Chapter : નમાઝ
(Page : 164-165)
સવાલ :– એક માણસ બસમાં સવાર થયો અને સવાર થયા પછી કોઈ ફર્ઝ નમાઝનો સમય શરૂ થઈ ગયો, બસની મુસાફરી દરમ્યાન નમાઝનો વખત પૂરો થતાં સુધી કોઈ એવું બસ સ્ટોપ ન આવ્યું કે જયાં ઉતરીને વુઝૂ કરીને નમાઝ પઢી શકાય અને જયારે સ્ટેન્ડ આવ્યું ત્યારે નમાઝનો વખત પૂરો થઈ ગયો, તો આવી સૂરતમાં નમાઝ માટે શું કરવું જોઈએ અને બસમાં વુઝૂ માટેની કોઈ વ્યવસ્થા પણ ન હોય તો નમાઝ કેવી રીતે પઢવી જોઈએ ?
જવાબ :–આવી સૂરતમાં બસ થોભાવવાની કોશિશ કરી વુઝૂ કરીને નમાઝ પઢવી ઝરૂરી છે. જો બસ એવી જગ્યાએ થોભાવવામાં આવે કે જયાં પાણી મળી જાય અને વુઝૂ કરીને નમાઝ પઢી શકાય તો ઠીક અને જો પાણી તો મળી જાય પરંતુ વુઝૂ કરી શકાય એટલો સમય બસ થોભવાની શકયતા નથી અથવા જયાં બસ થોભી છે ત્યાં તો પાણી નથી પરંતુ તે જગ્યાથી નઝદીકમાં લગભગ પોણા બે કિલોમીટરની અંદર પાણી ચોકકસ મવજૂદ છે પરંતુ પાણી સુધી પહોંચી વુઝૂ થઈ શકે એમ નથી તો હાલ તયમ્મુમ કરીને નમાઝ પઢી લેેવી જોઈએ અને બસથી ઉતર્યા પછી વુઝૂ કરીને તે નમાઝ ફરીથી પઢી લેવી જોઈએ.
જો બસ થોભાવવાની કોશિશ કરવા છતાં બસ થોભે નહિ અને બસમાં એવો દળ–માટી કે ઈંટ–પથ્થર હોય કે જેનાથી તયમ્મુમ કરી શકાય તો બસમાં તયમ્મુમ કરી બસમાં જ નમાઝ પઢી લેવી જોઈએ. હવે એ જોવામાં આવે કે જયારે બસમાં તયમ્મુમ કરીને નમાઝ પઢી તે સમય દરમ્યાન રસ્તામાં કોઈ એવી જગ્યા આવી હતી કે નહિ કે જો બસ ત્યાં થોભી હોત તો ઉતરીને વુઝૂ કરવું શકય હતું, જો એવી જગ્યા આવી હતી તો બસમાંથી ઉતર્યા પછી તયમ્મુમથી પઢેલી નમાઝ ફરીથી પઢી લેવી જોઈએ અને જો એવી જગ્યા નથી આવી તો તયમ્મુમથી પઢેલી નમાઝ ફરીથી પઢવી ઝરૂરી નથી. પરંતુ આ સૂરતમાં પણ બસમાં બેસીને પઢેલી ફર્ઝ નમાઝ બસમાંથી ઉતરીને ઊભા રહીને ફરી પઢવી ઝરૂરી છે. (‘ઈમ્દાદુલ ફતાવા ૧)
જો નમાઝના વખત દરમ્યાન બસ થોભે નહિં અને બસમાં દળ–માટી જેવી કોઈ તયમ્મુમ પાત્ર વસ્તુ પણ ન હોય તો ‘ફાકિદૂત્ તહૂરૈન (જે માણસ પાસે પાકી હાસિલ કરવા માટે પાણી અને માટી બંનેમાંથી કોઈ એક પણ વસ્તુ ન હોય)ના મસ્અલા મુજબ કિરાઅત પઢયા વિના માત્ર કયામ, રુકૂઅ, સજદહ કરી નમાઝ જેવી શકલ બનાવી લે અને જો બસમાં એવી હાલત હોય કે કયામ, રુકૂઅ અને સજદહ ન થઈ શકે તો બેસીને રુકૂઅ–સજદહના ઈશારાથી નમાઝ જેવી શકલ બનાવી લે અને બસથી ઉતર્યા પછી પાકી હાસિલ કરીને તે છૂટેલી નમાઝની કઝા પઢી લે. (‘શામી ૧/૧પ૮,૧૬૮)
Log in or Register to save this content for later.