[ર૬૩ ] વર્તમાન પરિસ્થિતીમાં દુઆઓ

Chapter : નમાઝ

(Page : 337-338-339-340-341)

સવાલ :– શૈખુલ હદીસ હઝરત મૌલાના ઝકરિય્યા સાહેબ (રહ.)એ પોતાની કિતાબ ‘ફઝાઈલે આમાલમાં એક હદીસ નકલ ફરમાવી છે કે,

હઝરત આઈશા (રદિ.)એ કહ્યું કે,‘‘હઝરત નબી (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) એકવાર મારી પાસે તશરીફ લાવ્યા તો હું આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નો નૂરાની ચહેરો જોઈને સમજી ગઈ કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) સમક્ષ કોઈ ખાસ વાત ઉપસ્થિત થઈ છે. આપે વુઝૂ ફરમાવ્યું અને કોઈથી પણ કોઈ વાતચીત ન ફરમાવી (અને સીધા મસ્જિદમાં દાખલ થઈ ગયા) હું રૂમની દિવાલ સાથે અડીને આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)ની વાતો સાંભળવા ઊભી થઈ ગઈ.

હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ મિમ્બર ઉપર બેસીને અલ્લાહની હમ્દ અને સના કરી અને ફરમાવ્યું કે, ‘હે લોકો અલ્લાહ તઆલા તમારાથી ફરમાવે છે કે, તમો ભલી વાતોનો હુકમ કરો, અને બૂરી વાતોથી મના કરો, તે સમયથી પહેલાં કે તમો દુઆ કરો અને હું તમારી દુઆ કબૂલ ન કરું અને તમો મારાથી સવાલ કરો અને હું તમોને જવાબ ન આપું અને તમો મારાથી મદદ માંગો અને હું તમારી મદદ ન કરું.  આથી વિશેષ કંઈ ફરમાવ્યા વગર મિમ્બરથી નીચે ઉતરી ગયા.

(‘ફઝાઈલે તબ્લીગ)

               વર્તમાન સમયમાં જયારે કે સઘળી ઉમ્મતે મુસ્લિમા મુસીબતગ્રસ્ત, મઝલૂમ અને પરેશાનહાલ છે. અમો પૂરી ઉમ્મત માટે ઉમૂમી દુઆ કરીએ છીએ અને યાસીન શરીફ તથા આયતે કરીમાનો વિર્દ પઢીને ઈજતિમાઈ દુઆ પણ કરીએ છીએ તો અમારા અમુક ભાઈઓ કહે છે કે, અમો અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ નથી કરતા માટે અમારી દુઆ પણ કબૂલ નહિ થાય, તો સવાલ આ છે કે, શું અમો આ પ્રમાણે દુઆ કરવાનું છોડી દઈએ ? અને શું દુઆની મકબૂલિયત માટે અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કર શર્ત છે ? અને ઉપરોકત હદીસનો સહીહ મતલબ શું છે ?

જવાબ :– સવાલમાં નકલ કરવામાં આવેલી હદીસનો મતલબ અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ (ભલી વાતોનો હુકમ) અને નહી અનિલ્‌ મુન્‌કર (બૂરી વાતોથી મનાઈ)નું કામ છોડવાની વઈદ અને તેના બૂરા પરિણામને બયાન કરવાનો છે કે, જો આ અમલથી ગફલત વર્તવામાં આવશે અને એનો ત્યાગ કરવામાં આવશે તો પરિણામે આમ અઝાબ આવશે અને અઝાબ આવી ગયા પછી તેનાથી હિફાઝત માટે માત્ર દુઆઓ કારગર અને કબૂલ નહીં થાય જેમ કે આ બાબતને લગતી બીજી હદીસોથી આ વાત સારી રીતે સમજી શકાય છે.

               હઝરત હુઝયફા (રદિ.) હઝરત નબીએ કરીમ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે,

“તે પાક ઝાતની કસમ જેના કબજામાં મારી જાન છે કાં તો તમે લોકો અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કર કરતા રહો, નહિ તો અલ્લાહ તઆલા પોતાના તરફથી તમારી ઉપર ખૂબ જલ્દી કોઈ અઝાબ ઉતારી આપશે, પછી તમો દુઆઓ કરશો અને તમારી દુઆઓ કબૂલ નહિં થાય.

               મુલ્લા અલી કારી (રહ.) આ હદીસનો ભાવાર્થ આ પ્રમાણે બયાન કરે છે, ‘‘અલ્લાહ તઆલાની કસમ બે વાતોમાંથી એક વાત જરૂર થશે કે યા તો અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કર કરવામાં આવશે અથવા તમારા પરવરદિગાર તરફથી અઝાબ નાઝિલ થશે અને પછી તે અઝાબના દૂર થવાની દુઆ કબૂલ નહિ થાય.

