[ર૪ર] સૂર્ય ઉગ્યા પછી પણ મકરૂહ વખત બાકી

Chapter : નમાઝ

(Page : 309-310)

સવાલ :– સૂર્ય નીકળતો હોય ત્યારે ફર્ઝ, વાજિબ, સુન્નત, નફલ, અદા, કઝા એમ દરેક પ્રકારની નમાઝ પઢવી મકરૂહ છે, તો શું સૂરજ નીકળી ગયા પછી તરત આ નમાઝો પઢવી વિના કરાહતે જાઈઝ છે? અથવા સૂરજ નીકળી ગયા પછી અમુક સમય સુધી પણ મઝકૂર નમાઝો પઢવી મકરૂહ છે? કિતાબોના હવાલાઓ સાથે જવાબ આપશો.

જવાબ :–પૂરો સૂર્ય ઉગી ગયા પછી તરત મઝકૂર નમાઝો પઢવી જાઈઝ નથી, બલ્કે જયારે સૂર્ય ઉગીને એક બે ભાલાના પ્રમાણમાં ઉંચો થઈ જાય અને તડકો એટલો તેજ થઈ જાય કે સૂરજને જોવામાં આંખોને તકલીફ થવા લાગે એટલે કે પૂરો સૂર્ય ઉગ્યા પછી પંદર મિનિટ સુધી પણ મઝકૂર નમાઝો પઢવી નાજાઈઝ છે, જો ફર્ઝ, વાજિબ અને તૂટેલી સુન્નત અને નફલ નમાઝોની કઝા કરવામાં આવશે તો સહીહ અને દુરૂસ્ત જ નહિ ગણાય અને ફરી પઢવી પડશે, મતલબ સૂર્ય ઉગી ગયા પછીની પંદર મિનિટ સુધીનો વખત પણ સૂર્ય ઉગવાના  સમયની જેમ મકરૂહ વખત જ છે.     (શામી ૧/ર૪૮, કબીરી ર૩૬)

હઝ.ઉકબહ બિન આમિર (રદિ.) ફરમાવે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ.)એ  અમોને ત્રણ વખતમાં નમાઝ પઢવાથી અને મય્યિતોને દફન કરવાથી (એટલે જનાઝહની નમાઝ પઢવાથી)મનાઈ ફરમાવી છે. એક આફતાબ ઉગતી વખતે અહિંયા સુધી કે તે ઉગીને ઉંચો થઈ જાય અને સૂરજ માથા ઉપર હોય ત્યારે અહિંયા સુધી કે પશ્ચિમ તરફ ઢળી જાય અને જયારે સૂર્ય ગુરૂબ માટે નમવા લાગે(એટલે કે પીળો પડી જાય).          (તહતાવી કમ મરાકી ૧૦૦)

 

Log in or Register to save this content for later.