Chapter : નમાઝ
(Page : 173-174)
સવાલ :– મુસાફરીમાં ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ કસર (ફકત બે રકઆત) પઢવાનો હુકમ છે તો ચાર રકઆતવાળી સુન્નતે મુઅક્કદહ માટે શું હુકમ છે ? શું તે પણ કસર પઢવી પડશે ? ઘણા લોકોનું માનવું છે કે મુસાફરીમાં સુન્નત નમાઝો માફ છે અને બે અથવા ચાર રકઆતવાળી સુન્નત નમાઝો મુસાફરીમાં છોડી દેવાથી માણસ ગુનેહગાર નહિ થાય. જવાબ :– સફરમાં કસર નમાઝ પઢવાનો હુકમ માત્ર ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝો માટે છે, સુન્નત નમાઝો માટે કસરનો હુકમ નથી.
સફરમાં સુન્નતે મુઅક્કદહ નમાઝો પઢવાનો હુકમ આ પ્રમાણે છે કે, જો સફર કરનાર વ્યકિત કોઈ ઠેકાણે ઉતરીને રોકાયેલ હોય અને તેને હાલ સફર કરવાની અથવા જે કામ માટે સફર કર્યો છે તે કામ પૂર્ણ કરવાની જલ્દી નથી, બલકે આરામ અને ફુરસદની હાલતમાં છે તો તેણે સુન્નતે મુઅક્કદહ નમાઝો પઢવી જોઈએ, કારણ કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ) કોઈ જગ્યાએ રોકાણ દરમ્યાન મુસાફિર હોવા છતાં પણ સુન્નતો પઢતા હતા. માટે સફરમાં પણ વિના કારણે અને વિના મજબૂરીએ સુન્નતે મુઅક્કદહ નમાઝ માફ સમજીને છોડી દેવી દુરુસ્ત નથી.
જો સફર ચાલુ હોય અથવા સફરની ઉતાવળ હોય અથવા કામની મશગૂલિયત હોય તો આવી હાલતમાં મુસાફિર માટે સુન્નતે મુઅક્કદહ નમાઝ છોડવી જાઈઝ છે, પરંતુ આવી હાલતમાં પણ ફજર અને મગરિબની સુન્નતે મુઅક્કદહ બે, બે રકઆત નમાઝ તો પઢી લેવી જ બહેતર છે, કારણ કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)એ સફર અને હઝરમાં આ સુન્નતોની પાબંદી ફરમાવી છે અને પઢવા માટે ખૂબ તાકીદ ફરમાવી છે. (‘શામી ૧/૪પ૩,પ૩ર)
Log in or Register to save this content for later.