Chapter : નમાઝ
(Page : 167-168)
સવાલ :– હું મનુબરનો રહેવાસી છું અને કઠોર મુકામે હાઈસ્કુલમાં શિક્ષક તરીકેની સેવા બજાવું છું. હું દરરોજ નોકરીએ જવા માટે મનુબરથી બસ વડે ભરૂચ આવું છું અને ત્યાંથી રેલ્વે ટ્રેઈનમાં સાયણ સુધી આવું છું અને સાયણથી કઠોર સુધી બસથી પહોંચું છું. મનુબરથી ભરૂચ સુધી આઠ કિ.મી. થાય છે, ભરૂચથી સાયણ સુધી ૪૬ કિ.મી. થાય છે અને સાયણથી કઠોર આઠ કિ.મી. થાય છે. આમ મનુબરથી કઠોર સુધીનું કુલ અંતર ફકત જતી વખતે ૬ર કિ.મી. થાય છે.
હું કઠોર હાઈસ્કુલમાં ઝોહરની નમાઝ જમાઅત સાથે પઢાવું છું અને તે પૂરી ચાર રકઆત ફર્ઝ નમાઝ પઢાવું છું. હવે અમારામાંથી એક સાથીનો મારા વિશે એવો ખ્યાલ છે કે તમો મુસાફિર છો એટલે તમારે કસર નમાઝ પઢવી જોઈએ અને તમારે કસર નમાઝ પઢવાની હોય એટલે તમો ઝોહરની ચાર રકઆત પૂરી નમાઝ પઢાવી ઈમામત કરી શકતા નથી. હાલ મેં નમાઝ પઢાવવાનું તો બંધ કર્યું છે, પરંતુ છેલ્લા બે મહિનામાં મેં ઈમામ બનીને જે નમાઝો પઢાવી છે તેનું શું ? અને હું ઉપરોકત મુસાફરીની સૂરતમાં શરીઅતની રૂએ મુસાફિર બનું છું કે નહિ ?
જવાબ :– અમલપાત્ર અને અમલમાન્ય મંતવ્ય મુજબ જયારે કોઈ માણસ ૪૮ માઈલ (અંગ્રેજી) અથવા તેથી વધુ દૂર જવાની નિય્યત કરી પોતાના ઘરથી રવાના થઈ પોતાની આબાદીથી બહાર નીકળી જાય છે ત્યારે તે શરઈ દષ્ટિએ મુસાફિર ગણાય છે અને મુસાફિરના હુકમો તેને લાગુ પડે છે.
એક અંગ્રેજી માઈલના ૧૭૬૦ વાર થાય છે અને મેટ્રિક પદ્ધતિના નવા તોલમાપ પ્રમાણે એકવાર બરાબર ૯૧ સે.મી. ૪ મિ.મી. ૪ પોઈન્ટ થાય છે અને આ હિસાબથી એક અંગ્રેજી માઈલ બરાબર ૧ કિલોમીટર, ૬૦૯ મીટર, ૩૪ સે.મી., ૪ મિ.મી થાય છે અને શરઈ સફરના કુલ અંતર એટલે કે ૪૮ અંગ્રેજી માઈલ બરાબર ૭૭ કિલોમીટર, ર૪૮ મીટર, પ૧ સે.મીટર, ર મિ.મીટર થાય છે.
સવાલમાં લખવા મુજબ તમારી મુસાફરી માત્ર ૬ર કિલોમીટરના અંતરની છે, માટે તમો પૂછેલી સૂરતમાં શરઈ દષ્ટિએ મુસાફિર બનતા નથી અને તમોએ ઈમામ બનીને ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ પૂરી પઢાવી છે તે જાઈઝ અને મસ્અલા મુજબ છે, તેમાં કોઈ કોતાહી થઈ નથી, કારણકે તમો મુકીમ હોવાથી તમારા માટે પૂરી નમાઝ પઢવી જ ફર્ઝ હતી અને હવે પછી પણ તમારે આ પ્રમાણેની મુસાફરીમાં ચાર રકઆતવાળી ફર્ઝ નમાઝ પૂરી જ પઢવી– પઢાવવી પડશે. (‘શામી ૧, ‘જ. ફિકહ ૧/૪૩૮)
Log in or Register to save this content for later.