[૧૧] સુન્નતે ગેર મુઅક્‌કદહમાં દુરૂદ શરીફ અને સનાનો હુકમ

Chapter :

(Page : )

સવાલ :– એક કિતાબ અમારા વાંચવામાં આવી છે, તેમાં ચાર રકઆત સુન્નતે ગેર મુઅક્‌કદહ તથા ચાર રકઆત નફલ નમાઝ કેવી રીતે પઢવી તેનુ વર્ણન છે. તેમાં લખ્યું છે કે દર બે રકઆતે કઅ્‌દામાં બેસી અત્તહિય્યાત પછી દુરૂદે ઈબ્રાહીમ પણ પઢવું અને ત્રીજી રકઅતના કયામમાં સના પણ પઢવી. એ જ રીતે ચાર રકઆત નફલ નમાઝનો કોલ બાંધે તો ઉપર પ્રમાણે પઢવું. હવે આગળ લખે છે કે ઘણાં મુસ્લિમો ઉપરની બાબતથી અંજાણ છે. અત્યાર સુધી અમો ચાર રકઆત સુન્નતે ગેર મુઅક્‌કદહ પઢીએ છીએ તેમાં બે રકઆત પછી કઅ્‌દહમાં બેસી ફકત અત્તહિય્યાત પછી ઊભા થઈએ છીએ અને સના પણ બીજી નમાઝોની જેમ ફકત પહેલી રકઆતની શરૂઆતમાં જ પઢીએ છીએ.

               સવાલ એ છે કે અમારે સુન્નત તરીકા પ્રમાણે કઈ રીત ઈખ્તિયાર કરવી તે મોઅતબર કિતાબોના હવાલાથી જણાવશો.

જવાબ :– ચાર રકઆતવાળી સુન્નતે ગેર મુઅક્‌કદહ અને નફલ નમાઝના પહેલા કઅ્‌દહમાં અત્તહિય્યાત પઢયા પછી દુરૂદ શરીફ અને દુઆ પઢવી એ પણ જાઈઝ છે અને ફકત અત્તહિય્યાત પઢીને દુરૂદ–દુઆ પઢયા વગર અલ્લાહુ અકબર કહી ત્રીજી રકઅત માટે ઊભા થઈ જવું એ પણ જાઈઝ છે. એવી જ રીતે મજકૂર પ્રકારની નમાઝની ત્રીજી રકઅતની શરૂઆતમાં સના અને અઊઝુબિલ્લાહ… પઢવું અને ન પઢવું બંને વાતો જાઈઝ છે. હઝરત મૌલાના થાનવી (રહ.)એ ‘બિહિશ્તી ઝેવર ભાગ બીજામાં બંને વાતો જાઈઝ બતાવી છે.‘ઉમ્દતુલ ફિકહ ભાગ બીજામાં બંને વાતોને જાઈઝ બતાવી મજકૂર પ્રકારની નમાઝના પહેલા કઅ્‌દહમાં અને ત્રીજી રકઅતની શરૂમાં મજકૂર વસ્તુઓ ન પઢવાને અફઝલ બતાવ્યું છે. જયારે ફિકહ અને ફતાવાની ઘણી કિતાબો જેમ કે ‘અલ્‌ બહ્‌રુર્રાઈક ભાગ–૧, ‘તહતાવી ભાગ–૧, ‘મુન્યતુલ મુસલ્લી, ‘ફતાવા દારુલ ઉલૂમ ભાગ–૪, ‘અહસનુલ ફતાવા ભાગ–૩, ‘દુર્રે મુખ્તાર અને ‘શામી ભાગ–૧ પેજ નં. ૪પ૪માં મજકૂર પ્રકારની નમાઝના પહેલા કઅ્‌દહમાં દુરૂદ શરીફ અને દુઆ અને ત્રીજી રકઅતની શરૂઆતમાં સના અને અઊઝુબિલ્લાહ પઢવાને અમલપાત્ર અને અફઝલ બતાવવામાં આવ્યું છે, માટે પઢી લેવું બેહતર છે.

(PAGE NUMBER 56-57)

Log in or Register to save this content for later.