Chapter : નમાઝ
(Page : 393-394)
સવાલ :– અહિંયા મસ્જિદમાં કિબ્લા તરફ મિહરાબમાં લાઈટનો એક ઝુમર લગાડવામાં આવ્યો છે અને તેમાં હાથીની તસવીર છે અને દીવાલ ઉપર ખાનએ કઅબહનો ફોટો છે, જેમાં લોકો તવાફ કરતાં દેખાય છે. તો શું પાંચ વખતની ફર્ઝ નમાઝો પઢવાની જગ્યામાં આ પ્રમાણે જાનદાર વસ્તુઓના ફોટાઓ મૂકવા જાઈઝ છે ? અને આવી તસવીરો સામે નમાઝ પઢવાથી નમાઝ દુરૂસ્ત થાય કે નહિં ?
જવાબ :– મસ્જિદમાં એવો ઝુમર મૂકવો કે જેમાં હાથીની છબી હોય અને કઅબહ મુઅઝ્ઝમહનો એવો ફોટો લટકાવવો કે જેમાં તવાફ કરતા લોકોનો ફોટો હોય, નાજાઈઝ અને હરામ છે. જાનદારનો ફોટો ઘરમાં રાખવો પણ હરામ છે અને ઘરમાં તેના હોવાથી રહમતના ફરિશ્તા ઘરમાં દાખલ થતા નથી.
સહીહ મુસ્લિમ શરીફની હદીસમાં છે કે હઝરત જિબ્રઈલ (અલૈ.)એ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ને કહ્યું કે,‘‘અમો ફરિશ્તાઓ એવા ઘરમાં દાખલ થતા નથી જે ઘરમાં કૂતરૂં હોય અથવા કોઈ (જાનદારની) તસવીર હોય.
જ્યારે જાનદાર વસ્તુની તસવીર આપણા રહેવાના ઘરમાં રાખવી જાઈઝ નથી તો એવી તસવીર મસ્જિદમાં મૂકવી તો વિશેષ રીતે નાજાઈઝ અને હરામ ઠરે છે અને મસ્જિદમાં જાનદારની તસવીર લટકાવવાનો ગુનાહ ઘરમાં તસવીર મૂકવાના ગુનાહથી પણ વધુ થશે. કારણકે ફઝીલતવાળા સ્થળે હરામ કામનો ગુનાહ સામાન્ય સ્થળ કરતાં વધુ સખત હોય છે.
એવી મસ્જિદમાં નમાઝ પઢવી કે જેમાં મિહરાબમાં અથવા કિબ્લાની દીવાલમાં અથવા બીજી કોઈ દિવાલમાં જાનદારની તસવીર હોય એ મકરૂહે તહરીમી છે અને આવી હાલતમાં પઢેલી નમાઝનો ઈઆદહ કરવો જોઈએ. (‘શામી ૧/૩૦૭,૪૩પ)
Log in or Register to save this content for later.