Chapter : નમાઝ
(Page : 232-233-234-235-236-237)
સવાલ :– જુમ્અહના દિવસે જુમ્અહના ખુત્બહ પહેલાં સુન્નત અને નફલ નમાઝોની કેટલી રકઅતો છે અને તે કઈ તરતીબથી પઢવાની છે અને તે દરેક નમાઝની શું ફઝીલત છે ? તે વિગતથી જણાવશો.
જવાબ :– જુમ્અહના દિવસે ગુસલ કરનાર ઝવાલ પછી એટલે કે જુમ્અહનો વખત શરૂ થયા પછી ગુસલથી ફારિગ થાય અથવા વુઝૂ કરે તો તેણે વુઝૂના અવયવો સુકાતાં પહેલાં તહિય્યતુલ્ વુઝૂની નિય્યતથી બે રકઆત નફલ નમાઝ પઢવી મુસ્તહબ છે અને આ નમાઝમાં સૂરએ ફાતિહા પછી સૂરએ કાફિરૂન અને સૂરએ ઈખ્લાસ પઢવી અફઝલ છે.
હઝરત ઉસ્માન (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ વુઝૂ કર્યા પછી ફરમાવ્યું કે,
”જેણે મારા તરીકા મુજબ વુઝૂ કર્યું અને પછી એવી રીતે બે રકઅત નમાઝ પઢી કે તેમાં પોતાની ઝાત સાથે કોઈ વાતચીત ન કરી (એટલે કે નમાઝથી બહારની વાતોનો વિચાર ન કર્યો) તો અલ્લાહ તઆલા તેના આગલા ગુનાહો માફ ફરમાવી આપશે.” (સહીહૈન શરીફ)
હઝરત ઉક્બહ બિન આમિર (રદિ.)એ કહ્યું કે વારીથી ઊંટો ચરાવવાની અમારી જવાબદારી હતી, જ્યારે મારી વારી આવી તો હું સાંજના સમયે ઊંટો લઈને આવી રહ્યો હતો. મેં હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ને જોયા કે ઊભા રહીને લોકો સામે હદીસ ફરમાવી રહ્યા છે. મેં ત્યાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો ઈરશાદ સાંભળ્યો કે જે મુસલમાન સારી રીતે (વુઝૂની સુન્નતો અને અદબોની કાળજી રાખીને) વુઝૂ કરે અને પછી ઊભો થઈને નમાઝમાં સંપૂર્ણ દિલ લગાવીને ધ્યાનપૂર્વક બે રકઆત નમાઝ પઢે તો તેના માટે જન્નત સાબિત થઈ જશે. (મુસ્લિમ શરીફ)
હઝરત અબૂ હુરૈરહ (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હઝરત બિલાલ (રદિ.)ને કહ્યું કે : હે બિલાલ ! તમે ઈસ્લામની હાલતમાં કરેલો તમારો એવો અમલ મને બતાવો કે જેના કબૂલ થવાની તમને સૌથી વધુ આશા હોય, કારણ કે મેં જન્નતમાં મારાથી આગળ તમારા ચપ્પલ–જોડાનો અવાજ સાંભળ્યો છે. હઝરત બિલાલ (રદિ.)એ કહ્યું કે આ અમલથી વધુ આશાવાળો કોઈ અમલ મેં નથી કર્યો કે હું રાત–દિવસમાં જ્યારે પણ પાકી હાસિલ કરું છું તો તે પાકી (વુઝૂ, ગુસલ કે તયમ્મુમ)થી હું એટલી નફલ નમાઝ (તહિય્યતુલ્ વુઝૂ) પઢું છું જેટલી પઢવાનો અલ્લાહ તઆલાએ મારા માટે ફેંસલો ફરમાવી દીધો છે. (બુખારી શરીફ)
અત્રે એ મસ્અલહ પણ ધ્યાનમાં રાખવો જોઈએ કે જે વખતોમાં નફલ નમાઝ પઢવી મકરૂહ છે, તે વખતોમાં તહિય્યતુલ્ વુઝૂની નમાઝ પઢવી પણ મકરૂહ છે અને એ વાત પણ યાદ રાખવી જોઈએ કે આ નફલ નમાઝ માત્ર જુમ્અહના દિવસ સાથે અને ખુત્બહથી પહેલાંના સમય સાથે ખાસ નથી, બલકે ગમે તે ગેર મકરૂહ વખતના વુઝૂ અને ગુસલના સમય માટે આમ છે; પરંતુ જુમ્અહના ખુત્બહથી પહેલાં પણ સામાન્ય રીતે જુમ્અહનું ગુસલ અથવા વુઝૂ કરવામાં આવે છે, માટે તે વખતે પણ આ નમાઝ મુસ્તહબ છે.
