[૪૦] વારંવાર હવા છૂટવાની બીમારીમાં વુઝૂ, નમાઝ અને તવાફનો હુકમ

Chapter : તહારત

(Page : 78)

સવાલ :– સવિનય અરજ કરવાની કે મને વધુ પ્રમાણમાં હવા નીકળવાની બીમારી છે અને વારંવાર હવા છૂટવાથી મારું વુઝૂ અનેકવાર તૂટી જાય છે, વારંવાર એટલે કે એક ફર્ઝ નમાઝ પઢવા માટે લગભગ બે થી ત્રણ–ચાર વખત વુઝૂ કરવું પડે છે અને તેમ છતાં પણ છેવટની નફલ નમાઝ તો પઢાતી જ નથી અને આ કારણથી ઘણાં બધા વખત મારે બેસીને નમાઝ પઢવી પડે છે.

                તો આ સૂરતમાં મારે વુઝૂ અને નમાઝ માટે શું કરવું ? કારણકે વારંવાર વુઝૂ કરવાથી કંટાળી જવાય છે અને લગભગ શરદી પણ થઈ જાય છે.

                કેટલાક વખત સારી રીતે જરા જલદી જલદી નમાઝ અદા થાય છે, આના કારણે રમઝાનુલ મુબારકમાં પણ હું ઘણીખરી ઈબાદતોથી મહરૂમ રહું છું, દિલમાં ઘણો જ રંજ પણ થાય છે, પણ શું કરું ? શરમ અને સંકોચના લઈને અત્યાર સુધી આવી હાલત ગુજરી છે.

                હવે (ઈન્શાઅલ્લાહુ તઆલા) ચાલુ વર્ષે મારે હજમાં જવાનું નકકી થયું છે, તો ત્યાં તવાફ કરવામાં તેમજ ઈબાદત કરવામાં વારંવાર આ હવા છૂટવાની શિકાયત થાય અને વુઝૂ બાકી ન રહે તો મારે શું કરવું ?

                શું દરેક તવાફ માટે વુઝૂ કરવું જરૂરી છે અને વારંવાર વુઝૂ તૂટી જતું હોય તો વુઝૂ વગર તવાફ કરવો કેવું છે ?

                મને આ બાબત ઘણી જ ફિકર થાય છે અને ઘણો વસવસો થાય છે કે હું નમાઝ તો પઢું છું પણ આવા કાચા વુઝૂથી નમાઝ અદા થતી હશે?

                બીજું કે મેં એવું સાંભળ્યું છે કે એકવાર વુઝૂની નિય્યત કરી વુઝૂ કરી લીધું હોય અને પછી આ પ્રમાણે વારંવાર હવા છૂટવાની શિકાયત થાય તો ફરીથી વુઝૂ ન કરે તો પણ ચાલે, કારણકે આ એક પ્રકારની બીમારી જ છે, માટે વુઝૂ તૂટી જવાથી ઈબાદતમં વાંધો નહિ આવે, જો કે આવું સાંભળેલું છે, છતાં હું તો વુઝૂ તૂટી જાય એટલે ફરી વુઝૂ કરી લઉં છું, તો આનો જવાબ જરૂરથી આપશો.

જવાબ :– તમો જે બીમારીની હાલતથી પસાર થઈ રહ્યા છો, તેમાં નમાઝ જેવી ઈબાદત અદા કરવા માટે, જેમાં તહારત અને પાકી શર્ત અને ફર્ઝ છે, આવી બીમારીની હાલતમાં તમારે નીચે મુજબ અમુક મસાઈલ સામે રાખી અમલ કરવો જોઈએ.

