Chapter : નમાઝ
(Page : 260-261-262-263-264)
સવાલ :– અમારા રવિદ્રા ગામમાં જુમ્અહની નમાઝ પહેલા પઢવામાં આવતી હતી, પણ લગભગ ૧૯૮પથી જુમ્અહ બંધ કરી ઝોહરની નમાઝ પઢવાનું ચાલુ કર્યું છે, પણ આ જ ગામની મસ્જિદમાં ઈદની નમાઝ હાલ પણ પઢવામાં આવે છે, હવે અમારા રવિદ્રા અને કરમાલી ગામના લોકોને નીચે લખેલી હકીકતો જોતા પોતાના જ ગામમાં રહી જુમ્અહ પઢવાનો ઉત્સાહ પેદા થયો છે, કારણ કે આગલા વર્ષો કરતાં અત્યારની હાલતોમાં ઘણા ફેરફાર થયા છે.
(૧)રવિદ્રા અને કરમાલીને જોડતો એક ખાલી ર૦ ફૂટનો રસ્તો જ વચમાં પડે છે એટલે કે રવિદ્રા – કરમાલી એક જ ગામ જેવું છે. જોનારને ખબર ન હોય તો એક જ ગામ સમજે અને એક જ ગામ હોવાના બીજા અનેક દાખલાઓ પણ છે. જેવી રીતે કે બન્ને ગામ માટે આવેલા મદ્રસાઓ અને ખાસ કરીને દારૂલ ઉલૂમ કરમાલીનો હોવા છતાં રવિદ્રાની હદમાં જ છે. રવિદ્રા – કરમાલીની ધોરણ –પ પછીની સ્કૂલ પણ રવિદ્રા ગામમાં જ છે. એવી જ રીતે રવિદ્રા – કરમાલી સરકારી મંડળી – સરકાર માન્ય વ્યાજબી ભાવની અનાજની દુકાન તથા પોસ્ટ ઓફિસ પી.સી.ઓ. તથા બે દવાખાનાઓ પણ રવિદ્રા ગામમાં છે.
(ર) રવિદ્રા ગામની કુલ વસ્તી ૧૬ર૩ની છે. એમાં ૮૦૧ પુરૂષ અને ૮રર સ્ત્રીઓ આવેલી છે, તેમજ કરમાલી ગામની કુલ વસ્તી ૧૦૮રની છે જેમાં પ૪ર પુરૂષો અને પ૪૦ સ્ત્રીઓ આવેલી છે, આ સિવાય રવિદ્રા ગામમાં મદની દારૂત્તરબિય્યત નામના દારૂલ ઉલૂમની સ્થાપના થઈ છે, જેમાં છોકરાઓ સ્થાયી રહે છે અને નજીકના ભવિષ્યમાં (એક – બે વર્ષમાં) એ છોકરાઓની સંખ્યા ઈ.અ. ૩૦૦ જેટલી થઈ જશે. એના વગર ગામમાં બે મકતબ (મદ્રસા) છે. જેમાં રવિદ્રા મદ્રસામાં બાળકોની સંખ્યા ૩૦૦ જેટલી છે અને ૬ ઉસ્તાદો તાલીમ આપે છે. જયારે કરમાલી મદ્રસાના બાળકોની સંખ્યા ૧ર૬ છે અને તેમને ઉસ્તાદો તાલીમ આપે છે. રવિદ્રા સ્કૂલના બાળકોની સંખ્યા ૩૩પ અને ૮ શિક્ષકો છે, કરમાલી સ્કૂલમાં પણ બાળકો તેમજ ચાર શિક્ષકો છે અને છોકરીઓનો મદ્રસો પણ આવેલ છે.
