[૬૧] બુખારી શરીફથી તરાવીહની રકઆતની સંખ્યા

Chapter : નમાઝ

(Page : 106-107-108)

સવાલ :– આપણે રમઝાનમાં વીસ રકઆત તરાવીહ પઢીએ છીએ. હાલાંકે અમોએ ૧૯૯૪માં પ્રસિધ્ધ થયેલ ”બુખારી શરીફ – પ/ર૦” જે કિતાબના પ્રકાશક ઈસ્માઈલ ભાઈ આઈ. ઘડીયાળી છે, તેને વાંચી ત્યારે તેમાં બતાવેલ છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાન અને ગેરે રમઝાનમાં અગિયાર રકઆતથી વધારે પઢતા ન હતા, જયારે કે આપણે તો વીસ રકઅત પઢીએ છીએ એનું શું ? અમે ભારે મૂંઝવણમાં પડી ગયા છીએ અને અમે એક મોલ્વી સાહેબને ફતવો પૂછયો તો તેમણે કહયું કે નબીએ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) એવી નિય્યત કરી હતી કે ઈન્શાઅલ્લાહ હું અગર આવતા વર્ષે જીવતો રહીશ તો હું વીસ રકઆત પઢીશ. શું આ વાત સાચી છે? અને સાચી છે તો કઈ હદીષમાં છે? તે જણાવી અમારી મૂંઝવણ દૂર કરશો.

જવાબ :– બુખારી શરીફના ગુજરાતી અનુવાદમાં હઝરત આઈશહ (રદિ.)ની મજકૂર હદીષ વાંચીને રમઝાનુલ મુબારકમાં વીસ રકઆત તરાવીહ પઢવા વિષે આપ મૂંઝવણમાં પડી ગયા, એ આશ્ચર્યની વાત છે, કારણ કે જો આપ એટલે મૂંઝવણમાં પડી ગયા હોય કે આ હદીષમાં તો રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ના અગિયાર રકઆત તરાવીહ પઢવાનું વર્ણન છે તો આપ હદીષના કયા વાકય અને શબ્દથી એવું સમજી બેઠા છો કે આ હદીષમાં તરાવીહનું વર્ણન છે, જયારે કે આ હદીષમાં એ વાતનો ચોખ્ખો ઈશારો છે કે આ હદીષમાં તરાવીહનું વર્ણન નથી, બલ્‌કે બીજી કોઈ એવી નમાઝનું વર્ણન છે જે રમઝાન અને રમઝાન સિવાય બીજા મહિનાઓમાં પણ પઢવામાં આવતી હતી, જુઓ, હઝરત આઈશહ (રદિ.) આ હદીષમાં ફરમાવે છે કે જનાબ રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) રમઝાન અને ગેર રમઝાનમાં અગિયાર રકઅતથી વધારતા ન હતા. આ વાકયથી સાફ માલૂમ થાય છે કે હઝરત આઈશહ (રદિ.)એ તરાવીહ સિવાય બીજી કોઈ નમાઝનું વર્ણન કર્યું છે, આ કારણે જ ઈમામ બુખારી (રહ.)એ આ હદીષ પર મસ્અલાનું જે હેડિંગ લખ્યું છે તે આ પ્રમાણે છે ”રમઝાન વગેરેમાં રાત્રે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની નમાઝ પઢવાનું બયાન” આ હેડિંગથી પણ આ વાત સમજી શકાય છે કે રાતની નમાઝથી મુરાદ તરાવીહ નથી, બલકે એવી કોઈ નમાઝ મુરાદ છે જે રમઝાન અને ગેરે રમઝાન બન્ને પ્રકારના મહિનાઓમાં પઢવામાં આવતી હોય અને એ વાત જાણીતી છે કે તરાવીહ માત્ર રમઝાન મહિનાની જ સુન્નત છે. બીજા મહિનાઓમાં સુન્નત નથી. જયારે ઈમામ બુખારી (રહ.)ના શીર્ષકથી અને હદીષના શબ્દોથી એ વાત સ્પષ્ટ થઈ જાય છે કે આ હદીષમાં તરાવીહની નમાઝનું વર્ણન નથી. પછી આપે બુખારી શરીફના ગુજરાતી અનુવાદથી તરાવીહની નમાઝ કઈ રીતે સમજી લીધી, એ આશ્ચર્યની વાત છે. મજકૂર હદીષ, હદીષની મશહૂર કિતાબોમાં તહજ્‌જુદના બયાનમાં નકલ કરી છે, માટે મુસ્લિમ શરીફ ભાગ–૧/રપ૪, સુનને અબૂ દાવૂદ ભાગ–૧/૧૯૬, તિરમિઝી શરીફ ભાગ–૧/પ૮, નસાઈ શરીફ ભાગ–૧/૧પ૪માં અને મુઅત્તામાં તહજ્‌જુદના બયાનમાં નકલ કરવામાં આવી છે. આ નકલથી પણ એ વાત ચોખ્ખી રીતે સમજાય છે કે હદીષના મશહૂર ઈમામો અને આલિમોએ પણ હઝ. આઈશહ (રદિ.)ની મજકૂર હદીષથી તહજ્‌જુદની નમાઝ સમજી છે. નહિ કે તરાવીહની નમાઝ, અને તરાવીહની નમાઝની વીસ રકઆત હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)ની હદીષથી અને ખુલફાએ રાશિદીન તથા સહાબએ કિરામ (રદિ.)ના અમલથી સાબિત છે અને તેના સબૂત માટે અનેક કિતાબો લખાઈ ચૂકી છે તેનો અભ્યાસ કરી પોતાની મૂંઝવણ દૂર કરશો.

Log in or Register to save this content for later.