[૭૩] કઝા નમાઝો માટે સુન્નતો ન છોડે

Chapter : નમાઝ

(Page : 120-121)

સવાલ :– એક માણસની બાલિગ થયા પછી ઘણી ફર્ઝ નમાઝો છૂટી ગઈ છે, જેની ચોકકસ સંખ્યા તેને યાદ નથી. તો મજકૂર માણસ ગણતરી કર્યા વગર દરરોજ ફજરની નમાઝ પહેલાં છૂટેલી ફજરની કઝા નમાઝ પઢે અને ઝોહરની ફર્ઝ નમાઝ પહેલાંની સુન્નતના બદલે ઝોહરની છૂટેલી નમાઝની કઝા કરે અને અસર પહેલાંની સુન્નતના બદલે છૂટેલી અસરની કઝા કરે અને મગરિબની ફર્ઝ નમાઝ પછી મગરિબની છૂટેલી નમાઝની કઝા કરે અને ઈશાની ફર્ઝ નમાઝ પહેલાંની સુન્નતના બદલે છૂટેલી ઈશાની કઝા કરે તો શું આ રીતે કઝા નમાઝો પઢી શકાય કે નહિ ? અને તે જાઈઝ ગણાય કે નહિ ? અને અસર તથા ફજરની નમાઝ પછી કઝા નમાઝ તથા સજદએ તિલાવત કરી શકાય કે નહિ ?

જવાબ :– બાલિગ થયા પછી છૂટેલી ફર્ઝ નમાઝોની કઝા કરવી ફર્ઝ છે. પરંતુ જો કઝા કરનાર ભાઈની ઉંમર વધારે ન હોય અને સુન્નત તથા નવાફિલ સાથે કઝા નમાઝો પૂરી કરવાની આશા હોય તો અફઝલ વાત આ છે કે ફર્ઝ નમાઝથી પહેલાંની અને પછીની મુઅક્‌કદહ અને ગેર મુઅક્‌કદહ સુન્નતો ન છોડે, બલ્કે આગળ પાછળની સુન્નત નમાઝો પઢીને કઝા નમાઝો પઢે, કારણ કે સુન્નત અને નફલ નમાઝથી ફર્ઝ નમાઝમાં રહી ગયેલી કમી પૂરી થાય છે અને જો ઉંમર વધારે હોય અને સામાન્ય ઉંમર જોતાં કઝા નમાઝો બાકી રહી જવાનો ભય હોય અથવા ગેર મુઅક્‌કદહ સુન્નતો પઢવાની હિંમત ન હોય તો ફકત અદા ફર્ઝ નમાઝ પહેલાં અને પછીની સુન્નતે મુઅક્‌કદહ પઢીને ફર્ઝ કઝા નમાઝો પઢે, બાકી કઝા નમાઝો પઢવા માટે સુન્નતે મુઅક્‌કદહ નમાઝ ન છોડે.

(‘શામી ૧/૪૯૩, ‘અહસનુલ ફતાવા ૪, ‘મહમૂદિય્યહ ૧૪/ર૧ર)

               જો પોતાની છૂટેલી કઝા નમાઝોની સંખ્યા નકકી ન કરી શકાય તો દરેક વખતની ફર્ઝ કઝા નમાઝ અંદાજો લગાવી એટલા પ્રમાણમાં પઢે કે પોતાના શિરે કઝા નમાઝ બાકી ન રહેવાનો સંતોષ થઈ જાય.

(‘તહતાવી ર૪૩)

               અસરની ફર્ઝ નમાઝ પઢયા પછી મકરૂહ વખત શરૂ થતાં પહેલાં એટલે સૂર્ય પીળો પડતાં પહેલાં અને ફજરની ફર્ઝ નમાઝ પઢયા પછી સૂર્ય ઉગવાની શરૂઆત પહેલાં ફર્ઝ કઝા નમાઝો પઢવી અને સજદએ તિલાવત કરવો વિના કરાહતે જાઈઝ છે.   (‘શામી ૧/રપ૧)

Log in or Register to save this content for later.