(કબીરી–૩૭/તહતાવી ર૧૬/શામી ભા. ૧/૪પ૮)
જુમ્અહના દિવસે જુમ્અહની પહેલી અઝાન પહેલાં કે પછી, ઝવાલ થઈ ગયા પછી શરઈ મસ્જિદ એટલે કે જમાઅત ખાનામાં દાખલ થઈને તહિય્યતુલ્ મસ્જિદની નિય્યતથી બે રકઆત નમાઝ પઢવી સુન્નત (મુઅક્કદહ) છે અને આ સુન્નત નમાઝ જમાઅત ખાનામાં દાખલ થઈને તુરત બેસતાં પહેલાં પઢવી અફઝલ છે.
હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નું ફરમાન છે કે જ્યારે તમારામાંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો જ્યાં સુધી (તહિય્યતુલ્ મસ્જિદની) બે રકઆત ન પઢી લે ત્યાં સુધી ન બેસે. (સહીહૈન શરીફ)
મજકૂર હદીસ મુજબ તહિય્યતુલ્ મસ્જિદ અદા કરવાનો અફઝલ તરીકો તો આ જ છે કે મસ્જિદમાં દાખલ થઈને તુરત બેસતાં પહેલાં પઢી લેવામાં આવે. દારુલ ઉલૂમ દેવબંદના દારુલ ઈફતાના મુફતી સાહેબ હઝરત મવ. કાઝી મસઉદ અહમદ સાહેબ (રહ.) એક સવાલના જવાબમાં લખે છે કે ‘‘બેહતર યેહી હે કે મસ્જિદમેં દાખિલ હોતે હી નવાફિલમેં ઓર સુનનમેં મશગૂલ હો જાએ, અલાવા અઝીં હઝરાત અકાબિર (રહિમહુમુલ્લાહુ તઆલા)કા અમલ ઈસી પર રહા હે, મસ્જિદમેં દાખિલ હોતે હી નમાઝમેં મશગૂલ હો જાતે થે, વલ્લાહુ તઆલા આલમ……. કતબહૂ મસઉદ અહમદ.
આ ફતવાની તસદીક વિશે હિંદોપાકના મુફતીએ આઝમ હઝ. મુવ. મુફતી મુહમ્મદ શફીઅ સાહેબ (રહ.) લખે છે કે ‘‘જવાબ સહીહ હે ઔર ખૂદ હદીસ શરીફમેં ઈર્શાદ હે કે તહિય્યતુલ્ મસ્જિદ બેઠનેસે પેહલે પળ્હના ચાહિએ, ”કબ્લ અંય્યજ્લિસ” કી તસ્રીહ હે, ઈસકે ખિલાફ કરના ઝિયાદતિએ સવાબસે મહરૂમીકા સબબ હે. (ઈમ. મુફતીન ૩૬૦)
પરંતુ મસ્જિદમાં દાખલ થઈને બેસી જવાથી તહિય્યતુલ્ મસ્જિદની સુન્નત છૂટી ગયેલી નહિ ગણાય, બલકે બેસી ગયા પછી પણ ઊભા થઈને પઢી શકાય છે. હઝરત અબૂઝર (રદિ.) એકવાર તહિય્યતુલ્ મસ્જિદની નમાઝ પઢયા વગર બેસી ગયા તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ તેમને ફરમાવ્યું કે હે અબૂઝર, મસ્જિદ માટે પણ તહિય્યહ છે અને તે તહિય્યહ બે રકઆત નમાઝ છે, માટે ઊભા થઈને બે રકઆત નમાઝ પઢી લો. (શામી ભા. ૧/૪પ૬)
આ સુન્નત નમાઝ પણ જુમ્અહના દિવસ અને વખત સાથે ખાસ નથી, બલકે દરરોજ મસ્જિદમાં દાખલ થતી વખતે પઢવી સુન્નત છે અને જે માણસને કોઈ કારણસર વારંવાર મસ્જિદમાં આવવાનું થતું હોય, તેના માટે દરરોજ દિવસમાં એકવાર તહિય્યતુલ્ મસ્જિદની નમાઝ પઢી લેવી સુન્નતની અદાયગી માટે કાફી છે અને જો કોઈ માણસ ઝવાલના મકરૂહ વખતે અથવા અન્ય કોઈ મકરૂહ વખતે મસ્જિદમાં દાખલ થાય તો મકરૂહ વખતમાં આ સુન્નત નમાઝ પઢવી જાઈઝ નથી. અલબત્ત, મકરૂહ વખતમાં મસ્જિદમાં દાખલ થઈને આ ચાર કલિમાત સુબ્હાનલ્લાહ વલ્હમ્દુલિલ્લાહ વલા ઈલાહ ઈલ્લલ્લાહુ વલ્લાહુ અકબર ચાર વાર પઢવા અને દુરૂદ શરીફ પઢવું મુસ્તહબ છે.(શામી ૧/૪પ૬–તહતાવી ર૧પ)
