમાણમાં, અડધી ઉંચાઈથી જેટલી વધારે ઉંડી ખોદવામાં આવે તેટલી વધારે બેહતર છે, કારણ કે લાશની વાસ બહાર ફેલવાથી અને જંગલી પ્રાણીઓના કબ્ર ખોદવાથી વધુ હિફાઝત થશે. (શામી–પ૯૯/૧, આલમગીરી–૧૬૬/૧)
પાટીયા મુકવાની શરૂઆત વિષે કિતાબોમાં કોઈ ચોખવટ નઝરે પડી નથી, પરંતુ બેહતર એ જ છે કે માથા તરફથી શરૂઆત કરવામાં આવે ખાસ કરી જયારે શક્કી કબ્ર ખોદવામાં આવતી હોય, કારણ કે એ સૂરતમાં અદબની રિઆયત છે. કબ્ર એક વેંત અથવા તેથી કંઈક વધારે પ્રમાણમાં જમીનથી ઉંચી કરી શકાય છે અને વધારાની માટી આસપાસ જો યોગ્ય જગા હોય તો ત્યાં પાથરી દેવામાં આવે, નહિં તો બીજી જગ્યાએ હટાવવામાં પણ કંઈ વાંધો નથી, મય્યિતને મુકવા માટેની જગ્યા એટલી ઉંડી ખોદવાની જરૂરત નથી કે જેથી કબ્રની ઉંચાઈ કરતાં વધારે માટી ફાઝલ પડે, પાટીયાનું છત મય્યિતથી અલગ રહે, ફકત એટલા પ્રમાણમાં તે જગ્યા ઉંડી રાખવી પૂરતી છે.
(કબીરી–પ૯૯, તહતાવી અલલ મરાકી–૩પપ, શામી)
પાણી છાંટવાનો હેતુ એ બતાવવામાં આવે છે કે કબ્રની માટી જામ થઈ જાય અને વિખેરાય નહિં માટે પાણી એ પ્રમાણે છાંટવું જોઈએ કે માટીના જામ થવાનું કામ આપે અને પાણી છાંટવાની શરૂઆત માથા તરફથી કરવામાં આવે અને છાંટતા છાંટતા પગ સુધી લઈ જઈ પુરૂં કરે, કારણ કે હઝ. બિલાલ બિન રબાહે (રદિ.) આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની કબ્ર મુબારક પર એજ પ્રમાણે પાણી છાંટયું હતું. (મિશ્કાત–૧૪૯)(દુ.મુખ્તાર શામી સાથે –૧/૬૦૧)
અમુક ફુકહાએ કિરામ અને શારિહીને હદીષ કબ્ર પર ઝાડની લીલી ડાળી ખોસવાને બેહતર લખે છે અને બીજા અમુક નાજાઈઝ અથવા ન ખોસવાને બેહતર લખે છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી હઝ. ઈબ્ને અબ્બાસ (રદિ.) હદીષ નકલ કરે છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) બે કબ્રો પાસેથી પસાર થવા લાગ્યા તો ફરમાવ્યું કે આ બન્નેવ કબ્રોમાં દફન મય્યિતોને અઝાબ થઈ રહયો છે અને (અમલ કરવાની દષ્ટિએ) કોઈ મોટી અને મહત્વની વાત ને લઈ અઝાબ નથી થઈ રહયો (બલ્કે મામૂલી વાતને કારણે અઝાબ થઈ રહયો છે) વિગત એમ છે કે બેમાંથી એક તો પેશાબથી પાકીની કાળજી રાખતો ન હતો અને બીજો માણસ ચુગલી ચાળી કરતો હતો તે પછી રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ખજૂરની એક ડાળી લીધી અને તેને બે ભાગોમાં ચીરી નાખી ફરી દરેક કબ્ર પર એક ટુકડો ખોસી આપ્યો. સહાબા (રદિ.) અરજ કરી કે યા રસૂલલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) આપે આમ શા માટે કર્યુ? તો આપે ફરમાવ્યું કે ઉમ્મીદ છે કે જયાં સુધી આ લીલી ડાળીના ભાગો સૂકાય નહિં ત્યાં સુધી તે બન્નેવના અઝાબમાં તખફીફ થતી રહેશે (હલકો થતો રહેશે).
