[૧૩૩] વિદેશમાં સ્થાયી થનાર મૂળ વતનમાં મુકીમ કે મુસાફિર?

Chapter : નમાઝ

(Page : 176-177-178-179-180)

સવાલ :– મારો જન્મ ભારતમાં થયો હતો અને હું ર૩ વર્ષથી યુ.કે.માં રહું છું, મેં ભારતમાં મકાન પણ બનાવ્યું છે, હાલ હું યુ.કે.થી ભારત આવ્યો છું અને દોઢ મહિના સુધી અહિંયા રહેવાનો છું, પરંતુ દસ દિવસો પછી પોતાના ઈન્ડિયન રહેઠાણથી બે–ત્રણ દિવસ માટે પચાસ માઈલથી દૂર જવાનો છું અને પછી પોતાના રહેઠાણ ઉપર વાપસ આવવાનો છું અને પોતાના ઈન્ડિયન રહેઠાણ ઉપર આઠ–દસ દિવસો લગાતાર રહ્યા પછી અવારનવાર સફર કરતો રહીશ તો સવાલ આ છે કે શું હું ભારતમાં રહું એટલા દિવસ હંમેશા મુસાફિર રહીશ અને મારે આ દરમિયાન પોતાના ઘર ઉપર પણ કસર નમાઝ પઢવી પડશે અથવા પૂરી નમાઝ પઢવી પડશે ?

જવાબ :– માણસનું પિતૃવતન (બાપ–દાદાનું વતન) જ્યાં તેનો જન્મ થયો હોય, તેનું વતને અસલી કહેવાય છે, માટે જયાં સુધી તમો ભારતમાં રહેતા હતા, તમારું પિતૃવતન અને જન્મ સ્થળ તમારું વતને અસલી હતું, પછી જયારે તમોએ યુ.કે. નો સફર કર્યો અને ત્યાં પોતાના વતનની જેમ રહેવાનો પાકો ઈરાદો કરી લીધો, તો યુ.કે.નું રહેઠાણ શહેર તમારું વતને અસલી બની ગયું.

               રહી આ વાત કે તમારું ભારતનું વતને અસલી, જયાંથી સફર કરીને તમો યુ.કે.માં સ્થાયી થયા છો, તે પહેલા સ્થળે તમારું મકાન વગેરે હોવાના કારણે હજુ પણ તે તમારું વતને અસલી ગણાશે કે નહિ ? તો આવી સૂરતમાં પહેલાં સ્થળે મકાન અને જમીન વગેરે બાકી રહેવાથી પહેલાંની માફક તેના વતને અસલી બાકી રહેવા બાબત ફુકહાએ કિરામના બે અલગ અલગ મંતવ્યો છે અને બંનેમાંથી રાજિહ અને અમલ માન્ય મંતવ્ય આ પ્રમાણે છે કે :–

જો તમોએ પોતાના ભારતના વતનમાં પહેલાંની માફક વતન તરીકે રહેઠાણ છોડવાનો ઈરાદો કરી લીધો છે અને માત્ર સગાં–સંબંધીઓની મુલાકાત માટે આવીને મહેમાન તરીકે રહેવાનો ઈરાદો કર્યો છે, તો પ્રથમ ભારતીય વતન હવે તમારું વતને અસલી બાકી નહિ ગણાય, માટે જયારે તમો ભારતમાં પોતાના ભૂતપૂર્વ વતનમાં આવશો તો ત્યાં મુસાફિર ગણાશો અને જમાઅત વગર તથા મુસાફિર ઈમામ પાછળ નમાઝ પઢવાની સૂરતમાં ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ કસર પઢવી પડશે. અલબત્ત જો ભૂતપૂર્વ વતનમાં પહોંચીને ત્યાં લગાતાર ૧પ દિવસ રહેવાની નિય્યત કરી લેશો તો મુકીમ બની જશો અને આવી સૂરતમાં ત્યાં પૂરી નમાઝ પઢવાની રહેશે અને પછી જયારે ત્યાંથી ૪૮ માઈલ દૂરની મુસાફરી કરશો તો હવે તે વતને ઈકામત બાતિલ થઈ જશે.

અને જો યુ.કે.ના નિવાસ સ્થાનને વતન બનાવ્યા પછી પણ કોઈ ખાસ ૠતુ અને પિરિયડમાં પોતાના પ્રથમ વતનમાં આવીને ત્યાં પહેલાંની માફક વતન તરીકે રહેવાનો ઈરાદો કર્યો છે, તો પ્રથમ ભારતીય વતન પણ તમારા વતને અસલી તરીકે બાકી જ ગણાશે અને ત્યાં પહોંચીને લગાતાર પંદર દિવસ રહેવાની નિય્યત વગર પણ મુકીમ બની જશો અને નમાઝો પૂરી પઢવી પડશે અને ત્યાંથી ભલે અવાર નવાર બીજા સ્થળોની મુસાફરી કરતા રહો, પણ ત્યાં પાછા પહોંચીને તમો મુકીમ જ ગણાશો, ખુલાસો આ કે આ બીજી સૂરતમાં તમારા બે વતને અસલી ગણાશે.એક ભારતમાં અને બીજું યુ.કે.માં અને બંનેમાંથી જયાં જશો ત્યાં પહોંચતા જ મુકીમ બની જશો અને બંને જગ્યાએ પૂરી નમાઝ પઢવી પડશે.