(૧) જો તમોને વુઝૂ તોડનાર હવા છૂટવાની બીમારી હોય અને આ બીમારી શરૂ થયા પછી તમારા ઉપર કોઈ પણ એક ફર્ઝ નમાઝનો આરંભથી લઈ અંત સુધીનો પૂરેપૂરો વખત વારંવાર હવા છૂટવાની હાલતમાં એ પ્રમાણે પસાર થયો હોય અથવા હવે પછી પસાર થાય કે તે ફર્ઝ નમાઝના પૂરા વખતમાંથી એટલો થોડો સમય પણ હવા નીકળવાથી ખાલી ન રહે કે જેમાં વુઝૂના માત્ર ફર્ઝો અને જે તે વખતની ફર્ઝ  નમાઝના  ફકત  ફર્ઝો અને વાજિબો અદા કરીને પણ વુઝૂ અને ફર્ઝ નમાઝ અદા કરી શકો તો તમો મસ્લહની દ્દષ્ટિએ મઅઝૂર ગણાશો, જેમ કે કોઈ પણ ફર્ઝ નમાઝના પૂરા વખતમાં એ પ્રમાણે વુઝૂ કરવાની અને ફર્ઝ નમાઝ પઢવાની કોશિષ કરો કે વુઝૂમાં જલ્દીથી ફકત ત્રણ અંગો (મોઢું, હાથ, પગ) ધોઈ લો અને ચોથાઈ માથાનો મસહ કરો અને  વુઝૂની  સુન્નતો  (કાંડાઓ  સુધી હાથ ધોવા, કોગળા કરવા, દરેક અંગને ત્રણ વાર ધોવું વગેરે)ને  છોડી આપો અને પછી તુરત જે તે વખતની ફર્ઝ નમાઝના ફકત ફર્ઝો અને વાજિબો અદા કરીને અને તેની સુન્નતો છોડીને તે નમાઝને આ પ્રમાણે પઢો કે :

શરૂમાં સના, અઊઝુબિલ્લાહિ અને બિસ્મિલ્લાહિ છોડી આપો, સૂરએ ફાતિહા પઢીને આમીન ન કહો, પછી કોઈ પણ જગ્યાએથી ત્રીસ (૩૦) અક્ષરોના પ્રમાણમાં કુર્આન શરીફ પઢો, રુકૂઅ અને સજદહમાં માત્ર એકવાર તસ્બીહ પઢો, કૌમહમાં રબ્બના લકલ હમ્દ છોડી આપો, ત્રણ–ચાર રકઅતવાળી ફર્ઝની છેલ્લી એક અથવા બે રકઅતોમાં સૂરએ ફાતિહા ન પઢો. બલ્કે એકવાર સુબ્હાન રબ્બિયલ આલા પઢાય એટલીવાર કયામ કરી રુકૂઅ કરી લો, છેલ્લા કઅ્‌દહમાં ફકત તશહ્‌હુદ પઢીને સલામ ફેરવી દો, દુરૂદ શરીફ અને દુઆ ન પઢો.

જો કોઈ પણ ફર્ઝ નમાઝના પૂરા વખતમાં હવા નીકળ્યા વગર આ પ્રમાણે ફર્ઝ નમાઝ ન પઢી શકાતી હોય તો તમો મઅઝૂર ગણાશો અને  આ વિગત મુજબ વારંવાર હવા છૂટવાથી એક વાર મઅઝૂર બની ગયા પછી દરેક ફર્ઝ નમાઝના પૂરા વખતમાં ફકત એકવાર હવા નીકળશે તો  પણ મઅઝૂર બાકી રહેશો અને જયાં સુધી કોઈ પણ એક ફર્ઝ નમાઝનો પૂરો વખત તમારા ઉપર એ પ્રમાણે પસાર ન થાય કે તેમાં કોઈ એકવાર પણ હવા ખારિજ ન થાય ત્યાં સુધી તમો હવા છૂટવાની બીમારીથી મઅઝૂર ગણાશો.          (‘શામી ૧/ર૦ર, ‘અહસનુલ ફતાવા ર/૭૭)

(ર)     મઅઝૂર માણસે દરેક ફર્ઝ નમાઝનો વખત શરૂ થયા પછી એકવાર કરેલું વુઝૂ તે ફર્ઝ નમાઝનો વખત પૂરો થતાં સુધી બાકી ગણાશે, ચાહે વુઝૂ દરમ્યાન અથવા વુઝૂ પછી નમાઝમાં કે નમાઝથી બહાર (હવા છૂટવાની બીમારીવાળા મઅઝૂર માણસને) હવા નીકળે, સિવાય એ કે તે જે બીમારીથી મઅઝૂર બન્યો છે, તે સિવાય બીજી કોઈ વુઝૂ તોડનાર હાલત ઉપસ્થિત થાય, જેમ કે વારંવાર હવા નીકળવાની બીમારીવાળો માણસ વુઝૂ કર્યા પછી પેશાબ–પાખાનાથી ફારિગ થાય અથવા તેના ઝખમ વગેરેમાંથી વહેતું લોહી નીકળે તો તેણે તહાતરવાળી ઈબાદત માટે નમાઝનો વખત પૂરો થતાં પહેલાં પણ બીજીવાર વુઝૂ કરવું પડશે.

