[૬પ] પહેલા અશરામાં કુર્આનની તરાવીહ ઘરમાં પઢવી

Chapter : નમાઝ

(Page : 110-111-112)

સવાલ :– અમારા ગામ ભાલેજમાં કેટલાક  હાફિઝો અલગ મકાનમાં કુર્આનની  તરાવીહમાં ૧૦ દિવસમાં કુર્આન પૂરું કરે છે સાથે અવામ પણ જોડાય છે, તો આ રીતે મસ્જિદથી અલગ મકાન માં તરાવીહ પઢવી જાઈઝ છે? કે પછી મસ્જિદમાં તરાવીહ પઢવી જોઈએ, વળી જે લોકો ૧૦ દિવસમાં તરાવીહ પઢવા માટે જોડાય છે તેમાં બધા બીજી ર૦ દિવસની તરાવીહ બધા પઢે છે કે કેમ એ એક સવાલ છે, કેટલાક ન પણ પઢતા હોય, માટે એ રીતે મસ્જિદથી અલગ પઢવું જાઈઝ છે કે ના જાઈઝ છે?

તા.ક. :–તરાવીહના મસાઈલ, મુસન્નિફ : મવલાના રફઅત કાસમી (ઉસ્તાઝ દારૂલ ઉલૂમ દેવબંદ) સાહેબે તરાવીહના મસાઈલ કિતાબના  ૪૩મા સફા ઉપર લખ્યું છે કે મસ્જિદમાં જ તરાવીહ પઢવી જોઈએ. શું એ સહીહ છે કે ગલત એ પણ જણાવવા મહેરબાની કરશો.

જવાબ :– આબાદીના દરેક મહોલ્લાની એક મસ્જિદમાં જમાઅત સાથે તરાવીહ પઢવી સુન્નત અલલ્‌ કિફાયહ છે, જો મહોલ્લાના અમુક લોકો મસ્જિદમાં જમાઅતથી તરાવીહ પઢશે તો ઘરમાં જમાઅત સાથે તરાવીહ પઢનાર ભાઈઓ ગુનેહગાર નહિ થાય.

               જો મસ્જિદની તરાવીહ, તરાવીહ પઢાવવાનું મહેનતાણું લીધા વગર સહીહ કિરાઅત  અને નમાઝની સુન્નતોની રિઆયત સાથે થતી હોય અને મસ્જિદની જમાઅત છોડવાનો કોઈ અંગત ઉઝર ન હોય તો ઘર કરતાં  મસ્જિદની જમાઅત સાથે તરાવીહ પઢવી અફઝલ અને વધુ સવાબ પાત્ર છે.                 (શામી  ૧/૪૭૩)

               અલબત્ત, જો કોઈ હાફિઝ સાહેબને મસ્જિદમાં તરાવીહ પઢાવવાનો મોકો ન મળતો હોય અથવા ઈમામ કે મુકતદીઓને સફરમાં જવાનું હોવાથી તરતીબ વાર પૂરૂં કુર્આન શરીફ તરાવીહમાં સાંભળવાની સુન્નત છૂટી જવાનો ભય હોય અથવા મસ્જિદના ઈમામ કરતાં ઘરમાં તરાવીહ પઢાવનાર હાફિઝ સાહેબ કુર્આન શરીફ સહીહ અને સારું પઢતા હોય અથવા મસ્જિદના હાફિઝ સાહેબ તરાવીહ પઢાવવાના પૈસા લેતા હોય અથવા તરાવીહમાં એકથી વધુ વાર કુર્આન શરીફ પઢવાનો કે સાંભળવાનો  શોખ હોય તો આવી સૂરતોમાં ઘરમાં તરાવીહની જમાઅત કરવી પણ જાઈઝ છે, બલકે અમુક સૂરતોમાં અફઝલ છે.                                       (કબીરી)

               રમઝાનની રાતોમાં બે સુન્નતો અલગ અલગ છે, એક સુન્નત તરાવીહમાં એકવાર પૂરું કુર્આન શરીફ પઢવું અથવા સાંભળવું છે, ચાહે પહેલા અશરહમાં પૂરૂં કરે અથવા સત્તાવીસમી કે છેલ્લી રાતે પૂરું કરે, બધી સુરતો જાઈઝ છે.

               બીજી સુન્નત આબાદીના દરેક મુસલમાન મર્દ ઓરતે રમઝાનની બધી રાતોમાં તરાવીહ પઢવી છે, માટે જે લોકો એક અશરહ (દસ રાતો)માં ત્રણ પારાવાળી તરાવીહ પઢીને એમ સમજે કે અમે સુન્નત અદા કરી લીધી, બાકીની રાતોમાં તરાવીહ ન પઢીએ તો વાંધો નથી, તો આવું સમજવું ગલત છે, રમઝાનની બધી રાતોમાં તરાવીહ પઢવી સુન્નતે મુઅક્‌કદહ છે, અમુક રાતોમાં પૂરું કુર્આન શરીફ સાંભળીને બાકીની રાતોમાં તરાવીહ છોડવી મકરૂહ છે અને સુન્નતે મુઅક્‌કદહ છોડવાનો ગુનાહ લાગુ પડશે અને રમઝાન મુબારકમાં સુન્નતે મુઅક્‌કદહ છોડવાનો ગુનાહ બીજા દિવસો કરતાં સખત અને વધુ છે. અને આ મકસદથી કોઈ ઘરમાં ત્રણ પારાવાળી  તરાવીહ પઢવી અને પઢાવવી ન જોઈએ.         (શામીઃ૧–૪૭૪)

Log in or Register to save this content for later.