Chapter : તહારત
(Page : 116)
સવાલ :– ઘરની પાણીની ટાંકીમાં ઉંદર મરી ગયેલો હોય, તે પાણીની ગંધથી અંદાજે કહી શકીએ કે બે–ત્રણ દિવસથી મરી ગએલ હશે, તો એ ટાંકીને પાક કરવાની શું રીત છે ? એ ટાંકીનું પાણી બે–ત્રણ દિવસ વાપર્યું તો તેનું શું કરવું જોઈએ ? દા. ત. ગુસલ વુઝૂ અને ખાવા પકાવવામાં વાપર્યું.
જવાબ :– મજકૂર ટાંકીને પાક કરવાનો તરીકો આ છે કે સૌ પ્રથમ મરેલો ઉંદર ટાંકીમાંથી કાઢી લેવામાં આવે અને દુર્ગંધ (બદબૂ)વાળું ટાંકીમાંનું પાણી બધું જ કાઢી નાખવામાં આવે, તે પછી એક તરફ ટાંકી ભરવાના નળથી ટાંકી ભરવામાં આવે, ટાંકી ભરાય ગયા પછી અથવા જેટલું નાપાક પાણી ટાંકીમાં હતું તેટલું જમા થયા પછી બીજી તરફથી ટાંકીમાંથી પાણી કાઢવાના નળો ખોલી આપવામાં આવે, હવે ટાંકી ભરવાનો નળ અને ખાલી થવાના નળો બન્ને ચાલુ રાખીને પાણીની આવક અને જાવક ચાલુ રાખીને એટલું પાણી એકવાર ટાંકીમાંથી નીકળવા દેવું જોઈએ જેટલું નાપાક પાણી ટાંકીમાં પહેલાં હતું, જ્યારે એટલું પાણી નીકળી જશે તો ટાંકી અને નળો બધું પાક ગણાશે. (કબીરી–૧૦૩)
ઉંદર જ્યારે ટાંકીમાં જોયો ત્યારે જો તે ફૂલી ગયો હતો અથવા ફાટી ગયો હતો તો તે ટાંકીનું પાણી પાછલા ત્રણ રાત–દિવસથી (૭ર કલાકથી) નાપાક ગણાશે, માટે એ ૭ર કલાકમાં એ પાણીના વુઝૂથી અને ગુસલથી જે વાજિબ અને ફર્ઝ નમાઝો પઢી છે તે ફરીથી પઢવી પડશે અને જે કપડાં–વાસણ વિગેરે તે પાણીથી ધોયાં છે તેને ફરીથી પાક પાણીથી ધોઈને પાક કરવાં પડશે, એ પાણીથી પકાવેલું ખાવું પણ નાપાક ગણાશે, જે કૂતરાંને ખવડાવી દેવામાં આવશે.
જો ટાંકીમાંનો ઉંદર (મરેલો) ફૂલ્યો અથવા ફાટયો ન હતો તો જ્યારથી જાણ થઈ ત્યારથી પાછલા એક રાત–દિવસ (ર૪ કલાક)માં તે ટાંકીનું પાણી નાપાક ગણવામાં આવશે અને ઉપર મુજબ પાછલા ચોવીસ કલાકની નમાઝો અને કપડાં–વાસણ–ખાવાનો હુકમ લાગુ પડશે. (શામી, ભાગ–૧/૧૪પ)
Log in or Register to save this content for later.