ઉપરોકત હદીષ શરીફમાં અઝાબમાં તખફીફનું કારણ નકકી કરવામાં વિવિધ મંતવ્યો છે. એક મત એવો છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તખફીફે અઝાબની આશા લીલી ડાળીની તસ્બીહ પઢવાના લઈ વ્યકત ફરમાવી હતી, કારણકે દરેક ઝાડ છોડ જયાં સુધી લીલું રહે છે અલ્લાહ તઆલાની તસ્બીહ પઢે છે. મજકૂર મતને સામે રાખી અમૂક ફુકહાએ કિરામે ડાળી લગાડવાને જાઈઝ અને મુસ્તહબ લખ્યું છે અને તેના સમર્થનમાં એક સહાબી બુરેદહ બિન હુસૈબ (રદિ.)ની વસિય્યત પણ રજુ કરે છે કે તેઓએ પોતાની કબ્ર પર બે ડાળીઓ મૂકવાની વસિય્યત ફરમાવી હતી. બીજો મત એ છે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ તેઓના અઝાબની તખફીફ માટે બારગાહે ઈલાહીથી શફાઅત ફરમાવી તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ની શફાઅત ડાળીના સૂકાતા સુધીની મુદ્દત માટે તખફીફ થવા વિષે કબૂલ થઈ. ખુલાસો એ કે આપે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) પોતાની આ ખાસ શફાઅતની કબૂલિયતનો વખત ડાળી સુખાતા સુધીનો બયાન ફરમાવ્યો છે. અઝાબની તખફીફમાં ડાળીનો કોઈ અસર નથી. ત્રીજો મત એ છે કે ડાળીથી અઝાબમાં તખફીફ થવાની આશા એ ખાસ હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના હાથ મુબારકની બરકતના કારણે હતી. માટે આ પ્રમાણેની બરકત આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથે ખાસ હોઈ બીજાના ડાળી લગાડવાથી એ તખફીફ હાસિલ નહિં થાય. બીજા અને ત્રીજા મતને સામે રાખી અમુક ફૂકહાએ કિરામ અને શારિહીન (રહ.) લખે છે કે મજકૂર હદીષને દલીલ બનાવી લીલી ડાળી લગાડવી જાઈઝ નથી. કારણ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ના સમય મુબારકમાં આ તરીકો પ્રચલિત ન હતો અને અમુક લખે છે કે ડાળી ન લગાડવી બેહતર છે, કારણ કે હદીષ શરીફમાં તખફીફનું કારણ ડાળીની તસ્બીહ ને સ્પષ્ટ શબ્દોમાં બતાવવામાં આવ્યું નથી. ઉપરાંત અન્ય કારણો માટે ખૂદ હદીષ શરીફમાં સ્પષ્ટતા મળે છે, માટે અમુક ફુકહાના કથન મુજબ જાઈઝ છે, પરંતુ બીજા અમુક ફુકહાના નાજાઈઝ હોવાના કે બેહતર હોવાના કથનને સામે રાખી બેહતર એ છે કે લીલી ડાળી લગાડવાને અપનાવવામાં ન આવે, કારણ કે મય્યિતને ફાયદો પહોંચાડવાના બીજા બિન ઈખ્તિલાફી તરીકાઓ ઘણાં છે જે આસાનીથી અપનાવી અમલ કરી શકાય છે, બાકી લીલી ડાળી લગાડવાને જરૂરી સમજી કરવું એ તો બિદઅત અને ગુનાહનું કામ છે.
(શામી–૧/૬૦૭, તહતાવી અલલ મરાકી–૩૪૩, મિરકાત–૧/૩પ૧, અશિઅ્અહ–૧/ર૦૦, બઝલુલ મજહૂદ–૧/૧પ, ફયઝુલ બારી–૧/૩૧૧, ફતાવા દારૂલ ઉલૂમ–પ/૪૧પ, મજમૂઅતુલ ફતાવા–૧)
Log in or Register to save this content for later.