(૩) જો નં. (૧)માં લખેલી વિગત મુજબ મઅઝૂર થઈ ગયા પછી અને કોઈ નમાઝનો વખત શરૂ થઈ ગયા પછી અને એકવાર પણ હવા નીકળતાં પહેલાં મઅ્‌ઝૂર વુઝૂ કરે અને વુઝૂ કર્યા પછી હવા નીકળે તો તે વુઝૂ તૂટી ગયેલું ગણાશે, બાકી રહેલું નહિ ગણાય, માટે હવે વુઝૂવાળી ઈબાદત અદા કરવા માટે મઅઝૂરે ફરીવાર વુઝૂ કરવું પડશે.

                અલબત્ત હવા નીકળ્યા પછી મઅઝૂરે આ બીજીવાર કરેલું વુઝૂ જે તે નમાઝનો વખત પૂરો થતાં સુધી બાકી રહેશે. દા.ત., કોઈ માણસને હવા નીકળવાની બીમારીથી મગરિબની નમાઝનો પૂરો વખત નં. (૧)ની વિગત મુજબ ઘેરાયેલો રહ્યો અને તે મઅઝૂર બની ગયો, હવે તેણે દા.ત., ઈશાની નમાઝનો વખત શરૂ થયા પછી, પેશાબ કર્યા પછી અને હવા નીકળતાં પહેલાં અથવા હવા અને બીજી કોઈ પણ વુઝૂ તોડનારી વસ્તુ ઉપસ્થિત થતાં પહેલાં ઈશાની નમાઝ માટે વુઝૂ કર્યું અને નમાઝ પઢતાં પહેલાં અથવા નમાઝ પઢવાની હાલતમાં હવા નીકળી, તો મજકૂર વુઝૂ તૂટી ગયેલું ગણાશે અને ફરીવાર વુઝૂ કરીને નમાઝ પઢવી પડશે. (‘શામી ૧/ર૦૪)

(૪)     આવી કાયમી બીમારીવાળા માણસ માટે વુઝૂ તોડનાર વસ્તુ જે રીતે રોકી શકતો હોય, તે રીતે રોકીને વુઝૂ ન તૂટવા દેવું અને વુઝૂ બાકી રાખીને નમાઝ પઢવી વાજિબ છે અને કોઈ તદબીર અને ઉપાયથી તે વારંવાર વુઝૂ તોડનાર વસ્તુને રોકી નમાઝ પઢી શકતો હોય તો તે શરઈ દ્રષ્ટિએ મઅઝૂર નહિ ગણાય અને વારંવાર વુઝૂ તોડનાર બીમારીથી તેનું વુઝૂ તૂટી ગયેલું જ ગણાશે. દા.ત., ફર્ઝ, વાજિબ અને નફલ નમાઝ બેસીને રુકૂઅ–સજદહ કરી પઢવાથી અથવા બેસીને રુકૂઅ–સજદહ ઈશારાથી અદા કરી પઢવાથી જો હવા નીકળવાની બીમારીવાળા માણસનું વુઝૂ ન તૂટતું હોય અને આ રીતે નમાઝ પઢવાથી હવા નીકળ્યા વિના વુઝૂ બાકી રાખીને નમાઝ પઢી શકાતી હોય તો તેણે આ પ્રમાણે બેસીને નમાઝ  પઢવી અને વુઝૂ બાકી રાખવું એ વાજિબ છે. અને આ સૂરતમાં તે મઅઝૂર નહિ ગણાય અને ફર્ઝ તથા વાજિબ નમાઝ પણ આવી સૂરતમાં કયામ છોડીને અથવા કયામ અને રુકૂઅ–સજદહ બંને છોડીને અને રુકૂઅ–સજદહ ઈશારાથી અદા કરીને તેના માટે નમાઝ પઢવી જાઈઝ અને લાઝિમ છે અને વુઝૂ બાકી રાખવાની મજબૂરી મુજબ નમાઝનો કયામ અથવા કયામ અને સજદહ બંનેવ ફર્ઝ અને લાઝિમ બાકી નહિ રહે. (‘શામી ૧/ર૦૪)

