[૧૭૦] જુમ્અહના ખુત્બહથી પહેલાં સૂરએ કહફ પઢવી

Chapter : નમાઝ

(Page : 237-238)

સવાલ :– જુમ્અહના દિવસે સૂરએ કહફ પઢવાની ફઝીલત બતાવશો અને ખુત્બહથી પહેલાં તેનું પઢવું જાઈઝ છે કે નહિ અને તે વખતે  પઢવાથી પઢનારને ફઝીલત પ્રાપ્ત થશે કે નહિ ?

જવાબ :– સૂરએ કહફ જુમ્અહના દિવસે પઢવાની ફઝીલત અહાદીસે શરીફામાં નીચે મુજબ આવેલ છે.

               એક રિવાયતમાં છે કે જે માણસ જુમ્અહના દિવસે સૂરએ કહફની તિલાવત કરશે, તેના કદમથી લઈને આસમાનની ઉંચાઈ સુધી નૂર થઈ જશે, જે કિયામતના દિવસે રોશની આપશે અને પાછલી જુમ્અહથી આ જુમ્અહ સુધીના તેના બધા ગુનાહો માફ થઈ જશે.

               હઝરત અલી (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે જે માણસ જુમ્અહના દિવસે સૂરએ કહફ પઢી લે તો તે આઠ દિવસ સુધી દરેક ફિત્નાથી મહફૂઝ રહેશે અને જો (આ દરમ્યાન) દજ્‌જાલ જાહેર થઈ જાય તો તેના ફિત્નાથી પણ મહફૂઝ રહેશે.        (મઆ. કુર્આન ભા. પ/પ૩૪)

               હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન નકલ કરે છે કે જેણે જુમ્અહના દિવસે સૂરએ કહફ પઢી તો તેને બન્ને જુમ્અહના દરમ્યાની ગાળામાં નૂર પ્રાપ્ત થશે. બીજી એક રિવાયતમાં છે કે જે માણસે જુમ્અહના દિવસે સૂરએ કહફ પઢી તો તેનાથી લઈને કઅબહ સુધીનું નૂર પ્રાપ્ત થશે.            (મઝહરી ૬/૭૯)

               ઉપરોકત હદીસોની મજકૂર ફઝીલતના કારણે જુમ્અહના દિવસે સૂરએ કહફ પઢવું મુસ્તહબ છે અને જુમ્અહના પૂરા દિવસમાં ગમે ત્યારે મજકૂર સૂરત પઢશે તેને મજકૂર ફઝીલત પ્રાપ્ત થશે અને ખુત્બહથી પહેલાં જુમ્અહની સુન્નતોથી ફારિગ થઈ સૂરએ કહફનું પઢવું પણ જાઈઝ છે, બલકે મુસ્તહબ છે અને તે વખતે પઢનારને પણ ઉપરોકત ફઝીલતો પ્રાપ્ત થશે, પરંતુ એ વાતનો ખયાલ રાખવામાં આવે કે ખુત્બહથી પહેલાં મસ્જિદમાં લોકો નમાઝ, તિલાવત, દુરૂદ શરીફ વગેરે ઈબાદતોમાં મશગૂલ હોય છે, માટે એ રીતે આહિસ્તા પઢવામાં આવે કે બીજાઓને ઈબાદતો ધ્યાનપૂર્વક અદા કરવામાં કોઈ ખલલ ન પડે.     (શામી ભા. ૧/ફતાવા દા. ઉલૂમ ભા. પ/૧૩૦)

Log in or Register to save this content for later.