Chapter : તહારત
(Page : 127)
સવાલ :– એક માણસને શરદીની ઘણી તકલીફ છે, ઠંડા પાણીથી વુઝૂ કરતાં પણ શરદી થઈ જાય છે અને ગરમીની મોસમમાં પણ તકલીફ રહે છે, તો આવી હાલતમાં તયમ્મુમ કરી નમાઝ પઢી શકાય કે નહિ ?
ગુસલ વાજિબ થઈ જાય તો ગુસલ કરવાથી પણ ઘણી તકલીફ થાય છે અને નમાઝ કઝા થઈ જાય છે, તો વાજિબ ગુસલના બદલે તયમ્મુમ કરી નમાઝ અદા કરી શકાય કે નહિ ? દવા ચાલુ છે, પરંતુ તકલીફમાં ફરક પડતો નથી.
જવાબ :– જો ગરમ પાણીથી વુઝૂ અને ગુસલ કરવામાં બીમાર થઈ જવાની તકલીફ ન થતી હોય અને ગરમ પાણીની વ્યવસ્થા શકય હોય તો ઠંડા પાણીથી વુઝૂ અથવા ગુસલ કરવાથી બીમાર પડી જવાના ભયથી તયમ્મુમ કરવું જાઈઝ નથી, બલકે ગરમ પાણીની વ્યવસ્થા કરી તેનાથી વુઝૂ તથા ગુસલ કરવું વાજિબ છે.
એવી જ રીતે જો ઠંડા પાણીથી વુઝૂ અથવા ગુસલ કર્યા પછી કપડાં વડે તુરત બદન સુકવી લેવાથી અને કોઈ કપડું ઓઢી લેવાથી અથવા હીટરની ગરમી લેવાથી જો શરદીના કારણે સંભવિત બીમારીથી બચવું શકય હોય તો પણ તયમ્મુમ કરવું જાઈઝ નથી.
અલબત્ત, જો ગરમ પાણી વગેરેની વ્યવસ્થા અશકય હોય અથવા ગરમ પાણી ઉપયોગ કરવા છતાં પણ જાત અનુભવના આધારે અથવા મુસ્લિમ, દીનદાર માહિર ડોકટરના રિપોર્ટના આધારે ઠંડા કે ગરમ પાણીથી વુઝૂ અથવા ગુસલ કરવાથી બીમાર પડી જવાનો ખરેખર ભય હોય તો તે સૂરતમાં વુઝૂ તથા ગુસલની જગ્યાએ તયમ્મુમ કરવું જાઈઝ છે.
તયમ્મુમના જાઈઝ હોવા બાબત આ હકીકત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે સામાન્ય રીતે ગુસલ કરતાં વુઝૂમાં ઠંડા કે ગરમ પાણીનો ઉપયોગ કરવાથી બીમાર પડી જવાની સંભાવના ઓછી અને કમઝોર હોય છે, કારણકે ગુસલમાં તો પાણીનો ઉપયોગ પૂરા શરીર ઉપર થાય છે, જયારે વુઝૂમાં તો માત્ર અમુક ખાસ અંગો ઉપર પાણીનો ઉપયોગ થાય છે. (‘શામી ૧/૧પ૬)
Log in or Register to save this content for later.