હઝરત અબૂ હુરય્‌રહ (રદિ.)થી મજકૂર હદીસ આ પ્રમાણે નકલ છે કે, ‘‘યા તો તમે લોકો અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કર કરતા રહો, નહિ તો અલ્લાહ તઆલા તમારા બૂરા લોકોને તમારી ઉપર ગાલિબ કરી દેશે પછી તમારા નેક લોકો દુઆઓ કરશે અને તેઓની દુઆઓ કબૂલ નહિ થાય.

(‘મિરકાત શર્હે મિશ્કાત ૯/૩૩૧)

               ઉપરોકત હદીસોની રોશનીમાં એવું કહેવું અને સમજવું તો દુરૂસ્ત છે કે વર્તમાન પરિસ્થિતીમાં હિન્દુસ્તાની મુસ્લિમ સમાજ ઉપર જે સંજોગો અને સમસ્યાઓ આવી પડી છે તેમાં તેઓની દીની ગફલત અને અમલી કોતાહીને પણ ઘણો દખલ છે. આજે દરેક ઘર, મહોલ્લા, આબાદી અને એરિયાને જુઓ તો સામાન્ય રીતે ઈસ્લામના ફર્ઝોનો ત્યાગ અને દરેક પ્રકારના ગુનાહોના આચરણ જેવા ભયંકર દૂષણો મુસ્લિમ સમાજમાં સર્વત્ર છવાયેલાં છે અને આ ઉમૂમી ફસાદ અને બગાડને દૂર કરવા માટે જે ઉમૂમી ઈસ્લાહી મહેનતની જરૂરત છે તે નહિવત્‌ છે. માટે ઉમૂમી ઈસ્લાહી મહેનત તરફ ધ્યાન દેવાની ખાસ જરૂરત છે અને એ વાતનો ઉત્સાહ જગાડવા માટે ‘ફઝાઈલે તબ્લીગ અને ‘મુસલમાનોંકી મવજૂદા પસ્તીકા વાહિદ ઈલાજ નામી પુસ્તિકાઓનો અભ્યાસ અને તેની તાલીમ ઘણી લાભદાયી અને ઉપયોગી છે. પરંતુ એવું કહેવું અને સમજવું દુરૂસ્ત નથી કે મજકૂર હદીસનો મતલબ એ હકીકતને બયાન કરવાનો છે કે દુઆની કબૂલિયત માટે અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કર શર્ત છે અને અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ વગર દુઆ અને બીજા નેક અમલો વર્તમાન પરિસ્થિતીમાં બિલકુલ બેફાયદા અને નિરર્થક છે. બલ્કે આવું કહેવું અને સમજવું એ ઉમૂમી ઈસ્લાહી મહેનત કરવાની પ્રાપ્ત થતી સોનેરી તકોને ગુમાવવા સમાન અને અલ્લાહ તઆલાથી તઅલ્લુક અને નજદીકી પેદા કરવાની કોશિશોને રોકવા સમાન છે.

               ઉલમાએ કિરામે કુર્આન અને હદીસથી સાબિત થતા દુઆના આદાબ વિગતથી લખ્યા છે તેમાં અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કરનું દુઆની મકબૂલિયત માટે શર્ત હોવાનું કોઈ વર્ણન નથી માટે મજકૂર હદીસના આધારે વર્તમાન પરિસ્થિતીમાં દુઆઓ ન કરવી અને તેને નિરર્થક સમજવી એ દુરૂસ્ત નથી. કારણકે તવબહ અને ઈસ્તિગફારથી કબીરા ગુનાહો અહિંયા સુધી કે કુક્ન અને શિર્ક જેવો મહાન કબીરા ગુનાહ પણ માફ થઈ શકે છે અને થાય છે તો અમ્ર બિલ્‌ મઅ્‌રૂફને છોડવાનો ગુનાહ પણ તવબહ અને ઈસ્તિગફારથી માફ થઈ શકે છે અને હાલના સંજોગોમાં થતી દુઆઓમાં જેવી રીતે મુસીબતો અને આફતોના દૂર થવાનો અને તેનાથી સલામતીના મઝમૂન હોય છે તેવી જ રીતે દરેક પ્રકારના ગુનાહોથી તવબહ, ઈસ્તિગફારનો અને અમ્ર બિલ્‌ મઅ્‌રૂફનો મઝમૂન પણ હોય છે. માટે હાલના સંજોગોમાં તવબહ, ઈસ્તિગફાર, આફતોથી સલામતી અને અમ્ર બિલ્‌ મઅ્‌રૂફ અને નહી અનિલ્‌ મુન્‌કરના મઝમૂનવાળી થતી દુઆઓ જરૂર કરતાં રહેવું જોઈએ અને દુઆના કબૂલ થવાની ઉમ્મીદ સાથે દુઆ કરવી જોઈએ. કુર્આન શરીફની અનેક આયતો અને હદીસોથી એ હકીકત સાબિત છે કે મુસીબત અને આફત વખતે દુઆ અને તવબહ કરી અલ્લાહ તઆલાથી પોતાનો તઅલ્લુક મજબૂત બનાવી અલ્લાહ તઆલાની રહમતો નાઝિલ થાય એવી કોશિશ કરવી જોઈએ.

Log in or Register to save this content for later.