(૩) બન્ને ગામોમાં બે વોટર વર્કસો છે, દળવાની ઘંટીઓ છે, રવિદ્રા મદ્રસાના ભાડૂતી મકાનો ર૪ જેટલા છે, કરમાલી ગામમાં લગભગ ૧ર જેટલા ભાડૂતી મકાનો છે. રવિદ્રા ગામમાં જીવન જરૂરિયાતની લગભગ બધી જ વસ્તુઓ મળી રહે છે. રવિદ્રા ગામની ફલોર મીલનો લાભ આજુબાજુ બીજા ગામો પણ લે છે. રવિદ્રા ગામમાં ૭ ધોરણ સુધી અભ્યાસ ચાલે છે જેમાં બહાર ગામના બાળકો પણ આવે છે. બન્ને ગામમાં બાલમંદિર, બે ડોકટરો, પશુ દવાખાનું તેમજ આરોગ્ય સબ સેન્ટરની સગવડો પણ છે. રવિદ્રા – કરમાલી મળી ૧પ જેટલી દુકાનો આવેલી છે.
(૪) રવિદ્રા ગામમાં લાયબ્રેરી છે. શરઈ દ્રષ્ટિએ જોઈતા સરપંચ – પો. પટેલ અને શરઈ કાઝી તરીકે ઓળખાતા મુફતિયો અને ઉલમાઓની પણ ખુદાની દેન છે. અને કોમ્પ્યુટર રાઈઝડ ફોનની સગવડો છે. ખેતીના વિકાસ માટે ખેડૂતોની જરૂરિયાતના સાધનો ગામમાં ઉપલબ્ધ છે. ઉપરાંત મરઘા કેન્દ્રો, કસાઈઓ, સાઈકલ રિપેરીંગની દુકાનો ગામમાં મોજુદ છે. તેમજ આ ગામોમાં વિજળીની સગવડ પણ છે, આ વિગતો જોતાં આ બન્ને ગામોમાં અમે શરઈ દષ્ટિએ જુમ્અહની નમાઝ પઢવા માંગીએ છીએ, જેનાથી આ ગામના મુસ્લિમ ભાઈઓમાં જુમ્અહની નમાઝ અને દિવસની અહમ્મિયત આવે, આ માટે અમારૂં જુમ્અહની નમાઝ પઢવું સહીહ થશે કે નહિ? (મદની દારૂત્તરબિય્યત, મુ. કરમાલી જિઃ ભરૂચ)
જવાબ :– હનફી ફિકહની દષ્ટિએ એ વાત પોતાની જગ્યાએ સર્વમાન્ય છે કે જુમ્અહ અને ઈદના વાજિબ અને દુરૂસ્ત હોવા માટે શહેર અથવા શહેરનુ પટાંગણ હોવું જરૂરી અને શર્ત છે અને કોઈ વસ્તીના શહેર હોવાનો સર્વે આધાર ઉર્ફ પર છે એટલે કે સામાન્ય જનતાના કોઈ વસ્તીને શહેર ગણવા સમજવા અને કહેવા ઉપર છે. – ફિકહની કિતાબોમાં શહેરની જે અલગ અલગ વ્યાખ્યાઓ કરવામાં આવી છે તે દરેક સમયના ઉર્ફ અને આદતના આધારે કરવામાં આવે છે, મજકૂર વ્યાખ્યાઓ શહેરની હકીકી અને વાસ્તવિક વ્યાખ્યાઓ નથી, બલ્કે કોઈ વસ્તીના શહેર હોવાની અલગ – અલગ ઉર્ફી અલામતો, ઓળખ ચિન્હો છે. આજકાલ હિન્દુસ્તાનના ઉર્ફની દષ્ટિએ જે આબાદીમાં નગરપાલિકા અથવા નગરપંચાયતના નામથી સુધરાઈ વ્યવસ્થા હોય તે આબાદીને શહેર ગણવામાં આવશે. ફુકહાએ કિરામે કસ્બહ અને મોટા ગામને જુમ્અહ અને ઈદની બાબત શહેરના હુકમમાં બતાવ્યુ છે અને શહેર સમાન બતાવ્યું છે. શહેરની જેમ કોઈ ગામના નાના મોટા હોવાનો આધાર પણ ઉર્ફ ઉપર છે. ગામની વસ્તી ગણતરીનું નિશ્ચિત પ્રમાણમાં ચાર હઝાર (૪૦૦૦)ની લગભગ હોવું અને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે વસ્તીમાં એટલા પ્રમાણમાં દુકાનોનું હોવું કે જો બધી દુકાનોને એક જગ્યાએ ભેગી કરવામાં આવે તો બજાર જેવું લાગે, કચેરી, પોસ્ટ ઓફિસ, દવાખાના, બસ સ્ટેન્ડનું હોવું એ મોટુ ગામ હોવાની અલામતો અને નિશાનીઓ છે.
