Chapter : નમાઝ
(Page : 221-222)
સવાલ :– તબ્લીગી લાઈનથી ભરૂચ જિલ્લાના પાંચ હલકાઓ બનાવેલા છે અને દરેક હલકાના ઝિમ્મેદારો દર મહિને નકકી કરેલ સ્થળે મશવેરા માટે ભેગા થાય છે અને મશવેરો કરી દરેક ગામના ઝિમ્મેદારોને ત્રણ દિવસની જમાઅત અલગ અલગ ગામોમાં મોકલવાની જવાબદારી સોંપી દેવામાં આવે છે. આ મશવેરા મુજબ અમારા ગામની જમાઅત દર જુમેરાત, જુમ્અહ અને શનિવાર આમ ત્રણ દિવસો માટે નીકળે છે. અમારા ગામમાં જુમ્અહની નમાઝ થાય છે, અને જમાઅતના સાથીઓ જુમેરાતના દિવસે ગામથી નીકળીને જુમ્અહના દિવસે ઘણીવાર આજુબાજુની એવી આબાદીમાં પહોંચે છે જયાં ઝોહરની નમાઝ થાય છે અને જુમ્અહ થતી નથી, તો આ સૂરતમાં અમારા ગામની જમાઅતના સાથીઓ ઉપર જુમ્અહની નમાઝ ફર્ઝ છે ? અથવા તેઓ આવી આબાદીમાં ઝોહર પઢી શકે છે.
જવાબ :– જુમેરાત, જુમ્અહ અને શનિવાર, ત્રણ દિવસો માટે નીકળતી જમાઅત જો જુમ્અહના દિવસે એવા નાના ગામડામાં પહોંચે કે જયાં જુમ્અહની નમાઝ પઢવી જાઈઝ નથી, તો તે જમાઅતના સાથીઓ પર જુમ્અહ પઢવી ફર્ઝ નથી, બલકે ઝોહરની નમાઝ પઢવી જ ફર્ઝ છે, ચાહે તે સાથીઓ એવા મોટા ગામના રહેવાસી હોય કે જયાં જુમ્અહ પઢવી ફર્ઝ છે. જુમ્અહના ફર્ઝ થવા માટે જુમ્અહના દિવસે ઝવાલ બાદ મુકીમ હોવાની હાલતમાં શહેર અથવા મોટા ગામમાં રહેઠાણ હોવું જરૂરી છે, જેવી રીતે નાના ગામનો રહેવાસી જુમ્અહના દિવસે ઝવાલ બાદ શરઈ મુસાફિર ન હોવાની હાલતમાં શહેરમાં અથવા મોટા ગામમાં જુમ્અહ સુધી રોકાવાનો હોય તો તેના પર જુમ્અહ ફર્ઝ થઈ જાય છે, એવી જ રીતે શહેર અથવા મોટા ગામનો રહેવાસી જુમેરાતે અથવા જુમ્અહના દિવસે ઝવાલ પહેલાં સફર શરૂ કરી જુમ્અહ વખતે નાના ગામડામાં પહોંચી જાય તો તેની ઉપર જુમ્અહ ફર્ઝ થતી નથી. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧/પ૪૬,પપ૩)
Log in or Register to save this content for later.