Chapter : નમાઝ
(Page : 201-202-203-204-205-206-207)
સવાલ :– દરેક જુમ્અહની બે રકઆત ફર્ઝ નમાઝ પછી તુરત ઈમામ સા. પાંચથી દસ મિનિટ બયાન કરે છે, જેનો હેતુ લોકોને સારી વાતો બતાવવાનો અને દીનની દાવત દેવાનો હોય છે. બયાન પછી દુઆ કરે છે તો આપ સા.થી પૂછવાનું એ કે આ પ્રમાણે જુમ્અહની સલામ બાદ તુરત દુઆ કરવાના બદલે બયાન કરવાથી અને ત્યાર બાદ દુઆ કરવાથી દુઆનો સહીહ તરીકો અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની સુન્નત છૂટવાનો મસ્અલો ઉપસ્થિત થશે કે નહિં ? જ્યાં સુધી અમોને ખબર છે; આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો તરીકો એ હતો કે ફર્ઝ નમાઝ પછી તુરત દુઆ ફરમાવતા હતા.
જવાબ :– આ વાત બિલ્કુલ સાફ અને સ્પષ્ટ છે કે, ફર્ઝ નમાઝ પછી ચાહે તે જુમ્આની નમાઝ હોય કે બીજી કોઈ નમાઝ, સલામ કહ્યા પછી અને સુન્નતો પઢતાં પહેલાં ઈમામ અને મુકતદીઓનું દુઆ કરવું મુસ્તહબ છે અને દુઆ પછી તુરત સુન્નતો પઢવી એ પણ અફઝલ છે અને વગર કારણે સુન્નત પઢવામાં મોડું કરવું અફઝલ વિરૂદ્ધ અને મકરૂહે તન્ઝીહી છે, પરંતુ સાથે એ પણ યાદ રાખવું ઝરૂરી છે કે દુઆ કરવી મુસ્તહબ છે. ફર્ઝ કે વાજિબ નથી કે જેને છોડવાથી લાનતાન કરવામાં આવે, એટલા જ માટે ફિકહની કિતાબોમાં એક મસ્અલો એ પણ છે કે જો ઈમામ સા. પોતાની જરૂરતના કારણે દુઆ કર્યા વગર મસ્જિદથી નીકળી ઘરે અથવા બીજી કોઈ જગ્યાએ જવા ચાહે તો જઈ શકે છે. માટે દુઆ કરવા વિશે એટલો આગ્રહ અને સખત પાબંદી પણ યોગ્ય નથી કે જેના લઈ દુઆનું ફર્ઝ અથવા વાજિબ હોવું સમજવામાં આવે. (તહતાવી અલલ મરાકી : ૧૭૧)
عن عقبۃ ؓ قال صلیت وراء النبی ﷺ بالمدینۃ العصر فسلّم فقام مسرعاً فتخطیٰ رقاب الناس الی بعض حجر نسائہ ففزع الناس من سرعتہ فخرج علیہم فرأی عنھم قد عجبوا من سرعتہ فقال ذکرت شیئاً من تبر عندنا فکرہت ان یحبسنی فامرت بقسمتہ۔
અર્થાત : હઝરત ઉકબહ (રદિ.) ફરમાવે છે કે, મેં મદીના તય્યિબહમાં રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાછળ અસરની નમાઝ પઢી, જ્યારે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ સલામ ફેરવી તો તુરત ઝડપભેર ઉભા થઈ ગયા અને (નમાઝી) લોકોને ફલાંગતા ફલાંગતા અઝવાજે મુતહ્હરાતમાંથી કોઈ એકના હુજરહમાં તશરીફ લઈ ગયા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની જલ્દીના કારણે લોકો ભયભીત થવા લાગ્યા. એટલામાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) તેઓની પાસે પાછા તશરીફ લાવ્યા અને જોયું કે લોકો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના જલ્દી કરવાના કારણે આશ્ચર્ય અનુભવી રહ્યા છે તો આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે મને તે થોડું સોનું યાદ આવ્યું જે અમારી પાસે જમા હતું તો મને એ વાત ઉચિત ન લાગી કે તે સોનું મને (સંપૂર્ણ રીતે અલ્લાહ તઆલા તરફ ધ્યાન કરવાથી) રોકી દે, માટે મેં તેને વહેંચી આપવાનો હુકમ આપી દીધો. (બુખારી શરીફ ૧૧૭ ભા. ૧)
શારિહે બુખારી ઈબ્ને હજર (રહ.) આ હદીસ પર લખે છે કે આ હદીસથી એ વાત માલૂમ થઈ કે નમાઝ પછી રોકાવું વાજિબ નથી. (ફત્હુલ બારી: ર૭૯, ભા. ર)
કોઈ કારણસર દુઆ અને સુન્નતોમાં મોડું કરવામાં આવે તો જાઈઝ છે. કારણસર મોડી પઢવાથી સુન્નતો છૂટેલી નહિ ગણાય, અદા થયેલી ગણાશે અને પૂરો સવાબ મળશે, જેમ કે મસ્અલો છે કે, અગર ફર્ઝ નમાઝ પછી ખાવું તૈયાર હોય અને સુન્નતો પઢવામાં લાગી જવાથી ખાવાની લજ્જત ખતમ થઈ જવાનો ભય હોય તો પ્રથમ ખાવું ખાય લે, પછી સુન્નતો પઢે.
