Chapter : તહારત
(Page : 109-110)
સવાલ :– અમારી મસ્જિદમાં વુઝૂના પાણી માટે દસ બાય દસથી મોટી ટાંકી છે, એમાં કોઈક વાર ખિસકોલી કે ઉંદર પડી મરી જાય તો નમાઝ દોહરાવવી પડશે કે કેમ ? અને કઈ સૂરતમાં કેટલા દિવસોની નમાઝો લોટાવવી પડશે ? અમોએ એક મદ્રસાના મોટા આલિમને પૂછયું તો તેઓ કહે છે કે ટાંકીને કૂવાના મસાઈલ પર કયાસ કરવું ગલત છે, ચાહે તેમાં મરેલ જાનવર ફૂલી ફાટી જાય અને તે મૌલાના સાહબે તો અહિંયા સુધી કહ્યું કે, જો ટાંકી ૧૦ શ ૧૦ થી નાની હોય તો પણ કંઈ વાંધો આવશે નહિ. તો આ બાબતનો ખુલાસો કરશો.
જવાબ :– જો ટાંકી ‘દહ દર દહ (૧પ શ ૧પ ફૂટ)ના માપ પ્રમાણે મોટી હોય અથવા મઝકૂર માપથી નાની હોય, પરંતુ તેમાં કોઈ જાનવર પડીને મરવાથી લઈને તેને કાઢી લેતાં સુધી તે ટાંકીનું પાણી વહેતું રહ્યું હોય, એટલે કે એક બાજુથી ટાંકીમાં પડતું હોય અને બીજી જગ્યાએથી નીકળતું હોય અને પાણીમાં મરેલા જાનવરનો અસર માલૂમ ન પડયો હોય, એટલે કે પાણીનો સ્વાદ, રંગ કે ગંધમાંથી કોઈ વસ્તુ તેમાં મરેલા જાનવરના કારણે ન બદલાઈ હોય તો આવી સૂરતમાં જાનવરના મરવાથી ટાંકીનું પાણી નાપાક નહિ ગણાય.
જો ટાંકી મોટી હોવા છતાં અથવા નાની ટાંકીનું પાણી વહેતું હોવા છતાં તેના પાણીમાં મરેલા જાનવરનો અસર માલૂમ પડે તો ટાંકીનું પાણી નાપાક ગણાશે અને ટાંકીને પાક કરવાના તરીકા મુજબ તેને પાક કરવી પડશે અને બદબૂદાર બધું પાણી કાઢવું પડશે.
જો ટાંકી ‘દહ દર દહ (૧પ શ ૧પ ફૂટ)ના માપથી નાની હોય અને તેનું પાણી વહેતું ન હોય, તો તેમાં જાનવરના મરવાથી પાણી નાપાક થઈ જશે, ચાહે મરેલા જાનવરનો અસર પાણીમાં માલૂમ પડે કે ન પડે. જો પાણીમાં મરેલા જાનવરનો અસર માલૂમ પડે તો બધું અસરગ્રસ્ત પાણી કાઢવું પડશે અને જો અસર માલૂમ ન પડે તો બંને તરફથી પાણી વહેતું કરી દેવાથી ટાંકી અને પાણી પાક થઈ જશે, બધું પાણી કાઢવું જરૂરી નથી.
ખુલાસો એ કે મોટી ટાંકી અને વહેતા પાણીવાળી નાની ટાંકીને ‘માએ કસીરનો હુકમ લાગુ પડશે અને થોભેલા પાણીવાળી નાની ટાંકીને ‘માએ કલીલનો હુકમ લાગુ પડશે. (‘આલાતે જદીદહ)
જે સૂરતોમાં ટાંકીના પાણીના નાપાક થઈ જવાનો હુકમ લાગુ પડે છે, તે સૂરતોમાં જો ટાંકીમાં જાનવરના પડવાના અને મરવાના વખતની જાણ ન હોય અને જાનવર ટાંકીમાં ફૂલ્યું કે ફાટયું ન હોય તો પાછલા એક રાત–દિવસની નમાઝો લોટાવવી પડશે અને જો મરેલું જાનવર ફૂલી અથવા ફાટી ગયું હોય તો પાછલા ત્રણ રાત–દિવસની નમાઝો લોટાવવી પડશે.
જાનવરના પાણીમાં મરવાથી અથવા મરેલા જાનવરના પાણીમાં પડવાથી, મોટી ટાંકીના પાણીના અથવા વહેતા પાણીવાળી નાની ટાંકીના પાણીના અને ‘દહ દર દહ મોટા કૂવાના પાણીના નાપાક થવા ન થવાના હુકમમાં અને તેને પાક કરવાના હુકમમાં કોઈ તફાવત નથી.
એવી જ રીતે થોભેલા પાણીવાળી નાની ટાંકીમાં અને નાના કૂવામાં જારવરના મરવાથી અથવા મરેલા જાનવરના પડવાથી બંનેના પાણીના નાપાક થવાના હુકમમાં કોઈ તફાવત નથી.
અલબત્ત બંનેના પાક કરવાના તરીકામાં તફાવત છે, કોઈ જાનવરના મરવાથી નાના કૂવાનું નાપાક થવું અને અમુક ખાસ પ્રકારના જાનવરોના મરવાથી નાપાક થયેલા નાના કૂવાને પાક કરવાનો તરીકો સિમાઈ અને ગેર કયાસી છે, બાકી ટાંકી અને કૂવાના પાણીનું કસીર અને કલીલ હોવું, મરેલા જાનવર સિવાય અન્ય કોઈ નાપાકી પડવાથી નાપાક થયેલા નાના કૂવા અને નાની ટાંકીનું પાક કરવું, મરેલા જાનવરનું પાણીમાં ફૂલી અથવા ફાટી જવું, કૂવા અથવા ટાંકીમાં તેના મરવાના વખતની ખબર ન હોવી, આ બધી બાબતોમાં નાના કૂવા અને નાની ટાંકીના મસાઈલમાં કોઈ તફાવત નથી. (‘શામી ૧, ‘ફત્હુલ કદીર ૧)
Log in or Register to save this content for later.