[૭૦] સોલાર હીટરથી ગરમ થયેલા પાણીનો ઉપયોગ

Chapter : તહારત

(Page : 112-113)

સવાલ :– આજકાલ બજારમાં સોલાર હીટર મળે છે. આ હીટરમાં બિલોરી કાચ લાગેલો હોય છે અને તે કાચ વડે સૂર્યના કિરણો એકત્ર કરીને પાણી ગરમ કરવામાં આવે છે, તો મજકૂર હીટર વડે ગરમ કરેલા પાણીથી વુઝૂ અને ગુસલ કરવું જાઈઝ છે કે નહિ ?

                મજકૂર હીટર બનાવનાર કંપનીના પ્રતિનિધીથી વાતચીત દરમિયાન કહેવામાં આવ્યું કે આ પ્રમાણે ગરમ કરેલું પાણી તંદુરસ્તી માટે નુકસાનકારક છે, તો તેણે જવાબ આપ્યો કે મજકૂર પાણી હાનિકારક નથી, કારણકે પાણી ગરમ થયા પછી રસાયણિક પદાર્થો દ્વારા સાફ થઈને તે પાણી પાઈપ અને નળમાં આવે છે અને મજકૂર હીટરથી ગરમ થયેલું પાણી હાનિમુકત હોવાથી ડોકટરો વગેરે પણ આ હીટરનો પોતાના ઘરોમાં ઉપયોગ કરે છે અને મજકૂર હીટર લગાવ્યા પછી કોઈ ખર્ચ કરવો પડતો નથી, વળી કંપનીવાળા આ હીટર સંસ્થાઓને ખૂબ કિફાયત ભાવથી આપે છે. માટે જો મજકૂર સોલાર હીટરથી ગરમ અને સ્વચ્છ થયેલા પાણીનો ઉપયોગ કરવો જાઈઝ હોય તો અમો સંસ્થામાં તેને લગાડવા ચાહિએ છીએ. માટે એ વિશે જવાબ આપશો.

જવાબ :– સવાલમાં દર્શાવેલી સોલાર હીટરની વિગતથી માલૂમ પડે છે કે આ હીટર વડે સૂર્યના તડકાથી પાણી ગરમ થાય છે અને વુઝૂ તથા ગુસલ માટે સૂરજના તડકાથી ગરમ થયેલું પાણી વાપરવું જાઈઝ છે, પરંતુ અમુક હનફી ફુકહાએ કિરામ મજકૂર પાણીના ઉપયોગને કરાહતે તનઝીહી સાથે જાઈઝ કહે છે અને તેનો ઉપયોગ મકરૂહે તનઝીહી હોવાની દલીલરૂપે હઝરત આઈશાહ (રદિ.)ની હદીસ રજૂ કરે છે કે તેઓએ હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) માટે સૂરજના તડકાથી પાણી ગરમ કર્યું તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ ફરમાવ્યું કે,

‘‘હે હુમય્‌રાઅ ! આવું ન કરો, કારણકે તડકાથી ગરમ થયેલું પાણી કોઢની બીમારી પેદા કરે છે.

અને હઝરત ઉમર (રદિ.)નું કથન છે કે,‘‘તડકાથી ગરમ થયેલા પાણીથી ગુસલ ન કરો, કારણકે  તેનાથી કોઢની બીમારી થાય છે.

                ‘ફતહુલ્‌ કદીર’, ‘અલ્‌ બહર’, ‘મિઅ્‌રાજુદ્દિરાયહ’, ‘અલ્‌હિલ્યહ’ અને ‘કુન્યહ’માં તડકાથી ગરમ થયેલા પાણીના ઉપયોગને મકરૂહ લખ્યું છે અને અલ્લામા શામી (રહ.)એ તેના મકરૂહે તનઝીહી હોવાના મંતવ્યને વિશ્વાસ– પાત્ર ઠરાવ્યું છે.  (‘શામી ૧/૩રપ, ઝક.)

                જયારે બીજા અમુક હનફી ફકીહો આ પ્રમાણે ગરમ થયેલા પાણીના ઉપયોગને કરાહત વગર જાઈઝ ફરમાવે છે, માટે ‘તનવીરુલ અબ્સાર’, ‘મિનહુલ ગફ્‌ફાર’, ‘નફઉલ્‌ મુફતી વસ્સાઈલ’માં તેના ઉપયોગને ગેર મકરૂહ લખ્યું છે અને હઝરત મૌલાના અબ્દુલ હય લખનવી (રહ.)એ ‘શર્હે વિકાયહ’ની શરહ ‘સિઆયહ’માં આવા પાણીના ઉપયોગના મકરૂહ હોવાની દલીલરૂપે રજૂ કરાયેલી હઝરત આઈશહ અને હઝરત ઉમર (રદિ.)ની ઉપરોકત બંને હદીસોના ઝઈફ હોવાની તફસીલ નકલ ફરમાવી છે અને તેના ઉપયોગના મકરૂહ હોવા બાબત ફિકહની કિતાબોનો મતભેદ પણ વર્ણન કર્યો છે.  (‘સિઆયહ ૧/૩૩૭)

                મુલ્લા અલી કારી (રહ.)એ મજકૂર હદીસનો ભાવાર્થ આ પ્રમાણે બતાવ્યો છે કે, મજકૂર પાણીનો ઉપયોગ આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક છે અને તેમણે ઉકત બંને હદીસોનું ઝઈફ હોવું અને દલીલપાત્ર ન હોવું અને શરઈ દ્રષ્ટિએ મજકૂર પાણીના વપરાશના મકરૂહ હોવા વિષે કોઈ દલીલ ન હોવાનું વર્ણન કર્યું છે.                           (‘મિરકાત ર/૬પ)

                શૈખ અબ્દુલકાદિર હનફી (રહ.)એ શૈખ સિરાજુદ્દીન બિન મુલક્‌કિન (રહ.)થી નકલ કરેલ છે કે,

તડકાથી ગરમ થયેલા પાણીના ઉપયોગની મનાઈ વિશે નકલ કરવામાં આવતી હદીસો ગેર મોઅતબર છે અને એવા પાણીની મનાઈ પર તે હદીસો દલીલરૂપે રજૂ કરવી સહીહ અને જાઈઝ નથી. (‘તકરીરાતે રાફઈ કમ શામી ૧ ઝક.)

                ઉપરોકત વિગતથી માલૂમ પડયું કે સૂર્યના તડકાથી ગરમ થયેલા પાણીના ઉપયોગના મકરૂહે તનઝીહી હોવામાં પણ ફુકહાએ કિરામનો મતભેદ છે અને તેના ઉપયોગનું જાઈઝ હોવું વિવાદમુકત છે અને કરાહત આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક હોવાના કારણે છે, માટે જો સોલાર હીટરથી ગરમ થયેલું પાણી આરોગ્યની દ્રષ્ટિએ હાનિકારક ન હોય તો પાણી ગરમ કરવા માટે સોલાર હીટરનો સંસ્થામાં ઉપયોગ કરવો જાઈઝ છે અને વુઝૂ તથા ગુસલ માટે તેનાથી ગરમ થયેલા પાણીનો ઉપયોગ પણ જાઈઝ છે.

Log in or Register to save this content for later.