(પ)     તમોને વારંવાર હવા છૂટવાની શિકાયત હોવા છતાં જો તમો નં. (૧)માં લખેલી વિગત મુજબ શરઈ દ્રષ્ટિએ મઅઝૂર ન સાબિત થતા હોય તો જેટલી વાર હવા નીકળે તેટલી વાર વુઝૂ તૂટેલું જ ગણાશે અને કોઈ પણ નમાઝ પઢતાં પહેલાં કે નમાઝ પઢવાની હાલતમાં હવા છૂટયા પછી ફરીવાર વુઝૂ કરીને નમાઝ પઢવી પડશે, ચાહે ફર્ઝ નમાઝના વખતમાં ફર્ઝ, સુન્નત અને નફલ નમાઝ પઢવા માટે અનેકવાર વુઝૂ કરવું પડે તો અનેકવાર વુઝૂ કરીને જ બધી નમાઝો પઢવી પડશે અને અનેકવાર વુઝૂ કરવાથી શરદી થઈ જવાના વહેમથી તયમ્મુમ કરવું પણ દુરુસ્ત નથી, શરદીનો ભય હોય તો ગરમ પાણીથી જલ્દી જલ્દી વુઝૂ કરી વુઝૂના અવયવો ટુવાલ વડે બરાબર સૂકવી લેવામાં આવે, અલબત્ત જો ગરમ પાણીથી અનેકવાર વુઝૂ કરવાના કારણે શરદી–સળેખમ થઈ જાય તો આવી સૂરતમાં શરદી–સળેખમની તકલીફ રહે ત્યાં સુધી હંગામી તૌર પર તયમ્મુમ કરીને નમાઝ પઢવી જાઈઝ છે.    (‘શામી ૧/૧પ૪)

(૬)     તવાફના વિવિધ પ્રકાર ફર્ઝ, વાજિબ, સુન્નત અને નફલમાંથી કોઈ પણ પ્રકારના તવાફ માટે જનાબત જેવા હદસે અકબરથી અને હવા નીકળવા જેવી વુઝૂ તોડનારી વસ્તુઓ એટલે હદસે અસગરથી તવાફ કરનારનું પાક હોવું અને તવાફ કરતી વખતે તેનું બાવુઝૂ હોવું વાજિબ છે. માટે જો કોઈ મર્દ–ઓરત કોઈ ઉઝર વગર નાપાકીની હાલતમાં (બે વુઝૂ) કોઈ પણ પ્રકારનો તવાફ કરશે તો તે તવાફ દુરુસ્ત તો ગણાશે, પરંતુ તવાફનો વાજિબ છોડવા બદલ ગુનેહગાર ગણાશે અને વુઝૂ કરી તવાફનો ઈઆદહ કરવો પડશે અને તવાફનો ઈઆદહ નહિ કરે તો વાજિબ છોડવાનો કફ્‌ફારો આપવો પડશે. (‘શામી ર/૧૪૯, ‘ઉમદતુલ ફિકહ ૪/૧૭૦)

(૭)નં. (૧)માં લખેલી વિગત મુજબ જે માણસ હવા નીકળવાની બીમારીથી શરઈ દ્રષ્ટિએ મઅઝૂર હોય, તે કોઈ પણ ફર્ઝ નમાઝના વખતમાં કરેલા વુઝૂથી તે નમાઝનો વખત પૂરો થતાં સુધી કોઈ પણ પ્રકારનો તવાફ કરી શકે છે અને તવાફ દરમ્યાન હવા નીકળશે તો પણ નમાઝનો વખત પૂરો થતાં સુધી તેનું વુઝૂ બાકી ગણાશે, અલબત્ત તવાફ દરમ્યાન નમાઝનો વખત પૂરો થઈ જાય તો તવાફ છોડીને ફરીવાર વુઝૂ કરવું પડશે અને આ સૂરતમાં ચાહે વુઝૂ કર્યા પછી બાકીના ચકકરો પૂરા કરી લે અને ચાહે તો નવેસરથી તવાફ શરૂ કરે અને નવેસરથી પૂરો તવાફ કરવો એ અફઝલ છે. (‘ઉમદતુલ ફિકહ ૪/૧૯૬)

                જો મઅઝૂર માણસ ઈશરાક, ચાશ્તની નમાઝ માટે અથવા તવાફ માટે તુલૂએ આફતાબ પછી અને ઝોહરનો વખત શરૂ થતાં પહેલાં વુઝૂ કરે કે આ ગાળામાં કોઈ ફર્ઝ નમાઝનો વખત નથી, તો મઅઝૂરનું આ વુઝૂ ઝોહરની નમાઝના વખત શરૂ થયા પછી તે પૂરો થતાં સુધી બાકી ગણાશે. સિવાય કે હવા છૂટવા સિવાય બીજી કોઈ વુઝૂ તોડનારી વસ્તુ પેશ આવે. માટે આ વુઝૂથી ઝોહરનો વખત પૂરો થતાં સુધી તવાફ કરી શકાય છે અને તે વુઝૂથી તવાફની અને ઝોહરની નમાઝ પણ પઢી શકાય છે.  (‘ઉમદતુલ ફિકહ ૧/રપ૩)

