[ર૬૧ ] નમાઝ પછી દુઆ જોરથી કે આહિસ્તા ?

Chapter : નમાઝ

(Page : 335-336)

સવાલ :– ઈમામ સાહેબ નમાઝ પઢી કેવી રીતે દુઆ માંગે ? જોરથી કે આહિસ્તા ?

જવાબ :– ઈમામ સાહેબે આહિસ્તા દુઆ માંગવી મુસ્તહબ અને અફઝલ છે. અને એ હેતુથી કે મુકતદીઓ ઈમામની દુઆ પર આમીન કહી શકે એટલા પ્રમાણમાં જોરથી દુઆ માંગવી કે પાછળથી આવેલા મુકતદીઓની નમાઝમાં ખલલ ન પડે, જાઈઝ છે. (‘ઈમ્દાદુલ ફતાવા ૧/૮૦૧, ‘ફતાવા રશીદિય્યહ ર૧૮)

               હા, જરૂરતથી વધારે જોરથી દુઆ માંગવી કે દુઆ કરતી વખતે કુર્આન શરીફમાં આજિઝી જાહેર કરી દુઆ માંગવાનો જે હુકમ આપવામાં આવ્યો છે, તે હુકમ છૂટી જાય અને નમાઝમાં મશ્ગૂલ બીજા લોકોની નમાઝમાં ખલલ પેદા થાય એ નાજાઈઝ અને મકરૂહ છે.

               હઝરત મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (ન.મ.) પોતાની તફસીરમાં લખે છે કે, અલ્લાહ તઆલા અમારા સમયની મસ્જિદોના ઈમામોને હિદાયત ફરમાવે કે (જેઓ દુઆ જોરથી ન માંગવા બાબત અને આહિસ્તા માંગવા બાબતની) કુર્આન અને સુન્નતની તાલીમ અને આગલા બુઝુર્ગોના કથનોનોં બિલકુલ ત્યાગ કરી બેઠા છે. જેમની દરેક નમાઝ પછી દુઆની એક બનાવટી કાર્યવાહી હોય છે કે બુલંદ અવાજે થોડી દુઆઓ પઢવામાં આવે છે, જે દુઆના આદાબના વિરુદ્ધ હોવા ઉપરાંત તેવા નમાઝીઓની નમાઝમાં ખલલનું કારણ પણ બને છે જે મસ્બૂક (અમુક રકાતો ઈમામ સાથે છૂટી ગઈ) હોવાના કારણે ઈમામના ફારિગ થયા પછી પોતાની બાકી નમાઝ પઢતા હોય છે. રિવાજોના જોશે આવી દુઆની બુરાઈ અને તેના નુકસાનો વિષે તેઓની અંખો પર પરદો નાંખી દીધો છે. કોઈ ખાસ પ્રસંગે પૂરી જમાઅતથી દુઆ કરાવવાનો ઈરાદો હોય એવા સમયે કોઈ એક વ્યકિત જોરથી દુઆના શબ્દો કહે તો વાંધો નથી; એ શર્તે કે બીજાઓની નમાઝ અને ઈબાદતમાં ખલલ ન પડે.             (‘મઆરિફુલ કુર્આન ૩/પ૮૬)

Log in or Register to save this content for later.