[૧૮૮ ] જુમ્અહ પહેલાં તહિય્યતુલ્‌ મસ્જિદનો હુકમ

Chapter : નમાઝ

(Page : 254)

સવાલ :– હું શાફઈ મસ્જિદમાં નમાઝ પઢું છું, શાફઈ ભાઈઓનું કહેવું છે કે જુમ્અહની નમાઝ પઢવા પહેલાં તહિય્યતુલ્‌ મસ્જિદ બે (ર) રકઆત નમાઝ પઢે નહિં ત્યાં સુધી જુમ્અહની નમાઝ થતી નથી, તો શું તહિય્યતુલ્‌ મસ્જિદ પઢે તો જ જુમ્અહ થાય ? શું ઈમામ શાફઈ (રહ.)ના નઝદીક આ પ્રમાણે છે.

જવાબ :– તહિય્યતુલ્‌ મસ્જિદની નમાઝ મુજતહિદ ઈમામો (રહ.)ની સર્વસંમતિથી સુન્નત છે અને ઈમામ શાફઈ (રહ.)ના મસ્લક મુજબ જુમ્અહની નમાઝ દુરૂસ્ત થવા માટે મજકૂર નમાઝ અથવા તહિય્યતુલ્‌ મસ્જિદ શર્ત નથી. હા, હનફી અને શાફઈ ફિકહ મુજબ એટલો તફાવત છે કે હનફી ફિકહ મુજબ જુમ્અહના દિવસે જ્યારે ઈમામ સાહેબ ખુત્બહ માટે મિમ્બર પર બેસી જાય અને કોઈ માણસ તે સમયે આવી તહિય્યતુલ્‌ મસ્જિદ પઢવા ચાહે તો તે મકરૂહ છે. માટે ન પઢવી જોઈએ અને શાફઈ ફિકહ મુજબ તહિય્યતુલ્‌ મસ્જિદ તેવા સમયે પણ મકરૂહ નથી, બલ્કે બે ટૂંકી રકઆતો પઢી લેવી સુન્નત છે.

               (બિદાયતુલ્‌ મજતહિદ, ભાગ–૧/૧પ૭, શામી, ભાગ–૧/૪પ૬, બદાઈઅ્‌, ભાગ–૧/ર૬૩)

Log in or Register to save this content for later.