[૩૦] સુન્નતે મુઅક્‌કદહ કયારે છોડી શકાય?

Chapter : નવાફિલ

(Page : 72-73-74)

સવાલ :– સુન્નતે મુઅક્‌કદહ નમાઝ કયા સંજોગોમાં છોડી શકાય ?

જવાબ :– ફજરની સુન્નતો સૌથી તાકીદ વાળી છે માટે જો ફજરની જમાઅત શરૂ થઈ જાય અને સુન્નત પઢવા છતાં જમાઅતનો કઅ્‌દહ મળવાની પણ આશા ન હોય તો ફજરની સુન્નત છોડીને જમાઅતમાં શરીક થઈ જવું જોઈએ, રહી વાત પાછળથી સુન્નતો પઢવાની તો તુલૂએ આફતાબ પહેલાં તો ન પઢી શકાય, પરંતુ તુલૂએ આફતાબ પછી ઝવાલથી પહેલાં પહેલાં તે બે રકઅતોની કઝા પઢી શકાય છે. પરંતુ જો કઝા નહિં પઢે તો ગુનેહગાર નહિં થાય, જો ફજરની ફર્ઝ નમાઝ જમાઅત સાથે ન પઢવાની હોય તો જયાં સુધી વખતમાં ફર્ઝ સાથે સુન્નત પઢવાની ગુંજાઈશ હોય ત્યાં સુધી સુન્નત ન છોડવી જોઈએ, જયારે વખત એટલો તંગ હોય કે સુન્નત પઢવા જતાં ફર્ઝ કઝા થઈ જાય તો સુન્નત છોડી દેવી જોઈએ અને ફકત ફર્ઝ પઢી લેવી જોઈએ. તુલૂએ આફતાબ પછી પંદર વીસ મીનીટે કઝા પઢી શકે છે. ઝોહરની ફર્ઝની જમાઅત શરૂ થઈ જાય તો સુન્નત છોડી દઈ જમાઅતમાં શરીક થઈ જવું જોઈએ. જો સુન્નત શરૂ કર્યા પછી જમાઅત શરૂ થઈ તો બે રકઅત ઉપર સલામ ફેરવીને જમાઅતમાં શરીક થઈ જવું જોઈએ અને ઝોહર પહેલાંની આ ચાર સુન્નતો, ફર્ઝ પછીની બે સુન્નત પછી પઢી લેવી જોઈએ. આ પ્રમાણે આ ચાર સુન્નતોનું પઢવું હદીષથી સાબિત છે. અને ઝોહરના ફર્ઝ એકલા પઢતા હોય અને સુન્નતો પઢવાનો વખત પણ હોય તો પહેલાંની ચાર સુન્નતો પઢી ફર્ઝ પઢવા જોઈએ. જો વખત તંગ હોય તો સુન્નતો છોડી ફકત ફર્ઝ પઢી શકાય છે.  જુમ્અહથી પહેલાંની ચાર સુન્નતો જો ઈમામ ખુત્બહ માટે મિમ્બર પર બેસી ગયા હોય તો છોડી દેવી જોઈએ અને ખુત્બહ સાંભળવો જોઈએ, જો સુન્નત શરૂ કર્યા પછી ખુત્બહની અઝાન શરૂ થાય અને ત્રીજી રકઅત શરૂ ન કરી હોય તો બે રકઅત પઢીને સલામ ફેરવી આપે, ત્રીજી રકઅત શરૂ કરી દીધી હોય તો ચાર પૂરી કરી લે, ત્રીજી શરૂ ન કરી હોય તો પણ ચાર રકઅતો પૂરી કરી લેવાની ગુંજાઈશ છે.    (શામી –૧/૪૭૯)

               જો જુમ્અહ પહેલાંની સુન્નત છૂટી ગઈ હોય તો જુમ્અહ પછી પઢી શકાય છે. ફર્ઝ નમાઝો પછીની સુનને મુઅક્‌કદહ નમાઝો ફર્ઝ નમાઝનો વખત પૂરો થતાં સુધી પઢી લેવી જોઈએ અને વિના કારણે છોડવી ન જોઈએ.                                         (શામી – ૧/૪૯૭)

(page number 72-73-74)

Log in or Register to save this content for later.