(‘શામી ૧/પ૩ર, નોઅ. બહર ર/૧૩૬)

               શૈખ હિશામ (રહ.)એ પોતાના ઉસ્તાઝ ઈમામ મુહમ્મદ (રહ.)થી પૂછુયું કે,

“કૂફાના એક રહેવાસી માણસે બગદાદને વતન બનાવી લીધું અને કૂફામાં તેનું ઘર મવજૂદ હોય તો ?

ઈમામ મુહમ્મદ (રહ.)એ જવાબ આપ્યો કે,

               ‘‘મારી હાલત આ જ પ્રમાણે છે અને જો તે માણસે પોતાના પહેલા વતનને વતન તરીકે છોડવાનો ઈરાદો કરી લીધો હોય તો મારું મંતવ્ય આ છે કે તેણે પ્રથમ સ્થળે કસર નમાઝ  પઢવી જોઈએ.

શૈખ નજમુદ્દીન ઝાહિદી (રહ.)એ કહ્યું કે,

“ઘણા એવા મુસ્લિમો માટે ઉપસ્થિત ઘટનાનો જવાબ ઈમામ મુહમ્મદ (રહ.)ના આ મંતવ્યથી મળી રહે છે કે, જેઓ શહેરોને વતન બનાવીને ત્યાં રહે છે અને તે શહેરમાંથી દૂરના ગામોમાં તેઓના ઘરો અને જમીન હોય છે કે જયાં તેઓ પોતાના ઘરવાળાઓ અને માલસામાન સાથે ઉનાળાની સીજનમાં જઈ રહે છે તો તેઓ માટે બંને સ્થળો વતન ગણાશે અને બંનેમાંથી એક સ્થળેથી બીજા સ્થળે જવાથી કોઈ વતન રદ બાતલ નહિ ગણાય.

(‘કિફાયહ, ‘ફ. કદીર ર/૧૮)

               હકીમુલ ઉમ્મત હઝરત મૌલાના થાનવી (રહ.)એ મજકૂર સૂરતમાં આવી જ વિગત લખી છે કે :–

“અગર ઈસ દૂસરે શહેરમેં ફિર બતોરે વતન રહનેકા ઈરાદા નહીં હે, જિસ તરહ પહેલે રહતા થા તબ તો (પેહલા જાએ કયામ) વતન ન રહા, વહાં જાકર કસ્ર કરેગા, જબ મસાફતે સફર તે કરકે આએ ઔર અગર અબ ભી ઈસી તરહ રહનેકા ઈરાદા હે તો વો ભી વતન હે, પસ ઉસ શખ્સ કે દો વતન હો જાવેંગે.

(‘ઈમ્દાદુલ ફતાવા ૧/પ૮પ)

               ફકીહુલ ઉમ્મત હઝરત મૌલાના મુફતી મહમૂદ હસન ગંગોહી (રહ.)એ આવી સૂરતનો જવાબ લખ્યો છે કે :–

‘‘ઉસ સામાન ઔર જાઈદાદ સે અગરચે ખૂદ હી મુનતફિઅ હોતા હે, ઉસસે અપની મિલકિય્યતકો ખત્મ નહીં કિયા તો ભી ઉસ જગહકી વતનિય્યત ખત્મ હો ગઈ, ચૂંકે દૂસરી જગહ મુસ્તકિલ રહાઈશ ઈખ્તિયાર કર લી હે, અબ વહાંસે બિલકુલ્લિયહ મુનતકિલ હોનેકા કસ્દ નહીં હે તો વો દૂસરી જગહ વતને અસલી બન ગઈ, લેકિન અગર પહેલી જગહ બલિહાઝે મોસમ આને ઔર રહનેકા કસ્દ હે તો દોનોં જગહ વતને અસલી હો જાએગી.

(‘કઝા ફિલ બહરિર્રાઈક ર/૧૩૬, ‘ફતાવા મહમૂદિય્યહ ૧૪/રર૩)

               અહિંયા આ વાત પણ યાદ રાખવી જોઈએ કે જો તમોએ યુ.કે.ની પાસપોર્ટ બનાવી કાનૂની રીતે યુ.કે.ની નેશનાલિટી (નાગરિકત્વ) પ્રાપ્ત કરી લીધી હોય અને કાનૂની રીતે અહિંયા ભારતનું નાગરિકપણું તમારા માટે ખતમ થઈ ગયું હોય અને હવે અહિંયા ભારત આવવા અને રહેવા માટે તમારે ભારત સરકાર પાસેથી વિઝિટીંગ વિઝા લેવી પડતી હોય અને યુ.કે.ની જેમ અહિંયાના નાગરિક તરીકે અહિંયા આવવું–જવું તથા અહિંયા રહેવાની મુદ્દત તમારી ઈચ્છા મુજબ તમારા ઈખ્તિયારમાં ન હોય તો આ હાલત એ વાતની નિશાની ગણાશે કે ફિકહી દષ્ટિએ ભારત હવે તમારું વતને અસલી બાકી રહ્યું નથી માટે જયારે તમો વિઝા લઈને અહિંયા આવશો તો મુસાફિર ગણાશો અને ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો કસર પઢવાની રહેશે. સિવાય એ કે તમો અહિંયા આવ્યા પછી પોતાના ભૂતપૂર્વ વતનમાં અથવા બીજા કોઈ સ્થળે પહોંચી લગાતાર પંદર દિવસ રહેવાની નિય્યત કરીને મુકીમ બની રહો.

Log in or Register to save this content for later.