Chapter : નમાઝ
(Page : 92-93)
સવાલ :– અમારે ત્યાં હાફિઝ સાહેબ તરાવીહ પઢાવતા હતા. બે રકઅતોમાં જેટલું કુર્આનપાક પઢવાનું હતું તેઓએ ભૂલથી તેટલું કુર્આનપાક એક જ રકઅતમાં પઢી લીધું અને એક જ રકઅત પર કઅ્દહ કરી સલામ પણ ફેરવી દીધી, હવે કુર્આન તો જેટલું બે રકઅતોમાં પઢવાનું હતું તેટલું પઢાઈ ગયું, પરંતુ તરાવીહની એક રકઅત ઓછી થઈ, તો અમુક લોકોએ કહ્યું કે, કુર્આનપાકની તરતીબ સહીહ છે માટે તરાવીહની ફકત બે રકઆત ફરીથી પઢી લેવી જોઈએ અને એક રકઅતમાં જે કુર્આન પઢાઈ ગયું છે તે દોહરાવવાની જરૂર નથી, જયારે અમુક લોકોએ એવું કહ્યું કે પ્રથમ પઢેલી એક રકઅત અને તે એક રકઅતમાં પઢેલું કુર્આન બંને મોઅતબર નહિ ગણાય અને જેમ બે રકઆતો દોહરાવવી ઝરૂરી છે તેમ પ્રથમ એક રકઅતમાં પઢેલું કુર્આન પણ તે બે રકઆતોમાં દોહરાવવું ઝરૂરી છે, તો મજકૂર હાલતમાં સહીહ તરીકો શું છે ?
જવાબ :– પૂછેલી સૂરતમાં તરાવીહની એક રકઅત રદબાતલ ગણાશે, એ મસ્અલો બરાબર છે અને તે એક રકઅતને રદ બાતલ ગણી તરાવીહની ર૦ રકઆત સુન્નત પૂરી કરવા માટે બે રકઆતો ફરી પઢવી પડશે એ મસ્અલો પણ બરાબર છે, પરંતુ તરાવીહમાં કુર્આન પાક ખતમ કરવાની સુન્નતની સંપૂર્ણ અદાયગી માટે રદ થયેલી એક રકઅતમાં પઢેલી કિરાઅત લોટાવેલી બે રકઆતમાં દોહરાવવી ઝરૂરી નથી, એ વાત દુરૂસ્ત નથી, બલ્કે બે રકઆતો લોટાવવાની સાથે પહેલાં પઢેલી પૂરી કિરાઅત પણ લોટાવવી ઝરૂરી છે, કારણકે પૂરું કુર્આન પાક તરાવીહની મોઅતબર અને સહીહ રકઆતોમાં પઢવું સુન્નત છે અને રદબાતલ થયેલી રકઅતમાં પઢવામાં આવેલી કિરાઅત તરાવીહમાં પઢેલી નહિ ગણાય, માટે જો તે કિરાઅત લોટાવવામાં નહિ આવે તો સહીહ તરાવીહમાં પૂરું કુર્આન શરીફ પઢવાની સુન્નતમાંથી એટલું કુર્આન શરીફ બાકી રહી જશે. માટે સહીહ તરીકો એ જ છે કે બે રકઆતો લોટાવવાની સાથે રદ ગણાયેલી એક રકઅતમાં પઢેલી કિરાઅત પણ લોટાવવામાં આવે.
Log in or Register to save this content for later.