[૮ર] મરહૂમની કઝા નમાઝોનો ફિદયહ

Chapter : નમાઝ

(Page : 127-128)

સવાલ :– મારા વાલિદહ સાહેબ ઈન્તિકાલ કરી ગયા છે. તેઓ તેમની કમઝોરી તથા લકવાની બીમારીના કારણે અમુક મુદ્દત સુધી નમાઝ અદા કરી શકવાથી ઘણા જ મજબૂર હતા, પથારીવશ હતા, પથારીમાંથી બેસી પણ શકતા ન હતા. પીઠ પર ભાઠા પડી ગયા હતા, અને બોલવાથી પણ મજબૂર હતા, પૂરી રીતે તેમની જરૂરતો પૂરી કરવામાં તદ્દન લાચાર થઈ ગયા હતા. આવી હાલતમાં તેઓ અમુક સમય સુધી નમાઝ અદા કરી શકયા ન હતા. આ હાલત પહેલાં લાકડીના ટેકે થોડુ ચાલી શકતા હતા ત્યારે નમાઝો અદા કરી શકતા હતા, પરંતુ તબિયત વધારે ના દુરૂસ્ત થવાથી પછી ઈબાદત કરી શકતા ન હતા, તો શરીઅતની જે નમાઝો છૂટી ગઈ તેનો ફિદયો કેવી રીતે કાઢી શકાય ? અને તે કેવી વ્યકિતઓને આપી શકાય ?

જવાબ :–  પ્રથમ એ મસ્અલહ સમજી લેવો જોઈએ કે મર્હૂમા વાલિદહ સાહિબહ જે દિવસોમાં એવી પરિસ્થિતીમાં હતાં કે સૂઈને રુકૂઅ સજદહનો માથાથી ઈશારો કરીને પણ નમાઝ ન પઢી શકતા હતા, તે દિવસોની નમાઝોની કઝા તેમના ઝિમ્મે ફર્ઝ ન હતી, અને તે દિવસોની નમાઝોના ફિદયાની વસિય્યત કરવી પણ તેમના ઝિમ્મે વાજિબ ન હતી અને તમારે પણ તે દિવસોની નમાઝોની ફિદયો આપવામાં ગણતરી કરવી નહિ પડે.                    (શામી – ૧ /પ૧૦)

                              જે દિવસોમાં તે બીમાર હતા અને બેસીને કે સુઈને રુકૂઅ સજદહના ઈશારાથી નમાઝ પઢી શકતા હતા અને નથી પઢયા અને તેમણે તે નમાઝોના ફિદયાની વસિય્યત નથી કરી તો વારસદારોના ઝિમ્મે તે દિવસોની નમાઝોનો ફિદયો આપવો લાઝિમ તો નથી પરંતુ તેઓ આપવા ચાહે તો બાલિગ વારસદારો પોતાના ભાગમાંથી સ્વેચ્છાએ રાજીખુશીથી તે નમાઝોનો ફિદયો આપી શકે છે. નાબાલિગ વારસદારોના ભાગમાંથી વસિય્યત વગર નમાઝોનો ફિદયહ આપવો જાઈઝ નથી.

               મજકૂર ફિદયહ પાત્ર નમાઝોનો ફિદયો એ પ્રમાણે આપવામાં આવે કે દરરોજની છ નમાઝોનો ફિદયો આપવામાં આવે અને એક નમાઝના ફિદયહ રૂપે એક કિલો છસો ચાલીસ ગ્રામ ઘઉં અથવા તેની બજાર કિંમત મુજબ એટલા ઘઉંની કિંમત આપવામાં આવે. એક નમાઝનો અથવા અનેક નમાઝોનો પૂરેપૂરો ફિદયો ઝકાતના હકદાર એક વ્યકિતને આપવો જોઈએ. એક નમાઝનો ફિદયો અનેક ફકીરોને વહેંચવો જાઈઝ નથી.                                       (શામી –૧)

Log in or Register to save this content for later.