Chapter : નમાઝ
(Page : 181-182-183-184)
સવાલ :– ‘દારુલ ઉલૂમ માસિક જૂન–૯૮ માં સફરના અંતર માટેનો આપનો જવાબ વાંચ્યો. તેમાં થોડોક શક થવાથી આ પત્ર લખું છું. મને એક મૌલવી સાહેબે મસ્અલો બતાવ્યો હતો કે સફરનું અંતર તમે જે મકામથી ઉપડો ત્યાંથી, તમે જે મકામે પહોંચો ત્યાં સુધી ગણાશે (અને તેના એઅ્તિબારથી શરઈ મુસાફિર નકકી થશે) અને નમાઝની કસરનો હુકમ વસ્તીની હદ છોડયા પછી લાગુ પડશે. બીજા શબ્દોમાં કસરનો હુકમ વસ્તી છોડયા પછી લાગુ પડશે. જયારે મુસાફરીનું અંતર તો તમે જયાંથી મુસાફરી શરૂ કરો તે મકામથી જ ગણાશે. માટે આ વાતની ચોખવટ કરવા મહેરબાની કરશો.
જવાબ :– મુસાફિરને જેવી રીતે નમાઝની કસર પોતાની આબાદીની હદ બહાર ગયા પછી લાગુ પડે છે તેવી જ રીતે સફરનું અંતર પણ આબાદીની હદ બહારથી જ શરૂ ગણાય છે. મુસાફિરના રહેઠાણથી આબાદીની હદ સુધીનું અંતર સફરના અંતરની ગણતરીમાં નહિ લેવાય.
મૌલવી સાહેબે આપને બંને બાબતોમાં જે તફાવત બતાવ્યો કે સફરનું અંતર તો રવાના થવાના સ્થળથી એટલે પોતાના રહેઠાણથી જ શરૂ ગણાશે અને નમાઝની કસર આબાદીની હદ વટાવ્યા પછી લાગુ પડશે, એ તફાવત બરાબર નથી અને ફિકહની આધારભૂત કિતાબોમાં સફરને લગતા મસાઈલને અનુરૂપ અને તેના મુતાબિક નથી.
ફિકહની મશહૂર કિતાબ ‘દુર્રે મુખ્તારમાં મુસાફિરની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે કે,
“જે માણસ પોતાના રહેવાના સ્થળની આબાદીથી એવી હાલતમાં બહાર નીકળે કે તેનો ઈરાદો ત્રણ રાત–દિવસની મસાફત (અંતર) કાપવાનો હોય,તો તે માણસ ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ બે રકઆત પઢે. (‘દુર્રે મુખ્તાર, ‘શામી ૧)
મુસાફિરની ઉપર લખવામાં આવેલી આ વ્યાખ્યાથી સ્પષ્ટ થાય છે કે આબાદીની હદ છોડતી વખતે ત્રણ દિવસ–રાતના અંતરે (એટલે ૪૮ માઈલ દૂર) જવાનો ઈરાદો હોવો જોઈએ, માટે દુર્રે મુખ્તારના આ લખાણથી એ વાત સાબિત થાય છે કે સફરનું અંતર આબાદીની હદ બહારથી શરૂ થશે અને સફરના અંતરની શરૂઆત અને નમાઝની કસરનો હુકમ બંને સાથે જ લાગુ પડશે.
અલ્લામા મરગીનાની (રહ.)એ જે સફરથી ઈકામતના અહકામ બદલાય છે અને સફરના અહકામ લાગુ પડે છે એવા શરઈ સફર માટે ત્રણ દિવસ–રાત પગપાળા અથવા ઊંટ પર સવાર થઈને મુસાફરીનું અંતર નકકી કર્યું છે (જેનું માપ ૪૮ માઈલ નકકી થયું છે) અને તેની દલીલ રૂપે આ હદીસ નકલ કરી છે કે હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ)નું ફરમાન છે કે,
“મુકીમ મોજાઓ પર પૂરા એક દિવસ–રાત સુધી મસહ કરે અને મુસાફિર ત્રણ દિવસ–રાત સુધી મસહ કરે.
આ હદીસથી સફરના અંતરનું પ્રમાણ સાબિત કરતાં લખે છે કે,
જયારે દરેક જ મુસાફિર માટે ત્રણ દિવસ–રાત સુધી મસહ કરવાની ઈજાઝત છે, તો દરેક મુસાફિર માટે સફરનું આટલું અંતર પણ માનવું પડશે. (‘હિદાયહ અવ્વલૈન)
એટલે કે દરેક મુસાફિર માટે ત્રણ દિવસ–રાતના અંતર સુધી મોજાઓ પર મસહ કરવો ત્યારે જ શકય બની શકે છે જયારે કે દરેક મુસાફિર માટે મુસાફિર બનવા માટે સફરનું કમથી કમ આટલું અંતર માનવામાં આવે, કારણકે જો અમુક મુસાફિરો મજકૂર અંતર કરતાં ઓછા અંતરથી મુસાફિર બની જાય તો તેઓ માટે ત્રણ દિવસ–રાતના અંતર સુધી મોજાઓ પર મસહ કરવાનું શકય નહિ બને, હાલાંકે હદીસમાં દરેક જ મુસાફિર માટે આટલા અંતર સુધી મસહ કરવાને જાઈઝ અને શકય બતાવ્યું છે. (‘કિફાયહ, ‘ઈનાયહ, ‘ફ. કદીર ર)
શરઈ સફરના અંતરની દલીલ સમજૂતી વિષે કરેલી ઉકત ચર્ચાથી એ વાત સ્પષ્ટ થાય છે કે સફરના અંતરમાં તે અંતર મોઅતબર ગણાશે જે અંતરની મુસાફરી વખતે સફરના અહકામ લાગુ પડતા હોય અને સફરના અંતરની ગણતરીમાં તે અંતર મોઅતબર નહિ ગણાય જે અંતરની મુસાફરી દરમિયાન સફરના હુકમો લાગુ ન પડે અને જાહેર છે કે આબાદીમાં મુસાફિરના મકામ અને રવાનગીના સ્થળથી આબાદીની હદ પૂરી થતાં સુધીના અંતરમાં સફરના હુકમો લાગુ પડતા નથી, માટે આબાદીની અંદરનું અંતર શરઈ સફરના અંતરની ગણતરીમાં શામેલ નહિ ગણાય.
અત્રે એ વાત યાદ રહે કે હઝરાત અકાબિર મુફતિયાને કિરામના ઉર્દૂ ફતાવામાં સફરના અંતરની શરૂઆત વિશે અહકરને કોઈ સ્પષ્ટ ફતવો જોવા મળ્યો નથી અને સફરના અંતરની શરૂઆત વિશે ફિકહની અરબી કિતાબોના હવાલાઓથી કરવામાં આવેલી ઉપરોકત છણાવટ વિરુદ્ધ પણ તેઓના ઉર્દૂ ફતાવામાં અહકરને કોઈ વાત નજરે પડી નથી.
Log in or Register to save this content for later.