[૩રર] તઅઝિયતનો સહીહ તરીકો

Chapter : નમાઝ

(Page : 433-434)

સવાલ :–  તઅઝિયતનો સહીહ તરીકો શું છે? અમારી તરફ મરનારના ઘરે તઅઝિયત માટે આવે છે તો સર્વ પ્રથમ અગરબત્તી અથવા લોબાન બાળવામાં આવે છે ત્યારે પછી આવનાર હાથ ઉઠાવી જોરથી અથવા ધીરેથી એકલો અથવા સમૂહમાં દુઆ માંગે છે. પૂછવાનું એ જ કે તઅઝિયતે આવનારે શું કરવું જોઈએ જે શરીઅતથી સાબિત હોય? ખુલાસાવાર હવાલા સહિત જવાબ આપશો.

જવાબ :– સવાલમાં લખવા મુજબ તઅઝિયતનો તરીકો કોઈ હદીષ કે ફિકહની કિતાબથી સાબિત નથી. ફિકહની કિતાબોમાં તઅઝિયતનો તરીકો આ પ્રમાણે લખવામાં આવ્યો છે કે મરનાર મર્હૂમની દફનવિધી પછી વફાત પછીના ત્રણ દિવસોમાં કોઈ સમયે ફકત એકવાર મર્હૂમના રિશ્તેદારોને ત્યાં જાય અને તઅઝિયત માટે આ શબ્દોમાં તેઓને સંબોધીને દુઆ કરે કે ”અઅ્‌ઝમલ્લાહુ અજ્‌રક વ અહ્‌સન અઝાઅક વ ગફર લિમય્યિતિક” જેનો ભાવાર્થ એ છે કે અલ્લાહ તઆલા તમોને આ દુઃખદ વફાત અને તેના સબ્ર કરવા બદલ ઘણો સવાબ અતા ફરમાવે  અને તમોને બેહતરીન સબ્ર અતા ફરમાવે અને મર્હૂમ મરનારની મગફિરત ફરમાવે.

               જો મરનાર નાબાલિગ હોય તો છેલ્લું વાકય એટલે કે વ ગફર લિમય્યિતીક ન બોલવામાં આવે. જો સગા સંબંધીઓને સદમો વધારે હોય તો એમ કહી સબ્ર અપાવે કે અલ્લાહ તઆલા આપણને જે કંઈ જાન માલ આપે છે અને જે કંઈ આપણાથી લે છે, તે બધું અલ્લાહ તઆલાનું પેદા કરેલું અને તેની જ માલિકી છે દરેક વસ્તુનો અલ્લાહ તઆલાને ત્યાં વહેલો કે મોડો એક સમય નકકી જ છે.

               વહેલી જાણ થઈ છતાં ત્રણ દિવસ વીતી ગયા બાદ તઅઝિયત માટે જવું મકરૂહ છે. તઅઝિયત માટે અફઝલ દિવસ પહેલો જ છે. એકથી વધુ વાર તઅઝિયત માટે જવું મકરૂહ છે. આ સિવાય ના બધા રીત રિવાજો શરીઅતથી સાબિત નથી.

(શામી દુ. મુખ્તાર ૬૦૩/૧, કબીરી ૬૦૯, તહતાવી–૩૩૯)

Log in or Register to save this content for later.