(૮)જે માણસ નં. (૧)માં લખેલી વિગત મુજબ મઅઝૂર ન બન્યો હોય, એવા ગેરમઅઝૂર માટે દરેક પ્રકારના તવાફ માટે વુઝૂ હોવું વાજિબ છે અને તેના માટે વુઝૂ વગર તવાફ કરવો જાઈઝ નથી, માટે કોઈ પણ પ્રકારનો તવાફ પૂરો કરતાં પહેલાં જો ગેરમઅઝૂરનું વુઝૂ હવા નીકળવાથી તૂટી જાય તો તેણે તવાફ છોડીને વુઝૂ કરવું વાજિબ છે અને વુઝૂ કરીને તવાફના બાકીના ચકકરો પૂરા કરવા જોઈએ.

                જો કોઈ મર્દ અથવા ઓરત નં. (૧)ની વિગત મુજબ ગેરમઅઝૂર હોવા છતાં પૂરો તવાફે ઝિયારત, (ફર્ઝ) અથવા તેનો વધુ ભાગ વુઝૂ વગર અદા કરે તો જયાં સુધી તે મકકહ મુકર્રમહમાં રહે, તેના માટે મુસ્તહબ આ છે કે વુઝૂ કરીને તવાફે ઝિયારતનો ઈઆદહ કરી (લોટાવી) લે અને તવાફે ઝિયારતનો આ ઈઆદહ અય્યામે નહર (દસમી ઝિલહજથી ૧ર મી ઝિલહજની મગરિબ સુધી)ની અંદર અને અય્યામે નહર પછી પણ કરી શકાય છે. અને વુઝૂ સાથે તવાફનો ઈઆદહ કરી લેવાથી પહેલાં વુઝૂ વગર તવાફ કરવાનો કે અય્યામે નહર પછી તાખીરથી ઈઆદહ કરવાનો કોઈ કફફારહ નહિ આપવો પડે.

                જો વુઝૂ કરીને તવાફે ઝિયારતનો ઈઆદહ ન કર્યો અને તે પછી કોઈ નફલ તવાફ અથવા તવાફે વિદાઅ (વાજિબ) વુઝૂની હાલતમાં કર્યો, તો તે નફલ તવાફને અથવા તવાફે વિદાઅને લોટાવવા પાત્ર તવાફે ઝિયારત કરેલો ગણાશે અને તે પછી તવાફે વિદાઅ અથવા કોઈ નફલી તવાફ બાવુઝૂ કરશે તો હવે તેના શિરે કોઈ પણ કફફારહ વાજિબ નહિ થાય.

                પરંતુ જો તેણે ગેરમઅઝૂર હોવાની હાલતમાં વારંવાર વુઝૂ તૂટવાની અને કરવાની તકલીફના કારણે તવાફે ઝિયારતનો વુઝૂ સાથે ઈઆદહ ન કર્યો અને વુઝૂ વગર તવાફે ઝિયારત કર્યા પછી, વુઝૂ સાથે કોઈ નફલી તવાફ ન કર્યો અથવા વુઝૂ સાથે તવાફે વિદાઅ અને પછી કોઈ નફલી તવાફ બાવુઝૂ ન કર્યો તો આ સૂરતમાં તવાફે ઝિયારત વુઝૂ વગર કરવા બદલ એક બકરી અથવા મોટા જાનવરના સાતમા ભાગનો ત્યાં હરમ શરીફની હદમાં જ કફ્‌ફારહ પેટે દમ આપવો પડશે.

                અને જો વુઝૂ વગર તવાફે ઝિયારત કર્યા પછી તવાફે વિદાઅ વુઝૂ સાથે કરી લીધો અને તવાફે વિદાઅ પછી કોઈ નફલી તવાફ વુઝૂ સાથે ન કર્યો અને આ તવાફે વિદાઅના તવાફે ઝિયારત બની જવાથી તેણે વુઝૂ સાથે ફરીવાર તવાફે વિદાઅ પણ ન કર્યો તો આ સૂરતમાં તવાફે વિદાઅ છૂટેલો ગણાવવાથી તેણે કફ્‌ફારહ પેટે એક બકરીનો અથવા મોટા જાનવરના સાતમા ભાગનો દમ આપવો પડશે.

