[ર૮૦ ] સુન્નતો પછી દુઆએ સાનિયહ

Chapter : નમાઝ

(Page : 377-378-379)

સવાલ :– અમારા ગામમાં મુસ્લિમોના લગભગ ૧રપ જેટલાં મકાન છે. ગામમાં જુમ્આ મસ્જિદ તથા મદ્રસો છે. ખૂબ શાંતિથી કામ થતું હતું, પરંતુ છેલ્લા બે વર્ષથી એક મૌલાના આવ્યા છે તેમણે શરૂમાં ગામના રિવાજો મુજબ કામ કર્યું અને મહેનત કરી જેથી નમાઝીઓ થયા, દીનદારી લોકોમાં આવવા લાગી, સાચું–ખોટું લોકોને સમજાયું. થોડા સમય બાદ પ્રમુખ સાહેબે નમાઝ બાદ નમાઝીઓથી વાત કરી કે ભાઈઓ ઘણાં સમયથી દુઆએ સાનિયહ તેમજ ફાતિહા પઢતા આવ્યા છે, પરંતુ હવે દરેક ભાઈ પોતાની રીતે દુઆ કરી લે, ફાતિહા પઢી લે. ઈમામ સા. નહિં પઢાવે. ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો નહિં. અમુક દિવસ પછી અમુક સાથીઓ એક મકાનમાં ભેગા થઈ પાંચ વખતની નમાઝ અને જુમ્અહની નમાઝ પઢે છે. તો આ રીતે નમાઝ પઢવાથી નમાઝ સહીહ થશે ? અગર જુમ્અહ મસ્જિદના ઈમામ સા. દરેક બિદઅત કરવા લાગે તો તેના પાછળ તે લોકો નમાઝ પઢવા તૈયાર છે. તો આ હાલતમાં ઈમામ સાહેબે શું કરવું જોઈએ ? બિદઅતો શરૂ કરવી કે પછી હક પર રહી બાતિલને જતું કરવું ?

જવાબ :– મસ્જિદ છોડીને કોઈ મકાનમાં જુમ્અહની નમાઝ પઢવામાં આવે અને તે મકાનમાં દરેક જુમ્અહ પઢનારને આવવાની ઈજાઝત હોય તો જુમ્અહ દુરુસ્ત તો થઈ જશે, પરંતુ વિના કારણે ફકત અમુક બિદઅતો કરવા માટે મસ્જિદની જમાઅત છોડી અલગ જમાઅત કરવી નાજાઈઝ અને સખત ગુનાહનું કામ છે. દુઆએ સાનિયહ જે ઘણી જગ્યાએ પ્રચલિત છે એ બિદઅત છે, કારણ કે હદીસ અને ફિકહમાં કોઈ જગ્યાએ એ વાતનો સુબૂત નથી કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબા (રદિ.) અને તે પછી મુજતહિદ ઈમામો (રહ.)ના સમયમાં હાલમાં પ્રચલિત પ્રથા મુજબ સુન્નતો અને નવાફિલ પછી બધા ભેગા મળીને તેને ઝરૂરી સમજીને દુઆ માંગતા હોય.                        (કિ. મુફતી, ભાગ–૩/ર૮૮)

               આવા બિદઅતપસંદ અમુક લોકોને ખુશ કરવા ઈમામ માટે બિદઅતો કરવી હરગીઝ જાઈઝ નથી, બલ્કે ઈમામ સા. માટે ઝરૂરી છે કે તેઓ બિદઅતોથી અળગા રહીને સુન્નત તરીકા મુજબ નમાઝ પઢાવ્યા કરે. જો બિદઅતો ન કરવાથી અમુક લોકો મસ્જિદની જમાઅતમાં શરીક નહિં થાય તો એના કારણે ઈમામ સા.ને કોઈ ગુનાહ લાગુ નહિં પડે, પરંતુ આવા કારણથી મસ્જિદની જમાઅતથી અલગ રહેનાર લોકો ગુનેહગાર થશે.         (શામી, ભાગ–૧)

Log in or Register to save this content for later.