Chapter : નમાઝ
(Page : 371-372-373)
સવાલ :– અમારા ગામની મસ્જિદના મુકતદીઓ નમાઝ પૂરી થતાં જ સલામ ફેરવી મસ્જિદમાંથી ચાલ્યા જાય છે. ઈમામ સા.ની દુઆ સુધી એક પણ મુકતદી હાજર રહેતો નથી, અમે જાણીએ છીએ કે દુઆ કોઈ વાજિબ કે ફર્ઝ નથી, બલ્કે મુસ્તહબ છે, પણ મુકતદીઓમાં ઘણી જ જહાલત છે તો એ બાબત કોઈ વઈદ કુર્આન–હદીસમાં હોય તો જણાવશો, જેથી મુકતદીઓની આ આદત દૂર થાય.
જવાબ :– ફર્ઝ નમાઝો પછી દુઆ કરવી હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો તરીકો અને આપની સુન્નત છે અને તે સમય દુઆની મકબૂલિયતનો સમય છે માટે તે સમયે દુઆને છોડવાની આદત બનાવી લેવી એ સુન્નત વિરૂધ્ધ છે. (કિ. મુફતી : ર૯પ, ભાગ–૩)
હઝરત અબૂ ઉમામહ (રદિ.)થી રિવાયત છે કે હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી પૂછવામાં આવ્યું કે કયા સમયની દુઆ વધુ મકબૂલ થાય છે. તો રસૂલુલ્લાહે (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ફરમાવ્યું કે રાતના આખરી ભાગની દુઆ અને ફર્ઝ નમાઝો પછીની દુઆ. (તિરમિઝી, મિશ્કાત શરીફ : ૮૯)
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે દુઆ એ જ ઈબાદત છે. બીજું ફરમાન છે કે દુઆ ઈબાદતનો ગૂદો છે. ત્રીજું ફરમાન છે કે અલ્લાહ તઆલાની નજરમાં દુઆથી વધીને કોઈ અમલ ઈઝ્ઝતવાળો નથી. ચોથું ફરમાન છે કે જે માણસ અલ્લાહ તઆલાથી સવાલ અને દુઆ નથી કરતો, અલ્લાહ તઆલા તે માણસથી નારાજ થાય છે. (મિશ્કાત : ૧૯૪)
બીજી સુન્નતો અને મુસ્તહબોની જેમ દુઆથી નમાઝમાં કમાલ પેદા થાય છે. હઝ. રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે નમાઝ (નફલ) બે રકઅત છે. એટલે કે દર બે રકઅત પછી તશહ્હુદ (અત્તહિય્યાત) પઢવાનું છે અને નમાઝ ખુશૂઅ્ (અલ્લાહ તઆલા તરફ ધ્યાન લગાડવાનું) અને આજિઝી ઝાહિર કરવાનું નામ છે. ફરી સલામ ફેરવીને તમો પોતાના બન્નેવ હાથ દુઆ માટે ઉઠાવો અને જે માણસ નમાઝ પછી દુઆ નથી માંગતો, તેની નમાઝ નુકસાનવાળી અને અધૂરી છે. (તિરમિઝી, મિશ્કાત શરીફ : ૭૭)
Log in or Register to save this content for later.