ولو جییٔ بطعام إن خاف ذہاب حلاوتہ أو بعضھا تناولہ ثم سنّن (در مختار) (قولہ ولو جییٔ بطعام) افاد ان العمل المنافي انما ینقص ثوابھاأو یسقطھا لو کان بلا عذر أماّ لئن حضرت الطعام وخاف ذہاب لذتہ لواشتغل بالسنۃ البعدیۃ فانہ یتناولہ ثم یصلیھا لان ذلک عذر فی ترک الجماعۃ ففی تاخیرالسنۃ اولیٰ۔ )شامی :۱؍۴۵۷، التحریر المختار: ۱؍۹۱(
આજકાલ મુસ્લિમ સમાજની દીની હાલત દરેકની નજરો સામે છે કે લોકોમાં દીની વાતોનો ઉત્સાહ અને પ્રેમ ઘટી રહ્યો છે અને સહીહ આમાલ તથા અકાઈદથી અજ્ઞાનતા વધી રહી છે, તેને લઈ જો ઈમામ સા. જુમ્આની નમાઝની સલામ પછી તુરત એ હેતુથી કે જુમ્આના લઈ વસ્તીના મોટા ભાગના લોકોને ફાયદો પહોંચશે કંઈક દીનની વાતો થોડો સમય બયાન કરે તો જાઈઝ છે અને એમાં કોઈ વાંધો નથી.
બલકે આ પ્રમાણે નમાઝની સલામ બાદ તુરત કદી કદી દીનની ઝરૂરી વાતોનું બયાન આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી સાબિત છે.
عن عبداللہ بن عمر ؓ قال صلی النبي ﷺ صلاۃ العشاء فی آخر حیاتہ فلما سلم قام النبی ﷺ، فقال ارأیتکم لیلتکم ہذہ؟ فان رأس مائۃ سنۃ لا یبقی من ہو الیوم علی ظہرالارض احد، فوھل الناس فی مقالۃ النبی ﷺ الی ما یتحدَّثون فی ہذہ الاحادیث عن مأۃ ســنۃ ، وانــما قال النبی ﷺ لا یبقی ممن ہو الیوم علی ظہر الارض یرید بذلک انھا تخرم ذلک القرن۔
અર્થાત : હઝરત અબ્દુલ્લાહ બિન ઉમર (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ પોતાની ઝિંદગીના પાછલા દિવસોમાં (એક વખતે) ઈશાની નમાઝ પઢી, જ્યારે સલામ ફેરવી નમાઝથી ફારિગ થયા તો તુરત ઊભા થયા અને ફરમાવ્યું કે આ રાત વિશે તમોને કંઈ ખબર છે ? આજ આ ધરતીના પટ પર જેટલા માણસો હયાત છે સો વર્ષ બાદ એમનામાંથી કોઈ પણ બાકી રહેશે નહિ. લોકોએ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના ફરમાનનો મકસદ સમજવામાં ગલતી કરી અને વિવિધ વાતો કહેવા લાગ્યા. આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)નો મકસદ આ ફરમાનથી ફકત એ હતો કે જે લોકો આજે (આ વાતચીત સમયે) હયાત છે એમાંથી કોઈ પણ આજથી એક સો વર્ષ (એક સદી) પછી બાકી નહિ રહે. (બુખારી શરીફ ૮૪ ભા. ૧)
۔عن انس ؓ ان رسول اللہ ﷺ رکب فرساً فصرع عنہ فجحش شقہ الأیمن فصلی صلاۃ من الصلوات وھو قائم فصلینا وراء ہ قعودا فلما انصرف قال انما جعل الامام لیؤتم بہ فاذا صلی قائماً فصلوا قیاماً واذا رکع فارکعوا فإذا رفع فارفعوا واذا قال سمع اللہ لمن حمدہ فقولوا ربنا لک الحمد واذا صلی جالسا فصلوا جلوساً۔