બે નજીકની આબાદીઓના એક ગામ હોવાનો આધાર પણ ઉર્ફ પર છે અગર કોઈ આબાદીમાં જુમ્અહની નમાઝ વાજિબ અને જાઈઝ હોવા છતાં કોઈ માણસ ઝોહરની નમાઝ પઢી લે તો તે વખતની ફર્ઝ નમાઝ તેના શિરેથી અદા થઈ જશે. અને જો જુમ્અહ જાઈઝ અને દુરૂસ્ત ન હોવા છતાં લોકો જુમ્અહની નમાઝ પઢશે તો તે વખતની ફર્ઝ નમાઝ તેઓના શિરે બાકી રહેશે અને તેઓએ ઝોહરની નમાઝ પઢવી પડશે અને જુમ્અહની નમાઝના જાઇઝ અને દુરૂસ્ત હોવામાં શંકા રહેશે તો તે વખતના ફર્ઝની અદાયગી પણ શંકાસ્પદ રહેશે.
સવાલમાં પૂછેલી સૂરતમાં સંબંધિત ઉપરોકત બધી બુનિયાદી વાતો શામી–૧, ફતાવા ખલીલિય્યહ–૧/૪૪, ઈમદાદુલ ફતાવા–૧/ સવાલ નંબર પ૪૩,પ૯૦,પ૯૪,પ૯૯ અને ફતાવા મહમૂદિય્યહ–ર પેજ નંબર – ૩૧૪,૩૩૮ માં મવજૂદ છે. મજકૂર બુનિયાદી વાતોથી માલૂમ પડે છે કે પૂછેલી સૂરતમાં રવિદ્રા કે કરમાલી કોઈપણ ગામમાં જુમ્અહ અને ઈદની નમાઝ જાઈઝ નથી કારણ કે ઉર્ફની દષ્ટિએ સામાન્ય જન બન્નેવ જગ્યાઓને અલગ અલગ ગામો ગણે સમજે છે અને ગામ પોતાની વસ્તી ગણતરીના આધારે નાનું ગામ છે. જયાં જુમ્અહ જાઈઝ નથી. અગર થોડીવાર માટે બંને આબાદીઓને એક ગામ માની લઈએ તો પણ બંનેની સામૂહિક વસ્તી ગણતરી અને દુકાનોની સંખ્યાના આધારે ઉપરની વિગત જોતાં તે એવું મોટું ગામ સાબિત થતું નથી જેમાં જુમ્અહ અને ઈદની નમાઝ જાઈઝ કહી શકાય. ઘોરણ – પ પછીની સ્કૂલ, સહકારી મંડળી, સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન, પોસ્ટ ઓફિસ અને પી.સી.ઓ. અને સરકારી દવાખાનું બંને જગ્યાઓ માટે એક હોવું એ બંને આબાદીઓના એક ગામ હોવાની નિશાની અને દલીલ નથી કારણ કે મજકૂર સુવિધાઓ સામાન્ય રીતે સરકાર તરફથી વસ્તી ગણતરીના આધારે અલગ અલગ આપવામાં આવે છે, માટે એવા ઘણા ગામો છે, જે એક બીજાથી ઘણા અંતરે અને દૂર આવેલા છે અને દરેક રીતે અલગ જ ગણાય છે, પરંતુ વસ્તી ગણતરીના ઓછા પ્રમાણમાં હોવાના કારણે નાનુ ગામ હોવાની બુનિયાદ પર તેને સરકાર તરફથી આ સુવિધાઓ મળેલ નથી. ખુલાસો એ કે પૂછેલી સૂરતમાં બંને ગામોનું એક હોવું અને બંને વસ્તી મળી મોટુ ગામ હોવું પુરવાર થતું નથી. માટે ત્યાં જુમ્અહ તેમજ ઈદની નમાજ પઢવી દુરૂસ્ત અને જાઈઝ નથી.
Log in or Register to save this content for later.