Chapter :
(Page : )
સવાલ :– ફઝાઈલે તહિય્યતુલ્ વુઝૂ અને ફઝાઈલે તહિય્યતુલ્ મસ્જિદ ની નફલ નમાઝો વિશે ટૂંકમાં બયાન કરશો. સાથે સાથે જણાવશો કે ફર્ઝ નમાઝ પહેલાં બન્ને નફલ નમાઝો બે–બે રકઆતની નિય્યતથી પઢી શકાય કે ગમે તે એક જ પઢી શકાય. પાંચ વખતની ફર્ઝ નમાઝ પહેલાં પઢવી કે કોઇ ગમે તે એક વખતની ફર્ઝ નમાઝ પહેલાં દિવસમાં એક જ વખત પઢવી ? ખુલાસો કરવો કે અફઝલ શું છે ?
જવાબ :– ફઝાઈલે તહિય્યતુલ્ વુઝૂ :
બુખારી શરીફ અને મુસ્લિમ શરીફમાં હઝરત ઉસ્માન (રદિ.)ની રિવાયત છે (એક સમયે) હઝરત રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ વુઝૂ કરીને ફરમાવ્યું કે જે માણસે મારા આ તરીકા મુજબ વુઝૂ કર્યું પછી ઊભા થઈને એવી બે રકઆત નમાઝ પઢી કે તેમાં બીજી વાતોનો વિચાર બિલકુલ ન લાવ્યો તો અલ્લાહ તઆલા તેના આગળના ગુનાહ માફ ફરમાવી દેશે.
મુસ્લિમ શરીફની રિવાયતમાં છે કે જે મુસલમાન સારી રીતે વુઝૂ કરે પછી ઊભો થઈને સંપૂર્ણ દિલ લગાવીને બે રકઆત નમાઝ પઢે તો તેના માટે જન્નત સાબિત થઈ જશે.
બુખારી શરીફમાં છે કે હુઝૂર (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ હઝરત બિલાલ (રદિ.)ના જોડાઓનો અવાજ જન્નતમાં પોતાનાથી આગળ સાંભળ્યો તો તેઓને પૂછયું કે તમે કયો મકબૂલ અમલ કરો છો ? તો તેઓએ અરજ કરી કે હું રાત અને દિવસની જે ઘડીમાં પણ તહારત (પાકી) હાસિલ કરું છું. તો તે તહારતથી જેટલી મુકદ્દર હોય તેટલી નમાઝ જરૂર પઢું છું. (કબીરી ૩૭)
તહિય્યતુલ્ મસ્જિદ વિશે સહીહૈનની હદીસ છે કે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ)એ ફરમાવ્યું કે જ્યારે તમારામાંથી કોઈ મસ્જિદમાં દાખલ થાય તો બે રકઆત પઢતા પહેલા ન બેસે. (કબીરી ૪૩૦)
મજકૂર નમાઝથી અલ્લાહ તઆલાના ઘરમાં દાખલ થવાથી અલ્લાહ તઆલાની જે તઅઝીમ આપણે કરવી જોઈએ તે અદા થાય છે, જેમ કે કોઈ બાદશાહના ઘરમાં પ્રવેશ કરે છે તો બાદશાહની તઅઝીમ અને તવકીર (ઈઝ્ઝત) કરે છે. બે–બે રકઆત અલગ પણ પઢી શકાય છે. પહેલા તહિય્યતુલ્ વુઝૂ પઢવામાં આવે અને પછી તહિય્યતુલ્ મસ્જિદ, કારણ કે તહિય્યતુલ્ વુઝૂ અંગો સુકાતા પહેલાં પઢવી જોઈએ અને બન્નેવની નિય્યતથી ફકત બે રકઆત પઢી લેવામાં આવે તો પણ જાઈઝ છે. જો જમાઅત શરૂ થવાને વધુ વાર ન હોય તો ફર્ઝ પહેલાંની સુન્નતે મુઅક્કદહ પઢી લેવાથી પણ તહિય્યતુલ્ વુઝૂ અને તહિય્યતુલ્ મસ્જિદ અદા થઈ જશે. સુબ્હે સાદિક પછી વુઝૂ કરીએ અને મસ્જિદમાં દાખલ થઈએ તો તહિય્યતુલ્ વુઝૂ તથા તહિય્યતુલ્ મસ્જિદ બન્ને ન પઢી શકાય, મકરૂહ છે, એ જ પ્રમાણે મગરિબની નમાઝથી પહેલાં લંબાણપૂર્વક નમાઝ પઢવી મકરૂહ છે, અને ટૂંકી બે રકઆત પઢવી જાઈઝ છે. પણ ન પઢવી બેહતર અને અફઝલ છે. મજકૂર સમયમાં ફર્ઝ નમાઝ અને સુન્નતો પઢવાથી તહિય્યતુલ્ વુઝૂ તથા તહિય્યતુલ્ મસ્જિદ અદા થઈ જશે. વુઝૂ કર્યા પછી જો એવો વખત ન હોય કે જેમાં નફલ નમાઝ પઢવી મકરૂહ છે તો જેટલી વાર વુઝૂ કરે તેટલી વાર તહિય્યતુલ્ વુઝૂ મુસ્તહબ છે.
તહિય્યતુલ્ મસ્જિદ એક દિવસમાં વારંવાર ઝરૂરી નથી. જો દિવસમાં અનેક વાર દાખલ થનાર એક વખત પઢી લેશે તો પણ સુન્નતની અદાયગી માટે પૂરતું છે. બાકી મકરૂહ વખત ન હોય અને વારંવાર પઢે તો વાંધો નથી. બલ્કે અફઝલ છે. (શામી : ૧/૪પ૬, ૪પ૮)
(page number 61-62-63)
Log in or Register to save this content for later.