અર્થાત : હઝરત અનસ (રદિ.)થી મન્કૂલ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) ઘોડા પર સવાર થયા તો પડી ગયા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની જમણી બાજુ ચોટ લાગી, માટે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ નમાઝોમાંથી કોઈ નમાઝ બેસીને પઢાવી અને અમો પણ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની પાછળ બેસીને નમાઝ પઢયા, જ્યારે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) નમાઝથી ફારિગ થયા તો ફરમાવ્યું કે ઈમામ એટલા માટે નક્કી કરવામાં આવે છે કે તેની તાબેદારી (ઈક્તિદા) કરવામાં આવે, માટે જ્યારે ઈમામ ઊભો થઈ નમાઝ પઢે તો તમો પણ ઊભા થઈને નમાઝ પઢો અને જ્યારે તે રુકૂઅ કરે તો તમો રુકૂઅ કરો અને જ્યારે તે રુકૂઅમાં માથું ઉઠાવે તો તમો પણ ઉઠાવો. (મિશ્કાત શરીફ ૧૦૧)
عن ابی سعید الخدریؓ قال : قام فینا رسول اللہ ﷺ خطیبا بعد العصر فلم یدع شیئاً یکون إلی قیام الساعۃ إلاّ ذکرہٗ۔
અર્થાત : હઝરત અબૂ સઈદ ખુદરી (રદિ.) ફરમાવે છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) (એક વખત) અસરની નમાઝ પછી અમારી સામે તકરીર કરવા ઊભા થયા અને કયામત સુધી બનનારી ઘણી વાતો બયાન ફરમાવી.(મિશ્કાત ૪૩૭)
આ સિવાય પણ ફર્ઝની સલામ બાદ આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના બયાન કરવાના ઘણા બનાવો હદીસની કિતાબોમાં મવજૂદ છે.
હુઝૂરે અકરમ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના મુબારક સમયમાં આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) અને સહાબએ કિરામ (રદિ.)ની સામાન્ય આદત એ હતી કે ફર્ઝ નમાઝની આગળ અને પાછળની સુન્નતો ઘરે પઢતા હતા અને આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સહાબા (રદિ.)ને એ વાતની તરગીબ પણ આપતા હતા, એટલા જ માટે જો આજે પણ ફર્ઝ નમાઝ પઢયા બાદ મસ્જિદથી નીકળી સીધા ઘરે પહોંચવા પર અને ઇત્મીનાન સાથે સુન્નતો પઢી શકવા પર કુદરત હોય તો સુન્નતો ઘરે જઈ પઢવી જ અફઝલ છે, પરંતુ હવે હાલત એ પ્રમાણે અદા કરવા માટે અનુકૂળ નથી. મસ્જિદથી નીકળ્યા પછી સુન્નતો છૂટી જવાનો અને મકાન પર ઇત્મીનાન સાથે ન પઢી શકવાનો ભય વધારે છે. માટે ઉપરોકત કારણસર હવે અફઝલ એ જ છે કે સુન્નતો મસ્જિદમાં જ પઢી લેવામાં આવે. (શામી–૧/૪પ૮)
والاخبار فی ان الافضل فی التطوع ان یصلی فی البیت کثیرۃ جداً لکن ہذا اذا علم انہ لا یشغلہ شاغلٌ قال فی الخلاصۃ الرجل إذا کان یصلی المغرب فی المسجد فأراد ان یصلی رکعتین بعدہ إن خاف لو رجع الی بیوتہ یشغلہ شيئٌ آخر یأتی بھا فی المسجد وان کان لا یخاف صلاھا فی المنزل وکذا فی سائر السنن حتی الجمعۃ۔ (کبیری:۳۴۳(
એવી જ રીતે અગર જહાલતને દૂર કરવા અને સહીહ અહકામે દીનની તાલીમના હેતુથી જુમ્આની નમાઝ બાદ થોડો સમય ટૂંકાણપૂર્વક દીનની વાતો બયાન કરવામાં આવે તો એ જાઈઝ છે અને દુઆમાં કે સુન્નતોમાં કોઈ વાંધો આવશે નહિં, જ્યારે કે આપ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)થી પણ કદી કદી આ પ્રમાણેનું બયાન આપવું સાબિત છે.
હા, આ પ્રમાણે બયાનને ઝરૂરી ન સમજવું જોઈએ અને ઘણું લંબાણપૂર્વક બયાન પણ ન હોવું જોઈએ, માટે કોઈક વખતે બયાન છોડી પણ આપવું જોઈએ કે જેનાથી લોકો ઝરૂરી ન સમજવા લાગે. (૪ સફર ૧૪૦ર હિ. સ.)
Log in or Register to save this content for later.