Chapter : તહારત
(Page : 154)
સવાલ :– છાણ–માટીથી લીંપેલ જમીન ઉપર કોઈ પાથરણું બિછાવ્યા વગર નમાઝ પઢી શકાય કે નહિ ? અને જો પાક કપડું પાથરીને નમાઝ પઢતા હોય અને તે સમયે છાણથી લીંપેલી જગ્યા ઉપર પગ પડી જાય તો નમાઝ ફાસિદ થશે કે નહિ ?
જવાબ :– છાણ–માટી મિશ્રણ કરી બનાવેલા ખરડ (ગાર)માં જો છાણનો ભાગ વધુ હોય અને છીંપણના સુકાય ગયા પછી પણ છાણનો રંગ કે વાસ બાકી હોય તો તે જગ્યા નાપાક ગણાશે. અલબત્ત, જો સુકાય ગયા પછી છાણનો રંગ કે વાસ બાકી ન રહે તો તે જગ્યા પાક ગણાશે, એવી જ રીતે જો ગારમાં છાણનો ભાગ માટી કરતાં ઓછા પ્રમાણમાં હોય અને લીંપણમાં માલૂમ ન પડતો હોય તો પણ તે જગ્યા પાક ગણાશે.
જે સૂરતમાં છાણ–માટીની ગારથી લીંપેલી જગ્યા પાક હોય તે સૂરતમાં તે જગ્યા ઉપર કોઈ પાથરણું પાથર્યા વિના પણ નમાઝ પઢવી જાઈઝ છે અને જે સૂરતમાં ઉપર લખેલી વિગત મુજબ તે જગ્યાના નાપાક હોવાનો હુકમ લાગતો હોય તે સૂરતમાં તે જગ્યા ઉપર એવું જાડું કપડું બિછાવીને નમાઝ પઢવી જાઈઝ છે કે જેના ઉપર સજદો કરવાથી છાણની વાસ આરપાર ન આવે. (‘શામી ૧/ર૩૩, ‘ઉમ્દતુલ ફિકહ ૧/ર૬૬)
નાપાક જગ્યા ઉપર કપડું પાથરીને નમાઝ પઢવાની સૂરતમાં પૂરો પગ અથવા હથેળીના અંદરના ઉંડાણવાળા ભાગથી વધુ પ્રમાણમાં પગનો કોઈ ભાગ નાપાક જગ્યા ઉપર પડી જાય અને ત્રણ વાર સુબ્હાનલ્લાહ પઢી શકાય એટલા સમય સુધી પૂરો પગ અથવા તેનો કોઈ ભાગ નાપાક જગ્યા ઉપર બાકી રહે તો નમાઝ ફાસિદ થઈ જશે અને જો એટલો સમય નાપાક જગ્યા ઉપર બાકી ન રહે તો નમાઝ ફાસિદ નહિ થાય.
એવી જ રીતે જો હથેળીના અંદરના ઉંડાણવાળા ભાગથી ઓછા પ્રમાણમાં પગનો કોઈ ભાગ પાથરણાથી નીચે નાપાક જગ્યા ઉપર પડી જાય તો પણ નમાઝ ફાસિદ નહિ થાય, ચાહે તે ગમે તેટલી વાર નાપાક જગ્યા ઉપર રહે, પરંતુ પગનો આટલો થોડો ભાગ પણ ઈરાદાપૂર્વક પાથરણાથી નીચે નાપાક જગ્યા ઉપર મૂકી રાખવો ન જોઈએ. (‘કબીરી ર૧૦)
Log in or Register to save this content for later.