Chapter : નમાઝ
(Page : 125-126)
સવાલ :– એક માણસનો ઈન્તિકાલ થઈ ગયો. મર્હૂમની લાંબી માંદગીના કારણે બે વરસની નમાઝો છૂટી ગઈ છે અને એક રમઝાનના રોઝા પણ છૂટી ગયા છે તો નમાઝ–રોઝાનો ફિદયો વારસા વહેંચણી પહેલાં અદા કરવામાં આવે કે વારસા વહેંચણી પછી વારસદારો પોતાના હિસ્સામાંથી અદા કરે અને એ નમાઝો તથા રોઝહનો ફિદયો કેટલો થશે?
જવાબ :– જો મર્હૂમે પોતાની છૂટેલી નમાઝો અને રોઝાઓનો ફિદયો આપવાની વસિય્યત કરી હોય તો કફન–દફન ખર્ચ અને દેવું હોય તો તે ચૂકવ્યા બાદ બાકી પડતી મિલ્કતના ત્રીજા ભાગમાંથી વારસા વહેંચણી પહેલાં નમાઝ–રોઝહનો ફિદયો આપવો પડશે અને જો મર્હૂમે વસિય્યત ન કરી હોય તો દેવું ચૂકવ્યા બાદ સર્વપ્રથમ વારસા વહેંચણી કરવામાં આવશે અને વારસા વહેંચણી થઈ ગયા પછી જે વારસદાર પોતાની રાજીખુશીથી મર્હૂમની નમાઝ અને રોઝહનો ફિદયો આપવા ચાહતા હોય તે આપે અને જો બધા જ વારસદારો બાલિગ હોય અને વસિય્યત ન હોવા છતાં બધા જ પોતાની વારસા મિલ્કતમાંથી મર્હૂમની નમાઝ તથા રોઝાઓનો ફિદયો આપવા રાજી હોય તો વારસા વહેંચણી પહેલાં બધા મળીને પણ ફિદયો આપી શકે છે. અલબત્ત, કોઈ વારસદાર નાબાલિગ હોય તો વારસા વહેંચણી પહેલાં સંયુકત વારસા વહેંચણીમાંથી વગર વસિય્યતે ફિદયો આપવો જાઈઝ નથી.
વિત્ર સહિત દરેક ફર્ઝ નમાઝ દીઠ લગભગ પોણા બે શેર (બંગાળી) એટલે ૧૪૦ તોલા વજન બરાબર ઘઉં ફિદયા પેટે આપવા પડશે. નવા તોલમાપ પ્રમાણે એક કિલો છસો પાંત્રીસ ગ્રામ ઘઉં થશે અને દરેક રોઝા દીઠ પણ એટલો જ ફિદયો આપવો પડશે. જો ફિદયામાં રોકડ રકમ આપવી હોય તો એક નમાઝ અથવા એક રોઝાના ફિદયા પેટે ઉપરોકત વજનના ઘઉંની કિંમત આપવી પડશે.
(જ. ફિકહ, ભાગ–૧, શામી, ભાગ–૧/૪૯ર)
Log in or Register to save this content for later.