[૧૭] વુઝૂ, ગુસલ અને નમાઝમાં વસવસાનો ઉપાય

Chapter : તહારત

(Page : 56)

સવાલ :– મને મોટા ઈસ્તિન્જામાં અને નાના ઈસ્તિન્જામાં ઘણું જ પાણી જોઈએ છે, કારણ કે મને યકીન થતું નથી કે ઈસ્તિન્જો બરાબર થયો હશે. આ જ પ્રમાણે જ્યારે જનાબતનું ગુસલ કરું છું તો પણ ઘણું જ પાણી જોઈએ છે, કારણ કે મને શંકા રહે છે કે ફલાણી જગા સૂકી રહી ગઈ હશે, ફલાણી જગા સૂકી રહી ગઈ હશે અને બરાબર ગુસલ કર્યા પછી પણ મને શક બાકી રહે છે કે ગુસલ થયું હશે કે નહિ ? એ જ પ્રમાણે રસ્તા ઉપર ચાલું છું તો ભીની જગા જોઈ મને એમ થયા કરે છે કે પેશાબ હશે. એવી જગા ઉપર પગ પડે એટલે મારી ચપ્પલ ધોઈ નાખું છું અને અમારી ઓફિસના સંડાસમાં જવા પછી પણ મારી ચપ્પલ ધોઈ નાખું છું, કારણ કે તેમાં ગેરમુસ્લિમો પણ પેશાબ કરવા જાય છે, જે ઉભા ઉભા પેશાબ કરે, ગમે ત્યાં કરે, જેથી ચપ્પલ નાપાક થઈ જાય. વળી વુઝૂ કરતી વખતે પણ બધા અવયવો કેટલીક વખત ધોવા પડે છે, મસહ પણ બે થી ત્રણ વખત કરવો પડે છે, જેથી બીજા લોકોને પણ તકલીફ થાય છે અને મારી પણ જમાઅત જાય છે. નમાઝ માટે ઉભો થાઉં છું ત્યારે પણ તકબીરે તહરીમા ત્રણ થી ચાર વાર કહું છું ત્યારે મને યકીન આવે છે, કુર્આન શરીફ પઢવા બેસું છું ત્યારે અઊઝુ અને બિસ્મિલ્લાહ ત્રણ થી ચાર વાર પઢું ત્યારે મને યકીન થાય છે, મતલબ કે ફર્ઝ પૂરા કરવા મને ખૂબ મહેનત પડે છે, આ તકલીફ મને મુદ્દતથી છે. હું પરેશાન છું તો તમો યોગ્ય માર્ગદર્શન આપી મારી મૂંઝવણ દૂર કરશો.

જવાબ :– આપને આ બધી તકલીફ વસવસા અને શકના લીધે થાય છે, આપ વુઝૂ કરવાનો અને ગુસલ કરવાનો સુન્નત તરીકો કિતાબોથી શીખી લઈને તે જ મુજબ વુઝૂ તથા ગુસલ કરવાની પાબંદી કરશો તો ઈ. અ. આવા વસવસાઓથી મુક્તિ મળી જશે. ઈસ્તિન્જા કરવામાં જો પેશાબના ટીપા પડવાનો શક થતો હોય તો પાણીના ઉપયોગથી પહેલાં માટીના  ઢેફાથી અથવા ઇંટના ટૂકડાથી જગ્યાને સુકવીને પછી પાણીનો ઉપયોગ કરો. રસ્તાની ભીનાશ વિશે જ્યાં સુધી તેના નાપાક હોવાની ખબર ન હોય ત્યાં સુધી તેને નાપાક ન સમજવું જોઈએ. વળી બદન અને કપડાંની પાકીમાં ત્રણવાર પાણી ઉપયોગ કરવાની આદત બનાવી લ્યો અને ત્રણવાર ધોઈ લીધા પછી વસવસો આવે તો પણ પાક જ સમજો. નમાઝમાં પણ ધ્યાન લગાવી એક વાર તકબીર પઢી લ્યો, પછી વારંવાર પઢવાની જરૂર નથી, સુન્નત અને નફલ નમાઝમાં તકબીરે તહરીમા અને સના પઢયા પછી આ દુઆ પઢો :

‘‘અઉઝુ બિલ્લાહિસ્સમીઈલ્‌ અલીમ મિનશ્શયતાનિર્રજીમ મિન હમઝિહી વનફખિહી વનફસિહી. (તિરમિઝી શરીફ પ૭)

                આ દુઆ પઢતા રહેવાથી વસવસો દૂર થઈ જશે (ઈ. અ.) જ્યારે નમાઝમાં શૈતાન આ પ્રમાણે શકમાં નાખે તો હદીસ શરીફમાં હુકમ છે કે અઉઝુબિલ્લાહિ મિનશ્શયતાનિર્રજીમ પઢવું જોઈએ અને ત્રણ વખત પોતાની ડાબી બાજુ થૂંકવું જોઈએ, પરંતુ મસ્જિદમાં હોય તો મસ્જિદની ચટાઈ ઉપર ન થૂંકવું જોઈએ, બલ્કે પોતાના રૂમાલ કે ચાદરમાં થૂંકવું જોઈએ. અમુક આલિમો કહે છે કે જ્યારે વુઝૂ કે નમાઝમાં વસવસો આવે તો ‘‘લા ઈલાહ ઈલ્લલ્લાહ પઢવું મુસ્તહબ છે. શૈતાની વસવસો તેનાથી દૂર થઈ જાય છે અને નમાઝની બહાર પણ અલ્લાહનું ઝિક્ર ખૂબ કરવામાં આવે, તેની બરકતથી આવા વસવસા દૂર થઈ જાય છે. (અલ અઝકાર નવવી ૧૧૮)

Log in or Register to save this content for later.