[૮૦] ટાંકીમાં મરેલી ફુલેલી કાબર મળે

Chapter : તહારત

(Page : 124)

સવાલ :– મસ્જિદે તવહીદુલ ઈસ્લામ પારખેતની ટાંકી જેની લંબાઈ ૯ ફૂટ ૩ ઈંચ છે અને પહોળાઈ ૮ ફૂટ ૯ ઈંચ છે અને ઉંડાઈ ૩ ફૂટ અને ૧૦ ઈંચ છે, જેમાં કાબર પડીને મરી ગઈ અને ફૂલી ગઈ, ફાટી નથી, પરંતુ પાણીમાં બદબૂ જાહેર થવા લાગી હતી, જે અમુક માણસોને જ માલૂમ પડતી હતી. બદબૂ આવતાં જ ટાંકી તો ખાલી કરી નાંખી, અસરની નમાઝમાં કોઈને બદબૂની ફરીયાદ ન હતી, પરંતુ મગરિબમાં અઝાન પહેલાં બદબૂની ફરીયાદ આવી તો મગરિબની નમાઝ બીજા પાણીથી વુઝૂ કરી ઈમામ સાહેબ સહિત બધા મુક્તદિઓએ પઢી, તો અગાઉ પઢેલી નમાઝો શું દોહરાવવી પડશે ? અગર હાં તો કેટલી નમાઝો દોહરાવવી પડશે ?

જવાબ :–મજકૂર ટાંકીનું પાણી નાપાક ગણાશે અને કાબરના ટાંકીમાં પડવાના ચોક્કસ સમયની ખબર નથી અને કાબર ફૂલી ગઈ છે, માટે જે વખતે કાબર ટાંકીના પાણીમાં ફુલેલી હાલતમાં મળી છે તેથી પહેલાં ત્રણ દિવસ અને ત્રણ રાતો (૭ર કલાક)થી ટાંકીનું પાણી નાપાક ગણવામાં આવશે અને આ સમય દરમ્યાન જે લોકોએ આ ટાંકીના પાણીથી વુઝૂ કરીને નમાઝો પઢી છે તે ફર્ઝ–વાજિબ અને ફજરની સુન્નત નમાઝો દોહરાવવી પડશે.

                અને ટાંકીને પાક કરવાનો તરીકો આ છે કે મરેલી કાબર કાઢી લઈ બદબૂદાર બધું પાણી કાઢી નાંખવામાં આવે અને તે પછી જેટલું નાપાક પાણી ટાંકીમાં હતું તેટલું પાક પાણી એકવાર ટાંકીમાં ભરીને નળો ચાલુ કરી કાઢી નાંખવામાં આવે તો ટાંકી, પાઈપ અને નળો પાક થઈ જશે અને અમુક ફુકહાએ કિરામના મંતવ્ય મુજબ આ પ્રમાણે ત્રણ વાર પાણી ભરીને નળો ચાલુ કરીને ખાલી કરવાથી ટાંકી અને નળો, પાઈપો પાક ગણાશે. (કબીરી ૯૯/શામી–૧/૧૪પ)

Log in or Register to save this content for later.