મોતનો ફરીશ્તો રહેમ નથી કરતો..

Chapter :

(Page : )

 

ઉસામા બિન ઝૈદ રદીયલ્લાહુ અન્હુ કહે છે કે અમે રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમની ખિદમતમાં બેઠેલા હતા. આપની એક સાહબઝાદી એટલે કે છોકરીએ ખબર મોકલી કે મારૂં બાળક જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય રહ્યું છે તમે ઘરે પધારો. રસુલુલ્લાહે જવાબ આપ્યો કે અલ્લાહ ત‌આલા જે લ‌ઈલે તે પણ એનું જ છે અને જે આપે તે પણ એનું જ છે. તેની પાસે તો દરેક વસ્તુનો એક વખત નક્કી જ છે. માટે તેમણે સબર કરવો જોઈએ અને અલ્લાહ ત‌આલાથી સવાબની ઉમ્મીદ રાખવી જોઇએ. આપ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમના દિકરી ઘણા ગમમાં હતા એટલે ફરી સંદેશો મોકલ્યો. એ અલ્લાહના રસુલ! તમે જરૂર ઘરે પધારો. રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમ ઉભા થઇ ગયા અને તેમની સાથે બીજા સહાબીઓ પણ ઉભા થઇ ગયા. પોતાની બેટીના ઘરે પધાર્યા અને નવાસાને ખોળામાં લીધો. બાળક ઘણું જ પરેશાન હતું. રસુલુલ્લાહ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમને રહેમ આવી ગયો. ઘણું દુઃખ થવાના કારણે આંખોમાં આંસુ આવી ગયાં. કોઈકે પુછ્યું કે તમે પણ રડો છો? ફરમાવ્યું કે આ પ્રેમ ભરી ભાવના છે તેને અલ્લાહ ત‌આલાએ દરેક માણસના દિલમાં મુકેલી હોય છે. અલ્લાહ ત‌આલા પોતાના તે બંદાઓ પર રહેમ કરે છે જેઓ બીજા લોકો પર રહેમ કરે છે.

મુઆવિયા રદીઅલ્લાહુ અન્હુ ૨૦ વર્ષ સુધી શામના ગવર્નર રહ્યા. ત્યાર બાદ બીજા ૨૦ વર્ષ મુસ્લિમ સમુદાયના ખલીફા રહ્યા. જ્યારે મોતનો સમય આવ્યો તો કહેવા લાગ્યા કે મને બેસાડો. તેમને બેસાડવામાં આવ્યા. તેઓ અલ્લાહનો ઝિક્ર કરી રડવા લાગ્યા. અને પોતાની જાતને કહેવા લાગ્યા. એ મુઆવિયા! હવે જ્યારે તું ખતમ થવા પર છે અને ટુકડા ટુકડા થવાની તૈયારી છે તો હવે તને અલ્લાહ યાદ આવે છે? જ્યારે કે તારી જવાની ઘણી રંગીલી હતી.  અને આમ કહી જોરજોરથી રડવા લાગ્યા ‌. ઓ મારા પરવરદિગાર! ઓ મારા પાલનહાર! એક ગુનેગાર અને પત્થર દિલ ઘરડા પર રહેમ કર. એ અલ્લાહ! મારા ગુનાહોને માફ કર. મારી ભુલોને તું માફ કર. તારી સહિષ્ણુતા વડે મારા ગુનાહોને ઢાંકી દે. અને એ માણસને બે ફિકર કરીદે જેણે તારા સિવાય બીજા કોઇ સમક્ષ પોતાનું માથું નથી ઝુકાવ્યું. અને તારા સિવાય બીજા કોઈ પર ભરોસો નથી કર્યો. આટલું કહીને દુનિયાને છોડી ચાલ્યા ગયા.

અબ્દુલ્લાહ બિન મુબારક નો છેલ્લો વખત હતો. અસહ્ય વેદનાને કારણે બેહોશ થઈ ગયા. જ્યારે હોશમાં આવ્યા તો ચહેરા પરથી કપડું હટાવી સ્મિત સાથે કહેવા લાગ્યા. અમલ કરવા વાળા લોકોએ આવી વસ્તુઓ માટે અમલ કરવો જોઇએ. લાઈલાહ ઈલ્લલ્લાહ આટલું બોલી આ દુનિયા ને છોડી ગયા.

બિલાલ રદીઅલ્લાહુ અન્હુ ની મોતનો વખત આવ્યો તો તેમની પત્ની કહેવા લાગી કે હાય અફસોસ! તેમણે પોતાના ચહેરા પરથી કપડું હટાવ્યું. છેલ્લી ઘડીઓ ચાલી રહી હતી અને તે કહી રહ્યા હતા. અલ્લાહ ની બંદી! હાય અફસોસ ન બોલ. આમ બોલ કે કેટલી ખુશીની ઘડીઓ છે કે કાલે હું મારા દોસ્તોની મુલાકાત કરીશ. આપ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમની અને સહાબાની મુલાકાત કરીશ.

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રદીઅલ્લાહુ અન્હુ ફરમાવે છે કે એક દિવસ રસુલ સલ્લલ્લાહુ અલય્હી વસલ્લમે એક ચોરસ ચોકઠું દોર્યું. પછી તેના વચમાંથી એક સીધી લીટી દોરી ચોકઠાંથી બહાર કાઢી. સીધી લીટી પર બીજી આડી લીટીઓ દોરી. પછી ફરમાવ્યું કે આ માણસ છે અને આ ચોકઠું તેની મોત છે અને આ સીધી લીટી જે ચોકઠાં ના બહાર જ‌ઈ રહી છે એ તેની ઉમ્મીદો છે. અને સીધી લીટી પર દોરેલી આડી લીટીઓ તેની બિમારીઓ તેમજ જીંદગીના ઉતાર ચઢાવ છે. માણસ એક મુસિબતથી બચે તો બીજી આવી જ રહી હોય છે. બીજી મુશ્કેલીથી નીકળે કે ત્રીજી તૈયાર હોય છે.

(ડૉક્ટર મુહંમદ અબ્દુર્રહમાન અરીફીની કિતાબ ઝીંદગીકી આખરી તસ્વીરેં)

Log in or Register to save this content for later.