Chapter : તહારત
(Page : 149)
સવાલ :– તાવ આવે ત્યારે કોલન વોટરથી કપડું ભીગાડીને તે માથા ઉપર મૂકવામાં આવે છે, તો એ પ્રમાણે કોલન વોટર વાપરી શકાય કે નહિ ? અને જો બીમાર માણસે તેનો ઉપયોગ કર્યો હોય, તો એવી હાલતમાં નમાઝ પઢી શકાય કે નહિ ? અગર તાવના લઈને કોલન વોટર ધોવા માટે ગુસલ ન કરી શકે, તો નમાઝ કઈ રીતે પઢી શકાય ? શું નમાઝ કઝા પઢવી પડશે ?
જવાબ :– કોલન વોટર વિશે મુસલમાન ડોકટરથી તહકીક કરવી જોઈએ કે તેમાં અલ કોહલ અથવા સ્પ્રીટ જેવી કોઈ નાપાક વસ્તુની મિલાવટ હોવાથી તે નાપાક છે કે નહિં?
જો તેમાં કોઈ નાપાક વસ્તુની મિલાવટ નથી, તો માથા ઉપર તેનો ઉપયોગ કરવામાં વાંધો નથી અને તેનાથી ભીગાડેલું કપડું માથા ઉપર મૂકયા પછી માથું ધોયા વગર નમાઝ પઢવી પણ જાઈઝ છે.
જો કોઈ નાપાક વસ્તુની મિલાવટના કારણે કોલન વોટર નાપાક હોય, તો દવા–ઈલાજની મજબૂરી વગર તેનો ઉપયોગ કરવો જાઈઝ નથી અને તેનાથી ભીગાડેલું કપડું મૂકયા પછી શરીરના તે ભાગને ધોયા વગર નમાઝ પઢવી પણ જાઈઝ નથી. (સિવાય એ કે તે નાપાક દવા શરીર ઉપર ફકત માફીના પ્રમાણમાં લાગેલી હોય.)
જો મુસ્લિમ ડોકટરના અભિપ્રાયથી અથવા પોતાના અનુભવથી એ વાતનો ભય હોય કે માથા ઉપર લગાડેલી તે નાપાક દવા ધોવાથી બીમારી વધી જશે, તો તે નાપાક દવા ધોયા વગર પણ નમાઝ પઢવી જાઈઝ અને જરૂરી છે, નમાઝ છોડવી જાઈઝ નથી અને વખતમાં પઢયા પછી કઝા પઢવાની જરૂરત નથી. (‘શામી ૧/ર૦૪, ‘કબીરી ૧૯૭)
Log in or Register to save this content for later.