તહિય્યતુલ્ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદ પછી જુમ્અહના ખુત્બહની અઝાન શરૂ થતાં પહેલાં એક સલામથી ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ નમાઝ છે. હઝરત અબૂ અય્યૂબ (રદિ.) નકલ કરે છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) (દરરોજ) ઝવાલ પછી (ઝોહર અથવા જુમ્અહની સુન્નત) ચાર રકઆત નમાઝ પઢતા હતા. મેં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી પૂછયું કે આપ હંમેશા આ નમાઝ પઢો છો, એ કઈ નમાઝ છે ? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે આ ઘડીમાં આસમાનના દરવાજા ખોલવામાં આવે છે, માટે હું એ વાત પસંદ કરું છું કે, આ ઘડીમાં મારો કોઈ નેક અમલ ઉપર જાય. મેં પૂછયું કે શું તેની દરેક રકઅતમાં કિરાઅત છે ? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ જવાબ આપ્યો કે હા, તેની બધી રકઅતોમાં કિરાઅત છે. મેં પૂછયું કે એક સલામથી (ચાર રકઆત) પઢવાની કે બે સલામોથી ? તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે (પૂરી ચાર રકઆત) એક સલામથી પઢવાની છે. (શામી ૧/૪પર)
જો કોઈ માણસ વુઝૂ કરીને મસ્જિદમાં દાખલ થઈને તુરત તહિય્યતુલ્ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદ બન્નેવની નિય્યતથી બે રકઆત નમાઝ પઢી લેશે તો એ બે રકઆત બન્ને નમાઝોના કાયમ મકામ ગણાશે અને તેને સુન્નત અને નફલ બન્ને નમાઝોનો સવાબ મળશે. (અહ. ફતાવા ૩/૪૮૧,અશ્બાહ)
એ જ પ્રમાણે જો કોઈ માણસ વુઝૂ કરીને મસ્જિદમાં દાખલ થઈને તુરત જુમ્અહથી પહેલાંની ચાર રકઆત સુન્નતે મુઅક્કદહ નમાઝ પઢશે તો આ પ્રમાણે મોડું કર્યા વગર પઢેલી ચાર રકઆત સુન્નત તહિય્યતુલ્ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદના કાયમ મકામ પણ ગણાશે અને જો મજકૂર ચાર રકઆત પઢતી વખતે જુમ્અહની સુન્નતની નિય્યત સાથે બન્ને તહિય્યહ નમાઝોની નિય્યત કરી લેશે તો જુમ્અહની સુન્નતે મુઅક્કદહના સવાબ સાથે તે બન્ને નમાઝોનો સવાબ પણ મળશે, પરંતુ જો મસ્જિદમાં દાખલ થયા પછી જુમ્અહની સુન્નતે મુઅક્કદહ મોડી પઢવાનો ઈરાદો હોય તો દાખલ થઈને તુરત તહિય્યહ નમાઝ અલગથી પઢી લેવી જોઈએ.
(શામી ૧/૪પ૬–ઈમ. અહકામ ૧/પ૧પ–અહ. ફતાવા ૩/૪૮૩)
Log in or Register to save this content for later.