                જો ગેરમઅઝૂરે વુઝૂ કર્યા પછી તવાફે ઝિયારત શરૂ કર્યો અને તવાફના ચાર કે તેથી વધુ ચકકરો અદા કર્યા પછી હવા છૂટવાથી તેનું વુઝૂ તૂટી ગયું અને બાકી રહેલા ત્રણ કે તેથી ઓછા ચકકરો નવુું વુઝૂ કર્યા વગર પૂરા કર્યા, તો તેણે વુઝૂ કરીને તવાફનો ઈઆદહ કરી લેવો અફઝલ છે, પરંતુ જો હવા છૂટવાની તકલીફ હોવાથી વુઝૂ કરી ઈઆદહ ન કર્યો તો વુઝૂ વગર કરેલા દરેક ચકકર દીઠ એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા તેની કિંમતનો સદકો કરવો પડશે.

                ઉપર લખવા મુજબ આફાકી માટે તવાફે વિદાઅ (વાજિબ) માટે પણ વુઝૂ હોવું વાજિબ છે, જો કોઈએ વુઝૂ વગર તવાફે વિદાઅ કરી લીધો તો વુઝૂ સાથે ઈઆદહ કરવો મુસ્તહબ છે અને વારંવાર હવા નીકળવાની અને વુઝૂ કરવાની તકલીફના કારણે અગર ઈઆદહ ન કરે તો મજકૂર તવાફના દરેક ચકકર દીઠ એક સદકએ ફિત્ર બરાબર એટલે એક કિલો છસો ચાળીસ ગ્રામ ઘઉં અથવા તેટલા ઘઉંની કિંમતનો સદકો આપવો વાજિબ થશે.

                તવાફે કુદૂમ (સુન્નત) અને નફલ તવાફ વુઝૂ વગર કરવાનો હુકમ પણ તવાફે વિદાઅના હુકમ મુજબ છે કે ચાહે તો વુઝૂ કરી ઈઆદહ કરે અથવા દરેક ચકકર દીઠ એક સદકહ આપે.

                જો કોઈ ઉમરહનો (ફર્ઝ) તવાફ વુઝૂ વગર કરે અને તે પછી ઉમરહની સઈ પણ કરે, તો મકકહ મુકર્રમહમાં રહે ત્યાં સુધી વુઝૂ સાથે તવાફનો ઈઆદહ કરવો વાજિબ છે અને સઈનો ઈઆદહ અફઝલ છે, જો તવાફ અને સઈનો વુઝૂ સાથે ઈઆદહ કરી લીધો તો હવે કોઈ કફ્‌ફારહ આપવો વાજિબ નહિ થાય અને જો વારંવાર હવા છૂટવાની અને વુઝૂ કરવાની તકલીફના કારણે ગેરમઅઝૂરે ઉમરહનો (ફર્ઝ) પૂરો તવાફ અથવા તેનો વધુ ભાગ વુઝૂ વગર કર્યો અને તવાફ તથા સઈનો ઈઆદહ ન કર્યો તો એક બકરીનો અથવા મોટા જાનવરના સાતમા ભાગનો હરમની હદમાં દમ આપવો વાજિબ છે.

                અને જો ઉમરહના (ફર્ઝ) તવાફના ત્રણ અથવા તેથી ઓછા ચકકર વુઝૂ વગર કર્યા અને વારંવાર વુઝૂ તૂટવાની તકલીફના કારણે ગેરમઅઝૂરે તેનો ઈઆદહ ન કર્યો તો કફ્‌ફારહ રૂપે એક બકરીનો અથવા મોટા જાનવરના સાતમા ભાગનો દમ આપવો વાજિબ છે.

                ‘ઝુબદતુલ્‌ મનાસિક’ અને ‘મુઅલ્લિમુલ્‌ હુજ્‌જાજ’માં ફકત આ એક જ મંતવ્ય લખ્યું છે, જયારે ‘ગુન્યતુન્નાસિક’, ‘શામી’ અને ‘ઉમ્‌દતુલ્‌ ફિકહ’માં એક બીજું મંતવ્ય આ પ્રમાણે પણ લખ્યું છે કે,

ઉમરહના તવાફનો થોડો ભાગ વુઝૂ વગર કરવાની સૂરતમાં વુઝૂ વગર કરેલા દરેક ચકકર દીઠ એક સદકહ આપવામાં આવે. (‘શામી ર/ર૦૬, ‘ઉમદતુલ ફિકહ ૪/પર૧ થી પ૩૭)

Log in or Register to save this content for later.