[૮૯] આદત મુજબ હૈઝ–નિફાસ બંધ થયા પછી બે ત્રણ દિવસે ફરી શરૂ થયેલા ખૂનનો હુકમ

Chapter : તહારત

(Page : 131-132)

સવાલ :– એક ઓરતને દર મહિને પાંચ દિવસ હૈઝ (માસિક) આવવાની આદત હતી, આ આદત મુજબ ખૂન બંધ થવાથી તેણે પાક થઈને નમાઝ શરૂ કરી દીધી અને માહે રમઝાનના જે રોઝા છૂટયા હતા તેની કઝા પણ શરૂ કરી દીધી, પછી સાતમાં દિવસે ફરી ખૂન ચાલુ થઈ ગયું અને લગભગ દસમાં દિવસ સુધી ચાલુ રહ્યું અને તે પછી અગિયારમાં દિવસે ગુસલ કરીને ફરી પાક થઈ ગઈ તો પહેલીવાર ખૂન બંધ થયા પછી અને ફરીવાર શરૂ થતાં પહેલાં જે કઝા રોઝાઓ રાખ્યા છે તે મોઅતબર ગણાશે કે ફરીથી રાખવા પડશે અને કદાચ ફરીથી શરૂ થયેલું ખૂન બારમાં અથવા પંદરમાં દિવસ સુધી ચાલુ રહ્યું હોય તો આ સૂરતમાં વચમાં રાખેલા કઝા રોઝાઓનો શું હુકમ છે ?

                બાળક પેદા થવા બાદ ઓરતને પાક થવાની મુદ્દત ચાળીસ દિવસની છે, પરંતુ જો કોઈ ઓરતની ત્રીસ અથવા પાંત્રીસ દિવસ ઉપર પાક થવાની આદત છે અને આદત પ્રમાણે તેણે ગુસલ કરી પાંત્રીસમાં દિવસે નમાઝ શરૂ કરી દીધી અથવા માહે રમઝાનના કઝા રોઝાઓ રાખવા શરૂ કરી દીધા અને બે દિવસ રોઝા રાખ્યા પછી ફરી ખૂન શરૂ થઈ ગયું તો આ સૂરતમાં વચ્ચે રાખેલા કઝા રોઝાઓ મોઅતબર ગણાશે કે ફરીથી રાખવા પડશે ? અગર ફરીવાર શરૂ થયેલું ખૂન બચ્ચું પેદા થયા પછીથી ચાળીસ દિવસથી વધારે ચાલુ રહ્યું તો આ સૂરતમાં રોઝાઓનો શું હુકમ છે ?

જવાબ :– જો સાતમા દિવસે ફરીવાર શરૂ થયેલું ખૂન પહેલી શરૂઆતના દસમા દિવસે બંધ થઈ ગયું તો પહેલા દિવસથી દસમા દિવસ સુધીના બધા જ દિવસો હૈઝના ગણાશે, માટે વચ્ચેના ગાળામાં જે કઝા રોઝા રાખ્યા હોય તે મોઅતબર નહિ ગણાય અને તે રોઝા ફરીથી રાખવા પડશે અને જો સાતમા દિવસે ખૂન ફરીવાર શરૂ થઈ બારમા દિવસ સુધી ચાલુ રહ્યું તો આ સૂરતમાં દરમ્યાની ગાળામાં રાખેલા રોઝા મોઅતબર અને દુરૂસ્ત ગણાશે, તે રોઝાઓ ફરીથી રાખવા જરૂરી નથી, કારણકે ફરીથી શરૂ થયેલું ખૂન હૈઝનું ખૂન નહિ ગણાય, બલ્કે બીમારીનું ખૂન ગણાશે અને કઝા રોઝાઓ પાકીની હાલતમાં રાખેલા ગણાશે.

                બાળકની વિલાદત બાદ ઓરતને વહેતું ખૂન કોઈ ઓરતની આગલી વિલાદતની આદત મુજબ ત્રીસમા અથવા પાંત્રીસમા દિવસે બંધ થઈ ગયા પછી બે દિવસે ફરી શરૂ થયું અને બે દિવસ પછી વિલાદતના એકતાળીસમા અથવા તેથી વધુ દિવસ સુધી ચાલુ રહ્યું તો પહેલીવાર ખૂન બંધ થયા પછી રાખેલા કઝા રોઝા મોઅતબર ગણાશે, કારણકે ફરી શરૂ થયેલું ખૂન નિફાસનું ખૂન નહિ ગણાય બલ્કે બીમારીનું ગણાશે, માટે કઝા રોઝા પાકીની હાલતમાં રાખેલા ગણાશે અને જો ફરી શરૂ થયા પછી ચાળીસમા અથવા તેથી ઓછા દિવસ ઉપર બંધ થઈ ગયું તો દરમ્યાનમાં રાખેલા કઝા રોઝા મોઅતબર નહિ ગણાય, તે રોઝા ફરી રાખવા પડશે, કારણકે તે રોઝા નિફાસની મુદ્દત પૂરી થતાં પહેલાં રાખેલા ગણાશે.          (‘શામી ભાગ ૧)

Log in or Register to save this content for later.